ગાંધીનગર,
કેન્દ્ર સરકારે ગુજરાત અને રાજસ્થાન વચ્ચે ૫૯૦ કિમી લાંબો અંતર્દેશીય જળમાર્ગ બનાવવાનો પ્રસ્તાવ મુક્યો છે. આ જળમાર્ગ ગુજરાત અને રાજસ્થાનને જવાઈ નદી, લુણી નદી અને કોરી ખાડી દ્વારા જોડવામાં આવશે, અને ૧૦૦૦૦ કરોડના ખર્ચથી બનાવવામાં આવશે.
કેન્દ્રીય રાજ્ય મંત્રી અર્જુન રામ મેઘવાલે જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટ દ્વારા એક વૈકલ્પિક માર્ગ મળશે, આ વિસ્તારમાં ઔદ્યોગિક કોરીડોર્સનું પણ નિર્માણ થઇ રહ્યું છે. તેથી અમે નક્કી કર્યું છે કે અમે બધી શક્યતાઓ જેવી કે પર્યાવરણ, રોકાણ પરનું વળતર વગેરેનું વિગતવાર મૂલ્યાંકન કરીશું. અર્જુન રામ મેઘવાલે આ બાબતે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે બુધવારે મુલાકાત કરી હતી.
મેઘવાલે કહ્યું હતું કે ૨૩ મે ના રોજ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ સૈધાંતિક મંજુરી આપી હતી. દેશમાં કુલ ૧૧૧ અંતર્દેશીય જળમાર્ગ બનાવવાની યોજના છે જેમાં આ કચ્છ અને રાજસ્થાનને જોડતો ૪૮ નંબરનો જળમાર્ગ ૧૦૦૦૦ કરોડ રૂપિયાના ખર્ચથી બનાવવાની યોજના છે.
તેમણે જણાવ્યું કે WAPCOS Ltd., જે પહેલા વોટર એન્ડ પાવર કન્સલ્ટન્સી સર્વિસીસ ના નામે ઓળખાતી હતી, આ કંપનીએ એક રીપોર્ટ તૈયાર કર્યો છે અને વિગતવાર રીપોર્ટ હજુ તૈયાર થઇ રહ્યો છે.
તેમણે આગળ જણાવ્યું કે આ પ્રોજેક્ટ માટે બંને રાજ્યોની સંમતિ હોવી જરૂરી છે, હું સીએમ વિજય રૂપાણી અને ગુજરાતના ચીફ સેક્રેટરીને આ બાબતે મળ્યો હતો. અમે જળમાર્ગથી પાકિસ્તાનની નજીકતા, ગૃહ મંત્રાલયનું નવું જાહેરનામું, પર્યાવરણના મુદ્દાઓ અને જળમાર્ગના મહત્વ વિશે ચર્ચા કરી હતી.
મેઘવાલે કહ્યું કે આ પ્રોજેક્ટ વિશે ટૂંક સમયમાંજ સીએમ અને રાજ્યના બીજા અધિકારીઓ સાથે બીજી મીટીંગ કરવામાં આવશે.