સરકારી બેંકોના હજારો કર્મચારીઓએ ૩૦ અને 31મી મેના રોજ દેશવ્યાપી હડતાલ જાહેર કરી છે. બેંક હડતાલના કારણે બિઝનેસ અને ઉધોગ પર પણ તેની ખરાબ અસર પડશે. આ હડતાલ બે દિવસ ચાલશે. જેના કારણે બેન્કિંગ વ્યવસ્થા પર અસર પડી શકે છે.
દેશની સૌથી મોટી સરકારી બેંક એસબીઆઈએ સ્વીકાર કર્યો છે કે હડતાલની અસર બેન્કિંગ સેવાઓ પર પડશે, બેંક યુનિયને પગારમાં 2 ટકાનો જ વધારો કરવાનો વિરોધ કરીને હડતાલની જાહેરાત કરી છે.
બેંક યુનિયન AIBOCના જરનલ સેક્રેટરી રવિંદર ગુપ્તાએ કહ્યું કે અમે હડતાલને લઈને આઈબીએને 25 દિવસ પહેલા નોટીસ આપી હતી. પરંતુ આ વખતે આઈબીએ બેંકના કર્મચારીઓ સાથે સમાધાન કરવામાં નિષ્ફળ રહી. તેમણે કહ્યું કે બેંકના કર્મચારીઓને પોતાની મેહનતનું ફળ નથી મળી રહ્યું.
10 લાખથી કર્મચારીઓ બે દિવસ હડતાલ પર જશે. આ ઓછા પગાર વધારાથી કર્મચારીઓ નારાજ છે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની મુંબઈ બ્રાંચના કર્મચારીઓ ધરણા યોજી પ્રદર્શન પણ કરશે.
યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સના સંયોજક દેવીદાસ તુલજાપુકરે જણાવ્યું કે, માલેતુજારોએ લોન લઈને બેંકોને પાછી ભરપાઈ કરી નથી અને બેંકો ખાડે ગઈ છે. આ માટે બેંકના કર્મચારીઓ જવાબદાર નથી, તો પછી શા માટે બેંકના કર્મચારીઓનું વેતન યોગ્ય રીતે વધારવામાં આવતું નથી?.
દેવીદાસે વધુમાં જણાવ્યું હતું કે છેલ્લા બે-ત્રણ વર્ષથી બેંકના કર્મચારીઓ થાક્યા વગર કામ કરે છે અને સરકારીની વિવિધ યોજનાઓનો અમલ કરે છે. આ સરકારી યોજનાઓમાં જન ધન યોજના, મુદ્રા યોજના, અટલ પેન્શન યોજના, નોટબંધી યોજનાનો સમાવેશ પણ થાય છે.
આ બધાને કારણે બેંકના કર્મચારીઓના કામમાં ખુબ જ મોટો વધારો થયો છે. વર્ષ 2012 થી 2017 સુધી જે વેતન નક્કી કરવામાં આવ્યું હતું તેમાં ઇન્ડિયન બેંકર્સ એસોસિએશને 15 ટકા વેતનમાં વધારો કર્યો હતો.