આયેશા હવાઓમાં વહી ગઈ અને અનેક દર્દીલી દાસ્તાન ફરી તાજી કરતી ગઈ…
મૈં હવાઓ કી તરાહ બહ જાના ચાહતી હું…અને સાચે જ તે તેનું દર્દ સમેટી નદીમાં સમાઈ ગઈ. તેના ચહેરાનું અકથ્ય દર્દ હિન્દૂ-મુસ્લિમ ના લેબલ ને બદલે એક દર્દીલી દાસ્તાન બની ખાલી અમદાવાદ કે ગુજરાત જ નહીં બલ્કે ભારતના ઘણા શહેરો માં લોકોને સપર્શી ગયું..જી, હા આયેશા શાયરીઓ અને નગ્મા ગણગણતી નદીમાં વહી ગઈ. અને તેની સાથે જ ફરી એકવાર લોકોના દિલમાં પણ દર્દનો ઉફાન છવાયો છે. આયેશાની શાયરીઓ આજે પણ હવાઓમાં વહી રહી છે. મોબાઈલ સ્ક્રીનથી યુ ટ્યુબ પર તેના વિડિઓ વિવાદ સર્જી રહ્યા છે. અને આયેશના પતિને કોષી રહ્યા છે. પરંતુ આરીફ મિયાં પર આયેશન મોતનો ખાસ કોઈ ક્ષોભ જોવા મળ્યો નથી.
જો, કે અહીં વાત એક આયેશાની નથી..અહીં આજેપણ રોજ કેટલીય આયેશાઓ શારીરિક અને માનસિક યાતનાઓ વેઠી ઘરના એક ખૂણા માં સિસકીઓ ભરતી રહે છે. મુઠ્ઠીભર નારીઓની યશોગાથા વચ્ચે દર્દ માં પીસાતા વર્ગની વાત ક્યારેક વિસરાય છે. પરંતુ જયારે જયારે કોઈ નિર્ભયા પીંખાય છે, ત્યારે લોકોને તત્ક્ષણ ઉભરો આવે છે. જે સમયાંતરે બેસી પણ જાય છે. જયારે જયારે નારીઓ પીંખાય છે, રોળાય છે, પીસાય છે ત્યારે તત્ક્ષણ તેમનો ચિત્કાર બહેરા સમાજના કાને અથડાય છે અને સમાજમાં આગેવાની કરતા લોકો કેન્ડલ માર્ચની આછી રોશનીમાં શેરીમાં ઉજાશ રેલાવી અંધેરા ઉલેચવાનો નાકામ પ્રયાસ આદરે છે. પરંતી મીણબત્તીના ઉજાસ જેટલો જ લોકોનો નાનકડો પ્રયાસ અર્થવિહીન જ રહી જાય છે.
નરમ દિલ અને નાજુક શરીર ધરાવતી સ્ત્રીઓ વિકૃત લોકોની વિકૃતિ સંતોષવાનું હંમેશા સાધન બને છે. વિકૃતિઓનો ઉભરો આવા કેટલાય જીવન ક્યાંક દહેજ પ્રતાડના તો ક્યાંક ઘરેલુ હિંસા તો ક્યાંક બળાત્કાર તો કયાક શારીરિક અને માનસિક ત્રાસ જેવા વિવિધ સ્વરૂપે પ્રગટતો રહે છે.
ત્યારે આ મામલે વધુ નહીં તો પણ પાછલા 2 વર્ષનો રેકોર્ડ જોવામાં આવે તો સલામત ગુજરાત અને ખાસ તો અમદાવાદમાં જ આવા જ કોઈક કારણોસર 7648 જેટલી મહીલાઓ પાછળ 1 વર્ષમાં ગુમ થઇ છે. ગુજરાત પોલીસની રિપોર્ટ મુજબ રોજે રોજ 14 જેટલી મહીલાઓ કોઈ ને કોઈ ગુના નો શિકાર બને છે. આ 14 માં 6 જેટલી મહિલાઓ દહેજ, રેપ અને યૌન શોષણનો શિકાર બને છે.
અમદાવાદમાં દર બીજા દિવસે છેડછાડ અને 6 દિવસે લગભગ એક રેપની ઘટના બને છે. પાછલા 2 વર્ષમાં ગુજરાતમાં લગભગ 14229 મહિલાઓ લાપતા થયેલ છે. ત્યારે ઉલ્લખનીય છે કે, આ માહિતી વિધાનસભમાં પ્રશ્નોતરી કાળ દરમ્યાન પૂછવામાં આવેલ પ્રશ્નના જવાબમાં 2 વર્ષના આંકડાઓને આધારે આપવામાં આવી હતી. જો, કે આ અંગેના આંકડાઓ નેશનલ ક્રાઇમ બ્યુરો દ્વારા અવાર-નવાર જાહેર થતા રહે છે. પરંતુ મુદ્દાની વાત તે છે કે, આ ગુનાઓ આચરનારા લોકો આખરે છે તો ક્યાંકને ક્યાંક આપણી વચ્ચે જ ને? ક્યાંક આપણા વચ્ચે જ તેઓ સજ્જનતાનું મહોરું ચડાવીને ફરે રાખે છે.
વધુમાં બળાત્કાર અને યૌન શોષણ જેવા મામલામાં આઇટી યુગ મહત્તમ જવાબદાર છે. કેમ કે, અહીં અવેલેબલ ભારોભાર ગંદકીથી ખદબદતી સામગ્રી નવલોહિયા યુવાનોથી એજેડ લોકોના દિમાગ પણ ખરાબ કરે છે. અને વિકૃતિઓના બીજ પણ અહીં થી જ વવાય છે. અને વાત આટલી પણ નથી પણ બેશરમીની સીમા લાંઘી ગયેલા લોકો માસુમ બાળકો ના ફૂલ જેવા શરીરમાં પણ ગંદકી શોધતા રહે છે અને આવા માસૂમોનાં પોર્ન બનાવી તેની પણ નિર્લજ્જ મઝા લે છે. ત્યારે આવા વિડિઓ જયારે એક ઠેકાણેથી બીજે ફોરવર્ડ થાય ત્યારે વિચારજો કે જાણે અજાણે તમે પણ ક્યાંક ગંભીર ગુનાને અંજામ આપી રહ્યા છો..અને તેનાથી પણ વધુ તો તમારા જ ઘર પરિવારની દીકરીઓને જોખમમાં મૂકી રહ્યા છે.
ત્યારે આવી વિકૃત સામગ્રી ફોરવર્ડ કરનારા અને જોનારા થોભો અને વિચારો કે તમારી માનસિકતા અગર થોડી સારી હશે તો તમે તમારી જાતને કંટ્રોલ કરી શકશો પરંતુ આવી સામગ્રી જયારે કોઈ વૈશી દરીંદા પાસે જશે ત્યારે તેને શિકારની તલબ લાગશે તે ન ભૂલો. તેથી તમારા અને સમાજના હિતમાં આવી સામગ્રીઓને ફોરવર્ડ કરવાનું ટાળો..
આખરે અહીં કહેવાનો સ્પષ્ટ આશય છે કે, આયેશા હોય નિર્ભય હોય કે દિલ્હીની લક્ષ્મી કે સુરતની તે મહિલા પીએસઆઇ અમિતા જોશી કે જેમનું જીવવું આ નિર્દયી અને વિકૃત સમાજે મુશ્કેલ કરતા તેઓ જિંદગી નો જુગાર હારી બેઠા હતા. જો, કે દહેજ પ્રતડાના ઇસ્યુ મુસ્લિમ સમાજમાં પણ ફેલાયેલ તેવું દુષણ છે કે, જે હિન્દૂ મુસ્લિમના ભેદ ઓગાળી દે છે. નિકટના સગામાં જ લગ્ન કરતી મુસ્લિમ સ્ત્રીઓને નજરે જોયેલા એક કિસ્સા મુજબ સગી માસીયાઈ બહેને જ નિર્દયતાથી માસુમ મુન્ની ની જાન ગળું દબાવી લીધી હતી. તેમછતાં તેના માટે-પિતા તેના માસુમ બાળકોને ન્યાય અપાવી શક્યા ન હતા. અને તે માસુમ દીકરીનો ચહેરો આજે પણ યાદ આવે ત્યારે દિલ માં આક્રોશ ફૂટી નીકળે છે.
મતલબ કે આવી કેટલીય કોડીલી કન્યાઓ આજેપણ હિન્દૂ કે મુસ્લિમ સમાજમાં દહેજના ખપ્પરમાં હોમાય છે. રેપ વિથ મર્ડર હિસ્ટ્રી માટે તો ક્યાં શબ્દ હવે વાપરવા તે વિમાસણ છે. શબ્દો પણ હવે ખૂટે છે.. ત્યારે નારી દિન ઉજવવાની પેરવી કરતા સમાજને ત્યારે આ સ્થાને થી એક જ અપીલ કે , જે તમને પાળે છે, પોસે છે, અને જેનાથી સમાજમાં ઉજાસ ફેલાય છે તે સ્ત્રીઓ ના બલિદાનનો સિલસિલો અટકાવવા સહિયારા પ્રયાસો આદરવાની આ દિને નેમ લેવામાં આવે. ખાલી કોઈપણ દિવસનીઉજવણી કરવાંનુ કોઈ મહત્વ નથી… અન્યથા નારીઓની દર્દીલી સિસકિયા એક દિવસ સમાજનું અધઃ;પતન નોતરશે…
@રીના બ્રહ્મભટ્ટ, કટાર લેખક