વિપ્રોના મુખ્ય કાર્યકારી અધિકારી (CEO) થિયરી ડેલાપોર્ટે રાજીનામું આપી દીધું છે. આ પછી, ટેક જાયન્ટે નવા CEO અને મેનેજિંગ ડિરેક્ટર તરીકે શ્રીનિવાસ પલ્લિયાની નિમણૂકની જાહેરાત કરી છે. કંપનીના ફાઈલિંગમાં જણાવાયું છે કે બોર્ડ ઓફ ડિરેક્ટર્સે 6 એપ્રિલ, 2024 થી અમલી થિયરી ડેલાપોર્ટેના રાજીનામાની નોંધ લીધી છે. CEO શ્રીનિવાસ પલ્લિયા 7 એપ્રિલથી નવા CEO અને મેનેજિંગ ડિરેક્ટર તરીકેનો પદભાર સંભાળશે.
શ્રીનિવાસ પલ્લિયા જવાબદારી સંભાળશે
વિપ્રોએ તાત્કાલિક અસરથી શ્રીનિવાસ પલ્લિયાની નિમણૂકની જાહેરાત કરી છે. વિપ્રોએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે તેઓ થિએરી ડેલાપોર્ટનું સ્થાન લેશે, જેઓ છેલ્લા ચાર વર્ષથી વિપ્રોમાં મહત્ત્વના પદ પર સેવા આપી રહ્યા છે. નવી નિમણૂક અંગે ટિપ્પણી કરતાં, વિપ્રો લિમિટેડના ચેરમેન રિષદ પ્રેમજીએ જણાવ્યું હતું કે અમારી કંપની અને ઉદ્યોગ માટે આ મહત્ત્વની ક્ષણે વિપ્રોનું નેતૃત્વ કરવા માટે શ્રીનિવાસ પલ્લિયા શ્રેષ્ઠ નેતા છે.
શ્રીનિવાસ પલ્લિયાએ શું કહ્યું?
તેમની નિમણૂક અંગે ટિપ્પણી કરતા, શ્રીનિવાસ પલ્લિયાએ કહ્યું, “વિપ્રો એ એવી કંપનીઓમાંની એક છે જે નફાને હેતુ સાથે જોડે છે અને આ પ્રતિષ્ઠિત સંસ્થાનું નેતૃત્વ કરવા માટે મને પસંદ કરવામાં આવ્યા તે માટે હું ખરેખર ગૌરવ અનુભવું છું. પલ્લિયાએ જણાવ્યું હતું કે તેઓ કંપનીને મજબૂત કરવા માટે કામ કરવા માટે ઉત્સાહિત છે. કંપનીનું કહેવું છે કે તેમના સમગ્ર કાર્યકાળ દરમિયાન પલિયાએ વિપ્રોના પ્રદર્શનને મજબૂત બનાવ્યું છે અને કંપનીને સતત આગળ લઈ ગયા છે.
કોણ છે શ્રીનિવાસ પલ્લિયા?
વિપ્રોની સત્તાવાર વેબસાઈટ અનુસાર, શ્રીનિવાસ પલ્લિયાએ ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ બેંગ્લોરમાંથી એન્જિનિયરિંગમાં સ્નાતકની ડિગ્રી અને ટેકનોલોજીમાં માસ્ટર ડિગ્રી મેળવી છે. પલિયાએ હાર્વર્ડ બિઝનેસ સ્કૂલનો અગ્રણી ગ્લોબલ બિઝનેસ પ્રોગ્રામ અને મેકગિલ એક્ઝિક્યુટિવ ઇન્સ્ટિટ્યૂટનો એડવાન્સ્ડ લીડરશિપ પ્રોગ્રામ પૂર્ણ કર્યો છે. શ્રીનિવાસ પલ્લિયા વર્ષ 1992માં વિપ્રોમાં જોડાયા હતા, તેમણે કંપનીમાં ઘણા મહત્વના પદો પર કામ કર્યું છે. પલિયાએ કન્ઝ્યુમર બિઝનેસ યુનિટ અને બિઝનેસ એપ્લીકેશન સર્વિસીસના વૈશ્વિક વડા તરીકે પણ હોદ્દો સંભાળ્યો છે.