અમદાવાદ,
દેશભરમાં બહુચર્ચિત એવા બીટકોઈન કૌભાંડના મામલે તપાસ કરી રહેલી ક્રાઈમ બ્રાન્ચની ટીમને રવિવારે મોટી સફળતા મળી છે. બીટકોઈન કૌભાંડના મુખ્ય સુત્રધાર એવા ભાજપના પૂર્વ ધારસભ્ય નલિન કોટડીયાની અમદાવાદ ક્રાઈમ બ્રાંચ દ્વારા મહારાષ્ટ્રના ધુલિયામાંથી ધરપકડ કરવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક સમયથી આ કેસના મુખ્ય આરોપી એવા નલિન કોટડીયા ભેદી રીતે લાપત્તા થયા હતા,ત્યારથી જ ક્રાઈમ બ્રાંચની ટીમ દ્વારા કોટડીયાની શોધખોળ હાથ ધરવામાં આવી હતી.
આ ઉપરાંત ભાજપના પૂર્વ ધારસભ્ય નલિન કોટડીયા સામે લુક આઉટ નોટીસ જાહેર કરવામાં આવી હતી, તેમજ કોર્ટના આદેશ બાદ પોલીસ વોન્ટેડ નલીન કોટડીયાના ફોટો ધરાવતા ઠેરઠેર પોસ્ટર્સ પણ લગાવાયા હતા.
નલિન કોટડીયા પર હતા આરોપ
બીટકોઈન કૌભાંડના મુખ્યય સુત્રધાર પૈકીના એક શૈલેષ ભટ્ટ પાસેથી લાખો રુપીયા મેળવનાર પુર્વ ધારાસભ્ય નલિન કોટડીયા ભૂગર્ભમાં ઉતરી ગયા હતા અને ત્યારથી જ ક્રાઈમ બ્રાન્ચની ટીમ અને કોટડીયા વચ્ચે સંતાકૂકડીનો ખેલ ચાલી રહ્યો હતો.
શું હતો આ કેસ ?
સુરતમાં એક બિલ્ડરની સાથે સાથે બિટકોઇનનો વેપાર કરતા શૈલેષ ભટ્ટને ગાંધીનગરની સીબીઆઇ કચેરીથી ફોન આવ્યો હતો. જેમાં મુખ્ય આરોપી શેલેષ ભટ્ટને નલિન કોટડીયા જ ગ્રુહમંત્રી પાસે લઈ ગયા હતા. જો કે ત્યારબાદ શૈલેષ ભટ્ટે દ્વારા આક્ષેપ કરાયા હતા કે, કોટડીયાએ ગ્રુહમંત્રીના નામે ધમકી આપી પોલીસ સાથે સમાધાન કરી લેવા દબાણ કર્યું હતું.
જો કે ત્યારબાદ, સીઆઈડી ક્રાઈમની તપાસમાં ચોંકાવનારી બાબત બહાર આવી હતી કે, બિટકોઈનમાં રોકાણ કરનારની માહીતી અમરેલી પોલીસને આપવામાં આવતી હતી. અમરેલી પોલીસ અરજીઓ લઈને રોકાણકારને ધમકીઓ આપી રુપીયા અને બિટકોઈન પડાવતા હતા. જેમાં નલિન કોટડીયાની શંકાસ્પદ ભુમીકા હોવાનું બહાર આવ્યું હતું.
કોણ છે નલિન કોટડીયા ?
બીટકોઈન કેસના મુખ્ય આરોપી નલિન કોટડીયાની વાત કરવામાં આવે તો, તેઓ કોંગ્રસના પૂર્વ કેન્દ્રીયમંત્રી મનુ કોટડીયાના ભત્રીજા છે.
વર્ષ ૧૯૯૫માં યોજાયેલી વિધાનસભા ચુંટણીમાં જીતીને તેઓ સૌપ્રથમ રાજકારણમાં આવ્યા હતા. ત્યારબાદ ૨૦૧૨માં યોજાયેલી ચુંટણીમાં જયારે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલે ભાજપ સાથે છેડો ફાડી GPP (ગુજરાત પરિવર્તન પાર્ટી) બનાવી ત્યારે ચુંટણીમાં પાર્ટીને મળેલી બે બેઠકમાંથી એક બેઠક કેશુભાઈ પટેલની હતી અને બીજી બેઠક નલિન કોટડીયાની હતી.
ત્યારબાદ GPPનું ભાજપ સાથે જોડાણ કર્યા બાદ તેઓએ રાજ્યસભામાં ભાજપના પક્ષમાં પોતાનો વોટ આપ્યો હતો. પરંતુ ૨૦૧૭માં પાર્ટી દ્વારા તેઓને ટિકિટ આપવામાં આવી ન હતી.