રાજસ્થાન : પોખરણમાં ભારતની ત્રણેય સેનાઓ ‘ભારત શક્તિ’ સંયુક્ત અભ્યાસ કરશે. ભારત માટે પોખરણ એક ઐતિહાસિક સ્થળ બન્યું છે. કેમકે આ જ સ્થાન પરથી પરમાણુ પરીક્ષણો કરીને ભારત એક એવી શક્તિ બની ગયું કે જેના લોકો આજે આખી દુનિયા આદર કરે છે. પોખરણનો રણ વિસ્તાર આ મેગા કવાયત ‘ભારત શક્તિ’ માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. આ અંતર્ગત ત્રણેય સેનાઓના સ્વદેશી નિર્મિત સંરક્ષણ ઉપકરણોની શક્તિનું પ્રદર્શન કરવામાં આવશે.
ત્રણેય સેનાઓ સાથે
‘ભારત શક્તિ’ કવાયતમાં લગભગ 50 મિનિટ સુધી સ્વદેશી સંરક્ષણ ક્ષમતાઓનું સંકલિત પ્રદર્શન કરવામાં આવશે. આ પ્રસંગે દેશના ટોચના સૈન્ય અધિકારીઓ પણ હાજર રહેશે. વડાપ્રધાન કાર્યાલય (PMO) એ રવિવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે ‘ભારત શક્તિ’ દરમિયાન દેશને આત્મનિર્ભર બનાવવાની પહેલના ભાગરૂપે સ્વદેશી રીતે વિકસિત શસ્ત્ર પ્રણાલી અને પ્લેટફોર્મની શ્રેણી પ્રદર્શિત કરવામાં આવશે. તેમાં કહેવામાં આવ્યું છે કે આ કવાયત જમીન, વાયુ, સમુદ્ર, સાયબર અને સ્પેસ ડોમેન્સમાં જોખમોનો સામનો કરવા માટે ભારતીય સશસ્ત્ર દળોની કાર્યકારી ક્ષમતાઓનું પ્રદર્શન કરશે.
સૈન્ય શક્તિનું પ્રદર્શન
આર્મી ડિઝાઈન બ્યુરોના એડિશનલ ડાયરેક્ટર જનરલ મેજર જનરલ સીએસ માનએ શનિવારે અહીં પત્રકારોને જણાવ્યું હતું કે ત્રણેય સેવાઓના સ્વદેશી નિર્મિત સંરક્ષણ સાધનોની તાકાત ‘ભારત શક્તિ’ કવાયત દરમિયાન દર્શાવવામાં આવશે. વધુમાં તેમણે કહ્યું કે LCA તેજસ, ALH Mk-IV, LCH પ્રચંડ, મોબાઇલ એન્ટિ-ડ્રોન સિસ્ટમ, BMP-II અને તેના વેરિઅન્ટ્સ, NAMICA (નાગ મિસાઇલ કેરિયર), T90 ટેન્ક, ધનુષ, K9 વજ્ર અને પિનાકા રોકેટ ઇવેન્ટ દરમિયાન પ્રદર્શિત કરવામાં આવેલા પ્લેટફોર્મ્સમાં સામેલ કરવામાં આવશે. કવાયતમાં ભાગ લેનારા અન્ય મુખ્ય સાધનો અને શસ્ત્રોમાં ધનુષ અને સારંગ ગન સિસ્ટમ્સ, આકાશ શસ્ત્ર પ્રણાલી, લોજિસ્ટિક્સ ડ્રોન, રોબોટિક ખચ્ચર અને માનવરહિત હવાઈ વાહનોની શ્રેણીનો સમાવેશ થાય છે.
પોખરણ : ભારતનું મહાશક્તિ તરફ પ્રયાણ
પરમાણુ પરીક્ષણો કરીને ભારત એક એવી શક્તિ બની ગયું કે જેના લોકો આજે આખી દુનિયા આદર કરે છે. ભારતે સર્વ પ્રથમ પોખરણમાં પરમાણુ વિસ્ફોટ કરી દુનિયા સમક્ષ પોતાની શક્તિનું પ્રદર્શન કર્યું હતું. પોખરણ રાજસ્થાનના રણ પ્રદેશમાં આવેલું છે. જ્યાં ભારતે પોતાનું પ્રથમ પરમાણુ પરીક્ષણ કર્યું હતું. આ પરમાણુ વિસ્ફોટ વર્ષ 1974માં 18 મેના રોજ કરવામાં આવ્યો હતો.
આ પરમાણુ પરીક્ષણ બાદ ભારત અમેરિકા, બ્રિટન, ફ્રાંસ અને ચીન જેવા શક્તિશાળી દેશોની જેમ સક્ષમ બન્યું હતું. જેના બાદ વર્ષ 1998માં જ્યારે ભારતમાં રાજનીતિક માહોલ ખરાબ હતો ત્યારે અટલ બિહારી વાજપેયીની સરકારે અદભૂત કામ કર્યું હતું. 11 અને 13 મેમાં ભારતે રાજસ્થાનના પોખરણમાં ખેતોલાઈ ગામ પાસે કુલ પાંચ પરમાણુ પરીક્ષણ કરી ભારતનો દુનિયામાં ડંકો વગાડ્યો હતો. અને આ પરમાણુ પરીક્ષણ એટલી ગુપ્ત રીતે કરાયું હતુ કે આધુનિક ટેકનોલોજી ધરાવતા દેશ અમેરિકા પણ સેટેલાઈટ મારફતે પણ પરીક્ષણની ગતિવિધિ પકડી શક્યું નહી.
પૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ કલામે પરીક્ષણ સફળ થયું હોવાની પુષ્ટિ કર્યા બાદ અટલ બિહારી વાજપેયી સરકારે પોખરણમાં પરમાણુ પરીક્ષણની સત્તાવાર જાહેરાત કરી હતી. આ સાથે વાજપેયી સરકારે ભારતને ‘જય જવાન, જય કિસાન અને જય વિજ્ઞાન’નો નારો આપ્યો. પોખરણમાં થયેલ સફળ પરમાણુ પરીક્ષણની યાદમાં આ દિવસે દર વર્ષે નેશનલ ટેકનોલોજી દિવસ તરીકે મનાવવામા આવે છે.
આ પણ વાંચોઃ
આ પણ વાંચોઃ
આ પણ વાંચોઃ