અમદાવાદ
તમિલનાડુના પૂર્વ મુખ્યમંત્રી એમ. કરૂણાનિધીની તબિયત લથડતા તેમને ચેન્નાઇની કાવેરી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં છે. યુરિનરી ટ્રેકટ ઇન્ફેકશનના લીધે તેમની તબિયત ખરાબ ચાલી રહી હતી. શુક્રવાર મોડી રાત્રે તબિયત બગડતાં તેમના નિવાસસ્થાનેથી એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ લઇ જવામાં આવ્યાં છે.
કરૂણાનિધીનું બ્લડ પ્રેશર ઘટી જતાં તબીબોની દેખરેખ માટે ખસેડવામાં આવ્યા હતા. કરૂણાનિધીને હોસ્પિટલમાં ખસેડવામાં આવતા સમર્થકો ઉમટી પડયા હતા. હાલમાં કરૂણાનિધીની તબિયત સ્થિર હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. કરૂણાનીધિના હાલચાલ જાણવા માટે કેટલાય મોટા નેતા તેમના પરિવારો સાથે સતત સંપર્કમાં છે અને તેમને મળવા તેમના ઘરે પણ જઈ રહ્યા છે. મળતી માહિતી મુજબ પીએમ નરેન્દ્ર મોદી તેમને મળવા તેમના ઘરે જઈ શકે છે.
કરૂણાનિધિના ઘર અને હોસ્પિટલની બહાર સમર્થકોની ભારે ભીડ જામી હતી. જેના કારણે સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. વધારે પોલીસ દળ તૈનાત કરવામાં આવ્યું છે. હોસ્પિટલે કરૂણાનિધિનું મેડિકલ બુલેટીન પણ જાહેર કર્યું હતું. જેમાં કરૂણાનિધિ આઈસીયૂમાં દાખલ હોવાની જાણકારી આપવામાં આવી છે.
94 વર્ષના કરૂણાનિધિની સારવાર ચૈન્નાઇ સ્થિત તેમના ઘરમાં જ ચાલી રહી હતી. તેમની તબિયત ખરાબ થવાને કારણે તેમના ઘર પર મોટી સંખ્યામાં સમર્થકો ભેગા થયા છે. સમર્થકો ઉપરાંત શુક્રવારે કમલ હસન સહિત રાજ્યના દિગ્ગજ નેતા પણ તેમની તબિયત જોવા ગયા હતાં.
કરૂણાનીધિ માટે હોસ્પિટલમાં સ્પેશિયલ આઇસીયુ સેટ અપ કરવામાં આવ્યું છે.ઉલ્લેખનીય છે કે ગઇકાલે તામિલનાડુના પૂર્વ મુખ્યપ્રધાન અને દ્રવિડ મુનેત્ર કગઝમના પ્રમુખ એમ, કરુણાનિધિની તબિયત કથળતાં તેમની હાલ તેઓના નિવાસ સ્થાને સારવાર કરવામાં આવી હતી. તેમનાં ખબર અંતર પૂછવા માટે કમલ હાસન સહિતના અન્ય નેતાઓ ગયા હતા.