@હિંમતભાઈ ઠક્કર, ભાવનગર
દેશમાં વિપક્ષી એકતા માટે સક્રિય પુરૂષાર્થ કરી રહેલા જાણીતા ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોર બે દિવસ પહેલા કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીના નિવાસે ગયા અને કોંગ્રેસના ઈનચાર્જ રાષ્ટ્રીય અધ્યક્ષા શ્રીમતી સોનિયા ગાંધી અને કોંગ્રેસના મહાસચિવ શ્રીમતી પ્રિયંકા ગાંધી વાડ્રાને મળ્યા. દોઢ કલાક કરતાં વધુ સમય સુધી ચર્ચાઓ ચાલી અને ત્યારબાદ અટકળોનો દોર શરૂ થયો છે. ૨૦૨૨માં ઉત્તરપ્રદેશ પંજાબ સહિત પાંચ રાજ્યોની અને ત્યારબાદ આજ વર્ષના અંતમાં ગુજરાત સહિત બે રાજ્યોની વિધાનસભાઓની ચૂંટણી આવી રહી છે. તેવે સમયે તમામ રાજકીય પક્ષો પોતપોતાની રીતે તૈયારીમાં વ્યસ્ત છે ત્યારે પ્રશાંત કિશોરની કોંગ્રેસના મોભી ગણાતા ગાંધી પરિવાર સાથેની આ મુલાકાતે રાજકીય વર્તુળો અને વિશ્લેષકોને અટકળો કરતા અને ટીવી ચેનલો અને અખબારોને ચર્ચા કરતાં કરી દીધા છે. આ જેવી તેવી વાત તો હરગીઝ ન કહેવાય.
જેમ કોઈપણ બાબત અંગે ગામના મોઢે ગરણા ન બંધાય અને લોકો તો ગમે તે બોલે તેમ રાજકીય વર્તૂળો – સૂત્રો અને વિશ્લેષકો કે જેઓ આવી કોઈ ઘટનાની રાહ જાેતા હોય છે તેને માટે અટકળો અને ચર્ચા કરવાનો મોકો તરત મળી જાય છે તે પણ એક હકિકત પણ છે અને વાસ્તવિકતા પણ કહેવાય. બુધવારે મોટાભાગની ચેનલો પર આ બાબતની ચર્ચા ચાલુ રહી. સૂત્રોના હવાલાને ટાંકીને અમૂક ચેનલોએ તો પી.કે. એટલે કે પ્રશાંત કિશોર કોંગ્રેસમાં જાેડાઈ રહ્યા હોવાની અથવા તો યુપીમાં કોંગ્રેસની પ્રચાર કમાન સંભાળી રહ્યા હોવાની વાતો વહેતી થઈ ગઈ છે. જાે કે આવી કોઈ વાતોને સમર્થન પણ મળ્યું નથી અને આવુ કોઈ છે જ નહિ તેવો રદિયો પણ કોઈએ આપ્યો નથી. તેના કારણે આ બાબત અંગે અટકળોનો દોર ચાલુ રહ્યો છે.
પ્રશાંત કિશોરને લાગે વળગે છે ત્યાં સુધી તેઓ મુંબઈમાં એન.સી.પી.ના દિગ્ગજ નેતા શરદ પવારને બે વખત મળ્યા અને ત્યારબાદ રાષ્ટ્રીય મંચના નેજા હેઠળ એન.સી.પી. સુપ્રિમોના નિવાસે ડાબેરીઓ સહિત આઠ વિપક્ષના ૧૪ જેટલા નેતાઓની બેઠક મળી. તેમાં કોંગ્રેસના નેતાઓ હાજર નહોતા. તેથી ત્રીજા મોરચાની રચના અંગે અટકળો શરૂ થઈ. આ બેઠકમાં ઉત્તરપ્રદેશમાં જેનું કદ હાલના તબક્કે કોંગ્રેસ કરતાં પણ ઘણું મોટું છે તે સપા અને બસપાના નેતાઓ પણ હાજર રહ્યા નહોતા. આ બાબત પણ એક હકિકત હતી.
જાે કે આ બેઠકના અહેવાલો અખબારોના પાના પર પ્રસિદ્ધ થાય એમ ટીવી ચેનલો પર ચર્ચાનો વિષય બને તે પહેલા પ્રશાંત કિશોરે પણ એવી વાત કરી કે કોંગ્રેસની હાજરી વગરનો કોઈ મોરચો ભાજપને હરાવવામાં સફળ નહિ થાય. ગાંધી પરિવાર સાથેની મુલાકાત પહેલા પણ તેમણે આજ વાત કરેલી કે ત્રીજાે કે ચોથો મોરચો ભાજપને મહાત કરી શકશે નહિ. હવે પી.કે. અને ગાંધી પરિવારની મુલાકાત બાદ કેટલાક કોંગ્રેસી દિગ્ગજાેએ પોતાનું નામ દીધા વગર પોતાના મિત્રો સાથેની વાતચીત દરમિયાન એવું કહ્યું હોવાના અહેવાલો છે કે પી.કે.ની ગાંધી પરિવાર સાથેની મુલાકાત માત્ર યુ.પી. કે પંજાબની ચૂંટણી પુરતી મર્યાદિત નહોતી. મીશન ૨૦૨૪ માટેની ચર્ચા થઈ છે. તેમાં પી.કે. દેશની અને વિશ્વની સૌથી જુની પાર્ટી માટે કોઈ નિર્ણાયક રોલ ભજવી શકે છે. બસ આ તર્કના આધારે અટકળોનો દોર શરૂ થયો છે તેવું કહી શકાય ખરૂ.
જાે કે પ્રશાંત કિશોરે ૨૦૧૪માં નરેન્દ્ર મોદી અને ભાજપ માટે ૨૦૧૪માં રણનીતિકાર તરીકે ફરજ બજાવી હતી તેના કારણે મોદી વડાપ્રધાનપદ સુધી પહોંચી ગયા હતા તેવું ભાજપના આગેવાનો પણ સ્વીકારે છે. જાે કે એકવાર સત્તા પર પહોંચી ગયા પછી તેને કેમ ટકાવી રાખવી તેની આવડત મોદીમાં છે જ તે વાત ગુજરાતમાં આપણે જાેઈએ છે, અનુભવી છે. જાે કે પી.કે.એ ૨૦૧૬માં બિહારમાં નીતિશકુમારની આગેવાની હેઠળના જદયુ, રાજદ અને કોંગ્રેસના બનેલા મહાગઠબંધનને સત્તા ફરી આપવામાં ભૂમિકા ભજવી હતી અને ત્યારબાદ તેઓએ જનતાદળ (યુ)માં જાેડાઈને તેના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ સુધીની જવાબદારી સંભાળી હતી. પરંતુ તેમને નીતિશકુમારના ભાજપ તરફી વલણ સામે વાંધો પડ્યો હતો અને તેમણે ૨૦૧૯ની ચૂંટણી પહેલા જેડીયુનો સાથ છોડ્યો હતો તેવું રાજકીય વર્તુળો કહે છે.
પ્રશાંત કિશોર ૨૦૧૭ની વિધાનસભા ચૂંટણી સમયે કોંગ્રેસના રણનીતિકાર પ્રારંભમાં બન્યા હતા પરંતુ ઉત્તરપ્રદેશ કોંગ્રેસના નેતાઓ સાથે તેમને ફાવટ ન આવતા અને રાહુલ ગાંધીએ યુપીના સ્થાનિક કોંગ્રેસી આગેવાનોને વધુ મહત્ત્વ આપી પી.કે.ના કેટલાક સૂચનો પર ધ્યાન ન દેતા તેઓ પહેલા નિષ્ક્રીય અને પછી કોંગ્રેસથી અલગ થઈ ગયા હતા. ‘પ્રચંડ એન્ટી ઈન્કમ્બન્સી વેવ’નો સામનો કરી રહેલા અખિલેશ યાદવના પક્ષ સપા સાથે જાેડાણ કરવામાં જાેખમ છે તે વાત જાણનાર પી.કે.એ કોંગ્રેસને આનાથી દૂર રહેવા અને જાેડાણ કરવું જ હોય તો માયાવતી પક્ષ સાથે જાેડાણ કરવાની સલાહ આપી હતી. જાે કે કોંગ્રેસે યુપીમાં પ્રિયંકા ગાંધીને મુખ્ય પ્રચારક બનાવવા સહિતની કોઈ સલાહ ન માનતા પી.કે. નારાજ થયા હતા. આ જ પી.કે.એ પંજાબમાં કેપ્ટન અમરીન્દર સિંઘને સત્તા પર આવવામાં મદદ કરી હતી. આમ આદમી પાર્ટી અને તત્કાલીન અકાલી-ભાજપ જાેડાણના પડકારોનો સામનો કરીને પંજાબમાં કોંગ્રેસની સરકાર આવી તે માટે પી.કે.ની રણનીતિ પણ જવાબદાર હતી.
પી.કે.એ ૨૦૧૯માં આંધ્રપ્રદેશમાં જગનમોહન રેડી અને તેમના પક્ષ વાય.આર.એસ.ને સત્તા પર લાદવામાં રણનીતિ તૈયાર કરીને મદદ કરી હતી. જ્યારે આ વખતે એટલે કે ૨૦૨૧ની પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં ટીએમસીના સુપ્રિમો મમતા બેનરજીને ત્રીજીવાર મુખ્યમંત્રી બનાવવામાં મદદ કરી હતી અને તેના કારણે ૨૦૦થી વધુ બેઠકો મેળવવાના ભાજપના શમણા રોળાઈ ગયા અને તેના બદલે ૨૧૩ કરતાં વધુ બેઠકો ટીએમસીને મળી. બંગાળની ચૂંટણી બાદ તેઓ રણનીતિકાર તરીકેની કામગીરી છોડી દેશે તેવું પીકેએ જાહેરમાં કહેલું પરંતુ એવું બન્યું નથી. તેમણે પંજાબમાં મુખ્યમંત્રી અમરીન્દરસિંઘના સલાહકાર તરીકેની જવાબદારી પણ સંભાળી જ છે. જાે કે આ તબક્કે તમિલનાડુમાં ડીએમકે કોંગ્રેસના જાેડાણને ફરી સત્તા પર લાવવામાં પણ બી.કે.એ ભૂમિકા ભજવી જ છે તેની કોઈ ના પાડી શકે તેમ નથી.
હવે રાજકીય વર્તૂળોમાં ચર્ચાનો મુદ્દો એ છે કે વિપક્ષી એકતાના ઓઠા હેઠળ પણ પી.કે. કોંગ્રેસની નીકટ આવ્યા છે. શું તેઓ ૨૦૧૪ બાદ એકાદ અપવાદને બાદ કરતાં સતત પરાજયનો સામનો કરી રહેલી અને રાજકીય વિરોધીઓ જેને હવે પતી ગયેલી પાર્ટી તરીકે નવાજી રહ્યાં છે અને મહારાષ્ટ્રમાં શીવસેનાના મુખપત્ર ગણાતા સામનામાં પણ કોંગ્રેસ મરણપથારીએ હોવાનો ઉલ્લેખ થયો હતો તે પક્ષને માટે અચ્છા દિન લાવવામાં પી.કે. સફળ થશે ખરા ? પી.કે. લગભગ મૂર્છિત બનેલી કોંગ્રેસ માટે સંજીવની બનશે ખરા ? કે પછી પરાજય અને હતાશારૂપી કોરોનાથી પીડાતી કોંગ્રેસ માટે અસરકારક વેકસીન બનશે ખરા ? આ પ્રશ્નોનો જવાબ નજીકના ભવિષ્યમાં મળી જ રહેશે.