એન્ટિલિયા કેસમાં રાજકીય ગરમા-ગરમી વધતી જાય છે. મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપ નેતા દેવેન્દ્ર ફડણવીસે એન્ટિલિયા કેસને લઇને વર્તમાન ઉદ્ધવ સરકાર પર સવાલો ઉઠાવ્યા છે. તેમણે કહ્યું કે એન્ટિલિયા કેસમાં સ્કોર્પિયોના માલિક મનસુખ હિરેનની હત્યા કરવામાં આવે છે તેનાથી મોટી કોઇ ઘટના ન હોઇ શકે. તેમણે કહ્યું કે આજે રાજકારણનું અપરાધીકરણ થઇ ચૂક્યું છે. મહત્વનું છે કે બુધવારે મુંબઇ પોલીસ કમિશ્નર પરમબીર સિંહની બદલી કરવામાં આવી અને હેમંદ નાગરાલેને નવા કમિશ્નર બનાવાયા છે.
ફડણવીસે આરોપ લગાવ્યો કે મનસુખ હિરેનની હત્યા કરવામાં આવી છે. હિરેનને માર્યા પછી તેના શબને ખાડીમાં ફેંકવામાં આવ્યું. પરંતુ લો ટાઇડના કારણે શબ દરિયામાં વહ્યું નહીં પરંતુ જો હાઇ ટાઇડ હોત તો લાશ ન મળી હોત. તેમણે કહ્યું કે પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં હિરેનના ફેફસામાં પાણી નથી. જો હિરેનનું મોત પાણીમાં ડુબવાથી થયું છે તો ફેફસામાં પાણી હોત. આ સ્પષ્ટ દર્શાવે છે કે હિરેનનું મર્ડર થયું છે. પીએમમાં મનસુખ હિરેનનું ગળુ દબાવાની જાણકારી સામે આવી છે.
પૂર્વ મુખ્યમંત્રીએ આરોપ લગાવ્યો કે સચિન વઝે મનસુખ હિરેનને જાણતા હતા. તેમણે કહ્યું કે મુખ્યમંત્રી, ગૃહ મંત્રી અને શિવસેનાના મંત્રીઓની સાથે નજરે પડતા હતા. તેમણે દાવો કર્યો કે વઝેને વસૂલી માટે લવાયા હતા અને ષડયંત્ર હેઠળ વઝેએ જ મનસુખની પુછપરછ કરી હતી. તેમણે માંગ કરી કે આ કેસની તપાસ એટીએસના બદલે એનઆઇએએ કરવી જોઇએ. ફડણવીસે કહ્યું કે પરમબીર સિંહ અને સચિન વઝે ઘણાં નાના માણસો છે. તેમની પાછળ કોણ છે તેની તપાસ થવી જોઇએ. તેમણે વધુમાં કહ્યું કે સચિન વઝે 2004માં સસ્પેન્ડ થયા, 2007માં તેમણે વીઆરએસ લીધું પરંતુ તેમની ઉપર ચાલી રહેલી ઇન્કવાયરીના કારણે તેમનું વીઆરએસ સ્વીકાર થયું નહોતું. વર્ષ 2018માં જે સમયે હું મુખ્યમંત્રી હતો તે સમયે શિવસેના તરફથી દબાણ બનાવવામાં આવી રહ્યું હતું કે એપીઆઇ સચિન વઝેને ફરી એકવાર સરકારની સેવામાં લેવામાં આવે. પરંતુ મેં આ માંગણી ઠુકરાવી હતી.