કાશ્મીરના પીડીપીના અધ્યક્ષ મહેબુબા મુફતીએ ફરી એખવાર જમા્મુ-કાશ્મીર મામલે પાકિસ્તાનનો રાગ આલાપ્યો છે. તેમણે કહ્યું કે કાશ્મીર મામલે પાકિસ્તાન સાથે વાત કરવી પડશે, વાતચીત વગર કોઇ ઉકેલ આવી શકશે નહી,આ મામલે તેમણે અનેક બાબતો પર ખુલ્લીને વાત કરી હતી.
મુફ્તીએ કહ્યું છે કે AFSPAના કારણે ઘાટીના લોકો પરેશાન થઈ ગયા છે. જ્યારે સુરક્ષા દળોને આટલી સત્તા આપવામાં આવી હતી, છતાં સરપંચ મરી રહ્યા છે, લોકોને ગોળી મારી રહ્યા છે. મારા મતે આપણા ઘરમાં ક્યાંક ને ક્યાંક ઉણપ છે તો ક્યાંક નિષ્ફળતા જોવા મળે છે. પાકિસ્તાન સાથે વાત કરવા સિવાય કોઈ વિકલ્પ નથી, તમે ગમે તેટલા સૈનિકો લાવો, તમારે વાત કરવી પડશે.
સાથે જ તેમણે જમ્મુ-કાશ્મીરની વર્તમાન સ્થિતિ અંગે પણ ગુસ્સો વ્યક્ત કર્યો છે. તેમની નજરમાં કેન્દ્ર દ્વારા કાશ્મીરને બરબાદ કરવામાં આવી રહ્યું છે. મુફ્તીએ કહ્યું કે કેન્દ્ર સરકાર જમ્મુ-કાશ્મીરને સંપૂર્ણ રીતે ખતમ કરવા માંગે છે. કેન્દ્ર સરકાર આપણું અસ્તિત્વ ખતમ કરવા માંગે છે. કદાચ કારણ કે તે મુસ્લિમ બહુમતીનું રાજ્ય છે. અમને ચારે બાજુથી નબળા બનાવવાના પ્રયાસો થઈ રહ્યા છે.
વાતચીત દરમિયાન મહેબૂબા મુફ્તીએ ભારતની તુલના પાકિસ્તાન સાથે કરી હતી. તેમના તરફથી કહેવામાં આવ્યું હતું કે પાકિસ્તાનમાં ધર્મના નામ પર લોકોને બંદૂકો આપવામાં આવે છે. આજે પણ તેની હાલત ખરાબ છે. પરંતુ હવે ભારતમાં પણ ધર્મના નામે લોકોને વહેંચવામાં આવી રહ્યા છે. તલવારો આપવામાં આવી રહી છે, હિંદુ-મુસ્લિમને લડાવવાના પ્રયાસો થઈ રહ્યા છે.
લાઉડસ્પીકર વિવાદ પર જ્યારે મુફ્તીએ પ્રશ્ન ઉઠાવ્યો ત્યારે દેશમાં જોવા મળતી એક પેટર્ન તરફ ધ્યાન દોર્યું. તેમના કહેવા પ્રમાણે પહેલા હિજાબનો મુદ્દો આવ્યો, પછી લાઉડસ્પીકર આવ્યો, થોડા દિવસો પછી હલાલનો મુદ્દો ઉઠાવવામાં આવશે. તેમણે એ વાત પર પણ ભાર મૂક્યો કે કાર્યવાહીના નામે લઘુમતીઓના ઘરો પર બુલડોઝર ચલાવવામાં આવી રહ્યું છે.
ખીણમાં ચાલી રહેલા વીજ સંકટ અંગે વાત કરતી વખતે પણ મહેબૂબા મુફ્તીએ કેન્દ્ર પર જ સવાલો ઉઠાવ્યા છે. જો તેમનું માનીએ તો, કાશ્મીરને તેના પાવર પ્રોજેક્ટ્સ પર પાછા ફરવાની માંગ ઘણી વખત કરવામાં આવી છે, જો આમ થશે તો આ પાવર કટ સમાપ્ત થઈ જશે.