આજે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ દિવસ એટલે કે જન્માષ્ટમીની દેશભરમાં ધામધુમપુર્વક ઉજવણી થઇ રહી છે. ભગવાન શ્રી કૃષ્ણના 5,244મા જન્મોત્સવની સવિશેષ ઉજવણી દ્રારકામાં થઇ હતી.
દ્રારકામાં જન્માષ્ટમીએ જગત મંદિરમાં ઠાકોરજીને સવારે 8 વાગ્યાથી ખુલ્લા પડદે અભિષેક કરવામાં આવ્યો હતો. બાદમાં ઠાકોરજીને શ્રી સુકતમ તથા પુરૂષુકતમના વૈદિક મંત્રોના પાઠના ઉચ્ચારણ સાથે દુધ, દહીં, ઘી, કેસર, ગંગાજળ, રૂતુંફળ વિવિધ દ્રવ્યોથી ભગવાનને અભિષેક કરવામાં આવ્યો હતો.
બાદ ઠાકોરજીને જન્મ દિન નિમિત્તે કેસરી રંગના રત્ન જડિત ચાકગારના વાધા, સિલ્કના પિતાંબર તથા શંખ ચક્ર, ગદા, પદ્મ અને આયુંધ અને સુવર્ણથી ઘડિત વિવિધ જાતના આભુષણો પહેરાવી શ્રી મસ્તક ઉપર કુલેર મુંગટ તથા શીશ કુલ ધરવામાં આવ્યો હતો.
દ્રારકાના જગતમંદિરમાં શ્રીકૃષ્ણના દર્શને હજારો ભક્તો ભેગા થયા હતા. ભક્તોએ જય કનૈયાલાલ કી…ના નારા સાથે નૃત્ય પણ કર્યું હતું.
સાંજના નિત્યક્રમ બાદ 9 વાગ્યે શયન કરાવવામાં આવશે. રાત્રીના 10 વાગ્યે ભીતરમાં ઠાકોરજીને મંગલા કરાવ્યા બાદ માખણ મીસરી ભોગ ધરાવી જન્મ પહેલાનો અભિષેક બાદમાં જન્મનો શૃંગાર કરાવાશે. જન્મનો ભોગ લગાવાશે. જેમાં તમામ પ્રકારના મીષ્ટાનો વ્યંજનો, ફરસાણ તથા વિશેષતઃ જન્મ નિમિતેની પંજરી ધરાવવામાં આવશે.
દ્રારકાધીશ મંદિરમાં શ્રીકૃષ્ણ જન્મોત્સવ
– બપોરે 1 વાગ્યાથી 5 વાગ્યા સુધી દર્શન બંધ રહેશે
– દ્રારકાધીશના સાંજે 5 વાગ્યે ઉત્થાપન દર્શન
– સાંજે 5.30થી 5.45 સુધી ઉત્થાપન ભોગ
– સાંજે 7.15થી 7.30 સુધી સંધ્યા ભોગ
– દ્રારકાધીશની સાંજે 7.30 વાગ્યે સંધ્યા આરતી
– 8 વાગ્યાથી 8.10 સુધી શયન ભોગ
– 8.30 વાગ્યે શયન આરતી
– 9 વાગ્યે શયન અનોસર
– 12 વાગ્યે જન્માષ્ટમી મહોત્સવની આરતી દર્શન
– 2.30 વાગ્યાથી અનોસર
આજે રાત્રીના બરાબર 12 વાગ્યાના ટકોરે ભગવાનને જન્મનો ભાવ કરવાીમાં આવશે. પુંજારી દ્વારા જગતના નાથનો જન્મ થયો છે. એવું જાહેર કરી ઠાકોરજીની છડી પોકારી નંદ ઘેરા નંદ ભયો જય કનેયા લાલ કીના નાદ સાથે અડધી કલાક સુધી જન્મોત્સવ નંદોઉત્સવની આરતી કરવામાં આવશે.
ત્યારબાદ રાત્રે 2.30 સુધી ભાવિકો ને ઠાકોરજીના દર્શન થશે. પારણા નોમના દિવસે સોનાનું પારણું ઠાકોરજી પાસે રાખી ભગવાનના ઉત્સવ સ્વરૂપ નોમના પારણામાં બેસાડવામાં આવશે અને ઠાકોરજીને માખણ મીસરી મેવાનો ભોગ ધરવાશે.