મોટાભાગે સામાન્ય જનતાને વારંવાર કોરોના મહામારીની ગાઈડલાઈનનું પાલન કરવા માટે સરકાર દ્વારા જણાવવામાં આવતું હોય છે ત્યારે રાજકારણીઓને આ નિયમ લાગુ ન પડતાં હોય તેવું અનેક વખત જોવા મળી રહ્યું છે. સૌરાષ્ટ્રમાં રાજકોટમાં કરેલી ભૂલનું ફરી વખત પુનરાવર્તન ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલના કાર્યક્રમમાં જોવા મળ્યું છે.સુરતમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના કાર્યક્રમમાં કોરોનાની ગાઈડલાઈનનો જાહેરમાં ભંગ કરવામાં આવ્યો. આ અંગેની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યા છે. લોકોમાં ગભરાટ થઈ રહ્યો છે કે શું રાજકીય નેતાઓને કોઈ ગાઇડલાઇનનું પાલન કરવાનું નથી રહેતું ? આ સાથે જ લોકોમાં થોડી નારાજગી પણ જોવા મળી રહી છે.
આ અંગે સૂત્રો પાસેથીપ્રાપ્ત માહિતી પ્રમાણે 31મી ડિસેમ્બરના રોજ સુરત શહેરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. તેમજ લોકો ઉજવણી માટે બહાર ના નીકળે તેની પૂરતી તકેદારી જિલ્લા તંત્ર દ્વારા રાખવામાં આવી રહી હતી.બીજી તરફ મોડી સાંજે રૂસ્તમપુરા ની એક વાડીમાં ભાજપની પેજ કમિટીની એક બેઠક મળી હતી જેમાં સભ્યોને પેજ કમિટીના કાર્ડ વિતરણ કરવા માટેના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમ અંતર્ગત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના હસ્તે કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ આ કાર્યક્રમમાં ભાજપના અન્ય આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ બહોળા પ્રમાણમાં અહીં એકત્રિત થયા હતા. જે દિવસે સુરતમાં ચાર જણાને એકસાથે ભેગા થવા પર પ્રતિબંધ હોય ત્યારે અહીં સેંકડોની સંખ્યામાં લોકો એકત્રિત થયા હોય નિયમોનું છડેચોક ભંગ કરવામાં આવ્યો હતો.
એટલું જ નહીં આ કાર્યક્રમની અંદર અને કાર્યકર્તાઓ માસ્કવીના આંટા મારતા જોવા મળ્યા હતા. સીઆર પાટીલે તમામ કાર્યકર્તાઓને સંબોધન કર્યું હતું અને ઘણા કાર્યકર્તાઓએ સીઆર સાથે સેલ્ફી લેવા માટે જાણે પડાપડી કરી મૂકી હતી.પ્રદેશ અધ્યક્ષ પદ સંભાળ્યા બાદ સી.આર.પાટીલ સૌરાષ્ટ્રના પ્રવાસે ગયા હતા ત્યારે પણ તેમની સભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. આ દરમિયાન અનેક નેતાઓ અને કાર્યકર્તાઓ કોરોના સંક્રમિત થયા હતા. તેઓને અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…