રાજૌરી
છેલ્લા 48 કલાકથી કાશ્મીરની સરહદે પાકિસ્તાન દ્રારા કરવામાં આવી રહેલા ફાયરીંગના કારણે ચાર ભારતીય જવાનો શહીદ થયા છે,જ્યારે એક ગંભીર રીતે ઘાયલ છે.પાકિસ્તાનના સતત ફાયરીંગના કારણે કેપ્ટન કપિલ કુંડૂં સહિત 4 સૈનિકો શહીદ થયા છે. પાકિસ્તાને એન્ટી-ટેંક ગાઈડેડ મિસાઈલનો ઉપયોગ કરીને બંકર પર હુમલા કર્યા છે. શનિવાર અને રવિવારે રાતે સીમા પારથી પુંચ,દિવાર,રાજૌરી અને બાલાકોટ સેક્ટરમાં પાકિસ્તાન તરફથી સતત ચાલુ રહેલાં ફાયરીંગના કારણે સરહદે ભારે તંગદિલી ઉભી થવા પામી છે.સરહદ પરને અનેક ગામોમાંથી હિજરત ચાલુ રહી છે.
સરહદ પર ફાયરિંગને ધ્યાનમાં રાખીને બોર્ડર સિવાય 84 સ્કૂલોને ત્રણ દિવસ બંધ રાખવામાં આવી છે. રાજૌરીના ડેપ્યુટી કમિશનર શાહિદ ઈકબાલ ચૌધરીએ કહ્યું, અમે ત્રણ દિવસ સુધી બંધ રાખવાનો આદેશ આપ્યો છે.
શહીદ થયેલાં સૈનિકોમાં કેપ્ટન કપિલ કુંડુ સહિતા રાઇફલમેન શુભમ કુમાર,રાઇફલમેન રામઅવતાર અને હવાલદાર રોશનલાલ છે.જમ્મુ-કાશ્મીરની સીએમ મહેબુબા મુફ્તીએ ગોળીબારમાં શહીદ થયેલાં સૈનિકોના મોત પર દુખ દર્શાવ્યું છે.
ઉલ્લેખનીય છે કે છેલ્લાં દોઢ મહિનામાં કાશ્મીર સરહદ પર ભારતના 9 જવાનો સહિત 17 લોકોના મોત થયાં છે,જ્યારે 70 જેટલાં લોકો ઘાયલ થયાં છે.