વ્હોટ્સએપ એક એવું સોશિયલ મીડીયમ છે જ્યાં રોજ ઘણા બધા મેસેજ ફરતા રહે છે. હવે એવામાં કઈ માહિતી સાચી અને કઈ માહિતી ફેક છે એ નક્કી કરવું ઘણું મુશ્કેલીભર્યું છે. આવા ફેક ન્યુઝ થી બચવા વ્હોટ્સએપએ અમુક ગાઈડલાઈન્સ પણ આપી છે .
પરંતુ વાત એમ છે કે શું આ ફેક ન્યુઝ થી છુટકારો મેળવી શકાય છે? શું એને ફોરવર્ડ થતા અટકાવી શકાય છે? અફવાનો ને ફેલાતી અટકાવી શકાય છે? જવાબ હજુ સુધી ખુદ વ્હોટ્સએપને પણ મળ્યો નથી. આવી અફવાઓ અને ફેક ન્યુઝને કારણે ઘણી વખત ઘણી મુશ્કેલીઓ ઉભી થતી હોય છે. લોકો આવી વાતોથી ગેરમાર્ગે દોરાય જાય છે.
કંપની આવા ન્યુઝ ને રોકવાના ઘણા પ્રયત્નો કરી ચુકી છે. પણ સફળતા હાથ લાગી નથી. એટલે હવે કંપનીએ પોતાની વેબસાઈટ પર જાહેર કર્યું છે કે તેઓ એક રીસર્ચ કાર્યક્રમ શરુ કરશે. જેમાં દુનિયાભરના શોધ કર્તાઓને આમંત્રિત કરશે. જેથી એ લોકો અફવાને ફેલાતી અટકાવવા માટેના ઉપાય વિષે સંશોધન કરી શકે. આ માટે કંપનીએ, 50 હજાર અમેરિકી ડોલર એટલે કે 34 લાખ 39 હજાર રૂપિયા સુધીનો પુરસ્કાર જે આ રીસર્ચ સફળ રીતે કરશે એ રિસર્ચર ને આપવાનો વાયદો પણ કર્યો છે.
આ રીસર્ચ એવોર્ડ ની ઘોષણા વ્હોટ્સએપએ પોતાની વેબસાઈટ પર કરી છે અને લખ્યું છે કે, કંપનીને પોતાના યુઝર્સની સુરક્ષાની ચિંતા છે અને એને સુધારવા માટે અને વધુ સારું બનાવવા માટે અમે બધા સાથે મળીને આ સમસ્યાનું નિરાકરણ શોધવા માંગીએ છીએ. વધુમાં કંપનીએ સાફ લખ્યું છે કે ભલે તે દુનિયાભર થી રિસર્ચર ને આમંત્રિત કરી રહ્યા છે પરંતુ પ્રાથમિકતા વ્હોટ્સએપનો વધુ ઉપયોગ કરનારા દેશ – ભારત, બ્રાઝીલ, ઈન્ડોનેશીયા, મેક્સિકો ને મળશે.
ફેક ન્યુઝ થી બચવા જાગૃતતા માટેના કાર્યક્રમો પણ કરવામાં આવ્યા. પરંતુ એનાથી ધારી સફળતા મળી નહી. વ્હોટ્સએપ જેમાં માધ્યમને 180 જેટલા દેશના લોકો વાપરે છે એટલે એના ઉપયોગકર્તાઓની સંખ્યા અરબોમાં જ હોવાની. આ ફેક ન્યુઝ અને અફવાને કારણે ભારત માં તો ઘણા લોકોએ જીવ ગુમાવ્યાના કિસ્સા પણ છે. એટલે ભારત સરકારે વ્હોટ્સએપના માલિકને આ અંગે પગલા લેવા જણાવ્યું છે જેથી કરીને આ ફેક ન્યુઝ ને ફેલાતા અટકાવી શકાય.
હવે મુદ્દો એ છે કે શું આ કામ શક્ય છે? શું ફેક ન્યુઝ ને ઓળખી એને ફેલાતા અટકાવી શકાય છે કે નહિ? અને એ પણ એવા માધ્યમ પર જ્યાં રોજ કરોડો ની સંખ્યામાં મેસેજ ની આપલે થાય છે.