મુંબઈ: પંજાબ નેશનલ બેંક (PNB) સ્કેમના ભાગેડુ આરોપી મેહુલ ચોકસીએ મુંબઈની એક કોર્ટને જણાવ્યું હતું કે, તે 41 કલાકની લાંબી મુસાફરી કરીને ભારત આવી શકશે નહીં.
પંજાબ નેશનલ બેંક (PNB) સાથેની લોન છેતરપિંડીના કેસમાં ભાગેડુ આરોપી એવા મેહુલ ચોકસીએ જણાવ્યું હતું કે, પોતાના ખરાબ સ્વાસ્થ્યના લીધે તે એન્ટીગુઆથી ભારત નહીં આવી શકે. મુંબઈની કોર્ટને લેખિતમાં આપેલા જવાબમાં ભાગેડુ આરોપી મેહુલ ચોકસીએ ઇન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ (ઇડી) પર એવો આરોપ લગાવ્યો હતો કે, તેના સ્વાસ્થ્ય અંગેની જાણકારી ન આપીને કોર્ટને ગેરમાર્ગે દોરવામાં આવી રહી છે.
આ સાથે મેહુલ ચોકસીએ એમ પણ કહ્યું હતું કે, તે પોતાની બાકી રકમ ચૂકવવા માટે બેંકોના સંપર્કમાં છે. તેણે એવું પણ જણાવ્યું હતું કે, તે વીડિયો કોન્ફરસિંગ દ્વારા તપાસમાં જોડાવા માટે તૈયાર છે. જો કે, ઇડીએ કોર્ટને જણાવ્યું હતું કે, આરોપી મેહુલ ચોકસીને ભાગેડુ આર્થિક અપરાધી જાહેર કરવામાં આવે અને તેની સંપત્તિ જપ્ત કરવાના આદેશ આપવામાં આવે.
અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે, તાજેતરમાં જ ઇન્ટરપોલે ભાગેડુ હીરાના કારોબારી મેહુલ ચોકસીની વિરુદ્ધ રેડ કોર્નર નોટિસ (આરસીએન) જાહેર કરી હતી. સીબીઆઈના આગ્રહ બાદ ઇન્ટરપોલ દ્વારા આ નોટિસ જાહેર કરવામાં આવી હતી. 13,500 કરોડ રુપિયાના પીએનબી સ્કેમમાં મેહુલ ચોકસી મુખ્ય આરોપીઓ પૈકીનો એક છે. આ છેતરપિંડી મામલામાં ચોકસીનો ભાણેજ નિરવ મોદી ગીતાંજલી ગ્રુપનો ચેરમેન છે. હાલ મેહુલ ચોકસીએ એન્ટીગુઆમાં શરણ લીધી છે.
આરસીએન ઇશ્યૂ થયાની સાથે મેહુલ ચોકસીને ઇન્ટરપોલના 192 સભ્ય દેશોમાંથી કોઈ પણ દેશમાંથી તેની ધરપકડ કરી શકે છે, ત્યારબાદ તેની પ્રત્યાર્પણ કે નિર્વાસનની પ્રક્રિયા શરૂ થઈ શકે છે. નિરવ મોદી તથા મેહુલ ચોકસીની વિરુદ્ધ ફેબ્રુઆરીમાં પીએનબી સ્કેમથી જોડાયેલા મામલામાં બ્લૂ કોર્નર નોટિસ ઇશ્યૂ કરવામાં આવી હતી. ઇડીએ ઓક્ટોબરમાં બંનેની ભારત તથા વિદેશની 218 કરોડ મૂલ્યની સંપત્તિઓ જપ્ત કરવામાં આવી હતી.