ભાવેશ રાજપૂત
સામાન્ય રીતે છેતરપિંડી કે આર્થીક ગુનાની તપાસ પોલીસ ઈન્સપેક્ટર કરતા હોય છે. પરંતુ શહેરના આનંદનગર પોલીસ મથકમાં એક પોલીસ ઈન્સપેક્ટર તેના પુત્ર અને એક વેપારી વિરુધ્ધ રૂપિયા 30 લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે. જેમાં પોલીસ પુત્રએ બંધ બેક અકાઉન્ટનો ચેક પણ આપ્યો હોવાનુ સામે આવ્યુ,, તો બીજી તરફ પોલીસ અધિકારીએ ફરિયાદી અને તેના ભાઈને દબાવવા માટે ખોટી અરજી ફરિયાદો પણ કરી હતી..
ભાવનગરના વેપારી સાથે પેટ્રોલપંપમાં ભાગીદારી કરવાના બહાને છેતરપિંડી કરવામાં આવી છે. ફરિયાદી સુરેશભાઈ ચૌહાણ ભાવનગરમા ઓઈલ અને ડિઝલના ટ્રેડિંગનુ કામ કરે છે. તેમના મિત્ર દ્વારા તેમનો પરિચય પોલીસ ઈન્સપેકટર દિગ્વિજયસિંહ ઝાલા અને તેના પુત્ર પ્રતિકરાજ ઝાલા સાથે થઈ હતી.. બાદમાં અન્ય એક વેપારી ઉત્તમ શેઠ સાથે મિત્રતા બંધાઈ હતી. બાદમાં પોલીસ પુત્રએ વેરાવળમાં પેટ્રોલપંપ ચાલુ કરવા માટે ફરિયાદી રોકાણ કરવા અને ભાગીદાર બનાવવા માટે રૂપિયા 30 લાખ મેળવ્યા હતા. જે પરત ન આપી તેમની સાથે છેતરપિંડી કરી હતી. ઉપરાંત ફરિયાદીને આરોપી પ્રતિકરાજે બંધ થયેલા બેંક અકાઉન્ટ નો ચેક આપ્યો હતો. જે અંગે ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીની ધરપકડ માટે કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ ઈન્સપેક્ટર અને તેના પુત્ર દ્વારા છેતરપિંડી આચરવાની સાથે ફરિયાદીને રુપિયા પરત ન આપવા માટે કેટલાય વલખા માર્યા હતા. જેમાં ફરિયાદી અને તેના ભાઈ પર ચેક ચોરીની ફરિયાદ અને અરજીઓ પણ કરવામાં આવી. ઉપરાંત ફરિયાદી એ આરોપી સાથે છેતરપિંડી કરી હોવાની પણ રજુઆત કરવામાં આવી.. જો કે તપાસ ના અંતે તમામ અરજીઓ ખોટી હોવાનુ પોલીસ તપાસમાં સામે આવ્યુ હતુ. અને આખરે કાયદા એ કાયદાનુ કામ કર્યુ અને છેતરપિંડી કરનાર પીઆઈ સહિત 3 વિરુધ્ધ 3 વર્ષ બાદ ગુનો નોંધાયો..
આનંદનગર પોલીસની તપાસમા સામે આવ્યુ કે છેલ્લા 3 વર્ષથી ફરિયાદી પોતાની સાથે થયેલી છેતરપિંડી મામલે રજુઆત કરતા હતા.. પરંતુ આરોપી ચોરી ઉપર સે સીના જોરી જેવુ કામ કરી ફરિયાદીને જ ખોટો સાબીત કરવા માટે વલખા મારી રહ્યા હતા. જોકે હવે ગુનો નોંધાયા બાદ એક વાત સામે આવી છે કે પીઆઈ પુત્ર ગુનો નોંધાય તે પહેલા જ દેશ છોડી ફરાર થઈ ગયો છે. તો બીજી તરફ પોલીસે આરોપી પીઆઈ અને અન્ય વેપારીની શોધખોળ હાથ ધરી છે…