દિવાળી પર્વની રાજ્યમાં ધૂમધામપૂર્વક ઉજવણી ચાલી રહી છે. શાળાઓ અને સરકારી કચેરીઓમાં મીની વેકેશનની શરૂઆત થઈ ગઈ છે. આ રજાઓમાં જો તમે પાવાગઢ મંદિરની મુલાકાત લેવાનો હોવ તો જરૂર કેટલીક બાબતો ધ્યાનમાં રાખો. કેમકે દિવાળી તહેવારને ધ્યાનમાં રાખી માતા મહાકાળીના ધામ એવા પાવાગઢ મંદિરમાં દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
શક્તિપીઠ પાવાગઢમાં માતા મહાકાળીના દર્શન કરવા લોકો દૂર દૂરથી આવે છે. દિવાળી પર્વનો આજે બીજો દિવસ કાળી ચૌદશ છે. કાળી ચૌદશના દિવસે માતા મહાકાળીનું પૂજન કરવાનું ખાસ માહાત્મ્ય છે. આથી જ મંદિર પ્રશાસન ધ્વારા આ બાબતને ધ્યાનમાં રાખી દર્શનાર્થીઓને વધુ લાભ મળે માટે નિજમંદિરના કપાટ વહેલા ખોલવાનો નિર્ણય લેવાયો. દિવાળી પર્વમાં કાળી ચૌદશથી લાંભપાચમના દિવસ સુધી નિયત સમય કરતા વહેલી સવારે મંદિરના કપાટ ખોલવામાં આવશે. અને સાંજે સંધ્યા સમયે મંદિરના દ્વાર બંધ થશે.
પાવાગઢમાં દર્શનનો સમય
દિવાળી તહેવારને અનુલક્ષીને 5 દિવસ દર્શનના સમયમાં ફેરફાર કરાયો
11 નવેમ્બર કાળી ચૌદશના પર્વથી 15 નવેમ્બર લાભપાંચમ સુધી ભક્તો લેશે દર્શનનો લ્હાવો
સવારે 5.00 વાગ્યે મંદિરના દ્વારા ખુલશે અને સાંજે 7.30 વાગ્યે નિજ મંદિરના દ્વાર બંધ થશે
ગત વર્ષે પાવાગઢ મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો. 121 કરોડ રૂપિયાના ખર્ચે શક્તિપીઠ પાવાગઢમાં 2000થી પણ વધુ શ્રદ્ધાળુઓ લાભ લઈ શકે માટે નવી સુવિધા સાથે મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું. ગત વર્ષે પુનઃનિર્માણ બાદ 18 જૂનના રોજ મંદિરના શિખર પર ધજા ચઢાવવામાં આવી.
શાળા અને સરકારી કચેરીઓ તેમજ કેટલીક ખાનગી કંપનીઓમાં દિવાળી તહેવારની રજાની શરૂઆત થઈ ગઈ છે. લોકો રજામાં અંબાજી, ડાકોર, પાવાગઢ, મહુડી અને સાળંગપુર જેવા યાત્રાધામોની મુલાકાત લેતા હોય છે. આ યાત્રાધામોમાં પણ હવન અને વિશેષ પૂજાપાઠનું આયોજન થતું હોય છે. કાળી ચૌદશના દિવસે માતા મહાકાળી અને ભગવાન હનુમાનજીની પૂજા કરવાનું માહાત્મ્ય છે.
સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરમાં આજે યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. વહેલી સવારથી ભક્તો દર્શન કરવા ઉમટી પડ્યા છે. દિવાળી પર્વને લઈને પાવાગઢ સહિત મહુડીમાં પણ દર્શનનો સમય બદલાયો છે. પ્રસિદ્ધ યાત્રાધામ મહુડી ખાતે કાળી ચૌદશને લઈને રવિવારે હવનનું આયોજન કરાયું છે.