બિહારના શિક્ષણ પ્રધાન મેવાલાલે તેમના પદ પરથી રાજીનામું આપી દીધું છે. મેવાલાલ ચૌધરી ઉપર ભ્રષ્ટાચારનો આરોપ છે. ભારે હંગામો વચ્ચે મેવાલાલ ચૌધરીએ ગુરુવારે શિક્ષણ વિભાગનો હવાલો સંભાળ્યો હતો. અને જ્યારેથી મેવાલાલ ચૌધરીએ શિક્ષણમંત્રી તરીકે શપથ લીધા ત્યારથી ભ્રષ્ટાચાર મામલે ભારે ઉહાપો જોવામાં આવી રહ્યો હતો.
આપને જણાવી દઇએ કે, હાલમાં જ પુરી થયેલી ચૂંટણીમાં સક્ષમ વિપક્ષ તરીકે ઉભરી આવેલ આરજેડી (રાષ્ટ્રીય જનતા દળ) છેલ્લા 2 દિવસથી મેવાલાલ ચૌધરી સામે કથિત ભ્રષ્ટાચારના આરોપો અને તેની પત્નીના શંકાસ્પદ મૃત્યુમાં મેવાલાલની કથિત સંડોવણી અંગે તપાસની માંગ કરી રહી છે.
આપને એ પણ જણાવી દઇએ કે, 2017 માં મેવાલાલ ભાગલપુરની સાબરૌર કૃષિ યુનિવર્સિટીના કુલપતિ હતા ત્યારે મેવાલાલ ચૌધરી પર નોકરીમાં ભારે ગોલમાલનાં આરોપ મૂકાયો હતા. એવો આક્ષેપ કરવામાં આવે હતા કે કુલપતિ હોવાના સમયે તેમણે ખોટી રીતે 161 સહાયક પ્રોફેસરને ફરીથી ભરતી કરી હતી. આ મામલે તેની વિરુદ્ધ એફઆઈઆર પણ નોંધાઈ છે.
બિહારના તત્કાલીન રાજ્યપાલ રામનાથ કોવિંદે(હાલ જે રાષ્ટ્રપિતી છે તેઓ) તે સમયે મેવાલાલ ચૌધરી સામે તપાસના આદેશ આપ્યા હતા. તપાસમાં મેવાલાલ ચૌધરી પરના આરોપો સાચા હોવાનું માલુમ પડ્યું. તેના ઉપર સબૌર એગ્રિકલ્ચરલ યુનિવર્સિટીના બિલ્ડિંગના બાંધકામમાં ગફલો કરવાનો પણ આરોપ છે. જોકે, આ વિશે વાત કરતા મેવાલાલ ચૌધરીએ કહ્યું કે મારી વિરુદ્ધ કોઈ ચાર્જશીટ દાખલ કરવામાં આવી નથી કે, કોર્ટ તરફથી મારા વિરુદ્ધ કોઈ આરોપ સાબિત થયો નથી. મારી સામે કોઈ આક્ષેપો થયા નથી.