સુરત જિલ્લાનાં મહુવા તાલુકાનાં આંગલધારા ગામે આવેલા વજનકાંટાનાં સંચાલક પર મોડી રાત્રે અજાણ્યા ઈસમોએ 7 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. જેમાં સંચાલકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.
મહુવા તાલુકાનાં આંગલધારા ગામે રહેતા સંજયસિંહ દિલીપસિંહ દેસાઈ આંગલધારા ગામમાં કૃપા વજન કાંટાનાં માલિક છે અને પોતે ખેડૂત પણ છે ગતરોજ રાત્રે સંજય દેસાઈ આંગલધારા ગામે આવેલા વજન કાંટા ખાતે હાજર હતા, તે દરમિયાન રાત્રીનાં 2 થી 4 વાગ્યાનાં સમય દરમિયાન કોઈ અજાણ્યા ઈસમોએ સંજય દેસાઈ પર 7 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું જેમાં 4 ગોળી સંજય સિંહને વાગતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. મોડી રાત્રે વજન કાંટા પર વજન કરાવવા આવેલા સુમુલ ડેરીનાં ટેન્કર ચાલકે સંજયસિંહને મૃત હાલતમાં જોઈ પોલીસને જાણ કરી હતી. હાલ પોલીસ તપાસમાં અંગત અદાવતમાં ફાયરિંગ કરી હત્યા કરવામાં આવી હોવાનું અનુમાન લગાવી રહી છે.
ફાયરિંગની ઘટનાની જાણ થતાં જ સુરત ગ્રામ્ય એલ.સી.બી, એસ.ઓ.જી તેમજ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી જઈ મૃતક સંજય દેસાઈનો મૃતદેહ પી.એમ માટે મોકલી આપી એફ.એસ.એલ અને ડોગ સ્ક્વોડની મદદથી આરોપીને પકડી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.