@વિરેન મહેતા, મંતવ્ય ન્યૂઝ – ગાંધીનગર…
આંધ્રપ્રદેશ, ચેન્નાઇ કે દિલ્હીની વિધાનસભા સચિવાલય સમકક્ષ જ ગુજરાત વિધાનસભા અને સચિવાલયમાં પણ અત્યાધુનિક સુવિધા ધરાવતી કેન્ટીન આવેલી છે. પરંતુ ગુણવત્તાયુક્ત આહાર નહિ મળવાથી અનેક મુલાકાતીઓ અસંતોષની લાગણી અનુભવી રહ્યા છે.જો કે, આ માટે માત્ર કેન્ટીન સંચાલકો જવાબદાર નથી. સરકાર કેન્ટીન કોન્ટ્રાક્ટરોને સબસીડી આપે અને કોન્ટ્રાક્ટરો ગુણવત્તાયુક્ત આહાર મુલાકાતીઓને આપે તો મુલાકાતીઓ સંતોષ અનુભવી શકે.
રાજ્યના પાટનગર ગાંધીનગરમાં વિધાનસભા સચિવાલયમાં સરકારી કામો માટે તેમજ મંત્રીઓની મુલાકતે મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે. તેમાં પણ સોમ, મંગળ અને બુધ આ ત્રણ દિવસ ખૂબ મોટી સંખ્યામાં ભીડ જોવા મળતી હોય છે. રાજ્યભરમાંથી આવતા મુલાકાતીઓને કેટલા ય કલાકો પોતાના કામો માટે બગાડવા પડતા હોય છે. ત્યારે ભૂખથી પરેશાન મુલાકાતી નજીકમાં વિધાનસભાની કેન્ટીનમાં જમવા જાય છે, પરંતુ જોઈએ તો વિધાનસભાની કેન્ટીનમાં જે પ્રકારે જમવાની ક્વોલિટી મળવી જોઈએ તે પ્રમાણે મળતી નથી.
નવા સચિવાલયમાં કુલ 14 બ્લોક છે. જેમાં દર 3 બ્લોકે 1 કેન્ટીન આવેલી છે. 1 મહિલા કેન્ટીન સહિત કુલ 5 કેન્ટીન નવા સચિવાલયમાં છે. પરંતુ તેની માહિતી માત્ર સચિવાલયના સરકારી કર્મચારીઓને હોય છે. બહારથી આવનાર મુલાકાતીઓને માત્ર વિધાનસભાની કેન્ટીનની જ માહિતી હોય છે. અને સમયનાં અભાવે પણ વિધાનસભા કેન્ટીનમાં સારી ક્વોલિટીનું જમવાનું ન હોવા છતાં લોકોએ ત્યાં જ જમવું પડે છે.
થોડા સમય પહેલા લાખો રૂપિયાનાં ખર્ચે વિધાનસભાનું રીનોવેશન કરવામાં આવ્યું હતું. જેમાં વિધાનસભાની કેન્ટીન પાછળ પણ રુપિયા ખર્ચાયા છે. વિધાનસભાની કેન્ટીનનો હોલ જોઇએ તો ફાઇવસ્ટાર હોટેલના હોલ જેવો લાગે. પરતું જમવાની કવલીટી જોઈએ તો તેમાં કોઈ સુધારો થયો નથી તેવું લોકોનું માનવું છે.
લોકડાઉન પહેલા નવા સચિવાલયની કેન્ટીનોના કર્મચારીઓને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા તાલીમ આપવામાં આવી હતી. જેમાં જમવાનું કેવી સ્વચ્છતામાં બનાવવું, તેલ, લોટ, દાળ કેવા બ્રાન્ડેડ હોવા જોઈએ. રસોડામાં કેવી જાળવણી કરવી વગેરે.
જ્યારે વિધાનસભાની કેન્ટીન કોન્ટ્રાકટ પર ચાલતી હોવાથી ત્યાંનાં કર્મચારીઓને ડ્રેસ કોડ આપીને મન મનાવી લીધું હોય તેવુ લાગે છે. વિધાનસભાની કેન્ટીનનું ભોજનની ગુણવત્તા, વેઇટરોનું વર્તન, રસોડામાં ચોખ્ખાઈનો અભાવ, વેઇટરોની પોતાની ચોખ્ખાઈ, વગેરે જોઈએ તો કોઈ મુલાકાતી બીજી વાર ત્યાં પગ ન મૂકે અથવા માત્ર ચા નાસ્તો કરીને નીકળી જાય.
નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન બની દિલ્હીની ગાદી એ બેઠા પછી દિલ્હીના ગુજરાત ભવનમાં આવતા મુલાકાતીઓને સંતોષ મળે તે રીતે આહાર મેનુ રાખવા માટે વહીવટી તંત્ર દ્વારા વ્યવસ્થા કરવા સુચના આપવામાં આવી હતી. આજે ગુજરાત ભવનની કેન્ટીનમાં વ્યવસ્થા અને ભોજનની ગુણવત્તા ખૂબ સુધારી ગઈ છે. જ્યારે નરેન્દ્રભાઈના જ ગુજરાતમાં વિધાનસભાની કેન્ટીનમાં ચોખ્ખું અને સારી ગુણવત્તાનું ભોજન મળતું નથી એવી ચર્ચા બહાર થી આવનાર મુલાકાતીઓમાં ચર્ચાતી જોવા મળી છે.
એવી જ પરિસ્થિતિ જુના સચિવાલયમાં જોવા મળે છે. જુના સચિવાલયના પ્રાગણમાં આવેલી સહકારી ઉપહાર ગૃહ મંડળી દ્વારા ચાલતી કેન્ટીનમાં પણ ત્યાંના કર્મચારીઓ અને બહાર થી આવતા મુલાકાતીઓને સંતોષ થાય એવું સારી ગુણવત્તા નું ભોજન મળતું નહિ હોવાનું પણ ત્યાંના જ કર્મચારીઓ નામ નહીં આપવાની શરતે જણાવી રહ્યા છે. જો આ જ જગ્યાએ મંત્રીઓ કે ધારાસભ્યો અઠવાડિયામાં એક વાર જમવા આવે તો ચોક્કસ ભોજનની ગુણવત્તા સુધરી જાય અને લોકો ને સારું ભોજન સારી સર્વિસ મળે તેવું મુલાકાતી અને કેટલાય કર્મચારીઓનું માનવું છે .
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…