દિલ્લી,
દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા ગ્રાહકોને મોટી રાહત આપવામાં આવી છે. એસબીઆઈ દ્વારા એવા ગ્રાહકોને રાહત આપવામાં આવી છે જેઓ પોતાના ખાતામાં મિનિમમ બેલેન્સ રાખવા માટે સક્ષમ હોતા નથી.
SBI દ્વારા હવે બેંકમાં બચત ખાતામાં મિનિમમ બેલેન્સ નહીં રાખવા અંગે લાગતા દંડમાં લગભગ ૭૫ % સુધીનો ઘટાડો કર્યો છે. આ ઘટાડો કર્યા બાદ ગ્રાહકોને પહેલા કરતા ઓછો દંડ આપવો પડશે. આ નવી પ્રણાલી ૧ એપ્રિલ, ૨૦૧૮થી લાગુ કરવામાં આવશે. આ કારણે દેશના ૨૫ કરોડ લોકોને સીધો ફાયદો થશે.
એસબીઆઈ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, મહિનાના એવરેજ મિનિમમ બેલેન્સમાં ઘટાડો કરવાનો નિર્ણય અલગ-અલગ પક્ષો દ્વારા મળેલા ફીડબેકના આધારે કરવામાં આવ્યો છે.
કોણે કેટલી રાહત મળશે ?
આ પહેલા દેશના મહાનગરો અને શહેરી ક્ષેત્રોમાં પોતાના બચત ખાતામાં મિનિમમ બેલેન્સ નહીં રાખવા પર દર મહીને ૫૦ રૂપિયાનો દંડ આપવો પડતો હતો તે ૧ એપ્રિલ બાદ ઘટીને ૧૫ રૂપિયા થશે. આ જ પ્રમાણે અર્ધ- શહેરી અને ગ્રામ્ય વિસ્તરોમાં ખાતું ધરાવતા ગ્રાહકોને પહેલા ૪૦ રૂપિયાના દંડની જોગવાઈ હતી તે હવે ઘટીને ૧૨ રૂપિયા થઇ ગઈ છે. પરંતુ આ દંડની રકમ સાથે ૧૦ રૂપિયા જીએસટી ટેક્સ પણ આપવાનો રહેશે.
હાલના સમયમાં મેટ્રો શહેરોમાં SBIના બચતખાતામાં ૩૦૦૦ રૂપિયા મિનિમમ બેલેન્સ રાખવું પડતું હોય છે. જયારે નાના શહેરોમાં ૨ હજાર અને ગ્રામીણ વિસ્તારોમાં ૧ હજાર રૂપિયાની રકમ રાખવામાં આવતી હોય છે.
મહત્વનું છે કે, SBI દ્વારા મિનિમમ બેલેન્સ નહીં રાખવા પર દેશભરમાં ગ્રાહકો પાસેથી માત્ર ૮ મહિનામાં ૧૭૭૧ કરોડ રૂપિયાની મોટી રકમ વસૂલવામાં આવી હતી. આ દંડની રકમ જુલાઈ-સપ્ટેમ્બરમાં બેંકને થયેલા ૧૫૮૧.૫૫ કરોડ રૂપિયાના નફા કરતા પણ વધુ અને એપ્રિલથી લઇ સપ્ટેમ્બર સુધીના છ મહિનામાં ૩૫૮૬ કરોડ રૂપિયાના થયેલા ચોખ્ખા નફા કરતા લગભગ અડધી છે. જેથી આ વિગતોને લઇ માહિતી સામે આવી હતી ત્યારે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની ખુબ ટીકા કરવામાં આવી હતી.