જમ્મુ-કાશ્મીરના શ્રીનગરના ડલ તળાવમાં ભીષણ આગની ઘટના સામે આવી છે. અહીં તળાવના કિનારે પાર્ક કરેલી અનેક હાઉસબોટ આગના કારણે બળીને રાખ થઈ ગઈ હતી. મળતી માહિતી મુજબ, આ ઘટના શનિવારે વહેલી સવારે બની હતી.
ડલ તળાવમાં લાગેલી ભીષણ આગ બાદ અનેક ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે પિયર નંબર 9 નજીક એક હાઉસબોટમાં આગ લાગી હતી અને આગને કાબૂમાં લેવામાં આવે તે પહેલાં તેણે તેની આસપાસની અન્ય હાઉસબોટને લપેટમાં લીધી હતી. મળતી માહિતી મુજબ આ ઘટનામાં કરોડો રૂપિયાની સંપત્તિનું નુકસાન થયું હોવાનું જાણવા મળે છે. પ્રાથમિક અહેવાલો અનુસાર, આગમાં ઓછામાં ઓછી અડધો ડઝન હાઉસબોટ બળીને ખાખ થઈ ગઈ છે. અધિકારીઓએ જણાવ્યું કે પોલીસે કેસ નોંધી લીધો છે અને આગના કારણની તપાસ કરવામાં આવી રહી છે.
ઉલ્લેખનીય છે કે, જમ્મુ-કાશ્મીરના શ્રીનગરના દાલ લેકમાં હાઉસબોટમાં આગ લાગવાની ઘટનાઓ ઘણી વખત સામે આવી ચુકી છે. અગાઉ જુલાઈમાં અહીં એક હાઉસબોટમાં ભીષણ આગ લાગી હતી. જેમાં ભારે નુકશાન થયું હતું. આ ઉપરાંત ગયા વર્ષે પણ વિશ્વ પ્રસિદ્ધ દાલ સરોવરમાં બે લક્ઝરી હાઉસબોટમાં આગ લાગી હતી. શ્રીનગરના ડલ તળાવમાં હાઉસબોટનો આનંદ લેવા માટે લોકો દૂર-દૂરથી આવે છે. આ સ્થળ ભારતમાં હાઉસબોટ માટે ખૂબ જ પ્રખ્યાત છે, જે પ્રવાસીઓને આકર્ષે છે.
આ પણ વાંચો: મણિપુરમાં ફરી હિંસા ફાટી નીકળી! મૈતેઈ અને કુકી વચ્ચે ભયંકર ગોળીબાર
આ પણ વાંચો: દિલ્હી-જયપુર હાઈવે પર અકસ્માત, ટેન્કર અથડાયા બાદ કારમાં લાગી આગ, 4ના મોત
આ પણ વાંચો: 24 લાખ દીવાઓથી ઝળહળી ઉઠશે રામની નગરી અયોધ્યા…