સોમવારે રાત્રે ટ્રેનમાં અબડાસાના પૂર્વ ધારાસભ્ય જયંતી ભાનુશાળીની હત્યા કરી દેવામાં આવી છે.
પૂર્વ એમએલએ ટ્રેનમાં ભુજથી અમદાવાદ જઈ રહ્યા હતા તે સમયે આ બનાવ બન્યો છે. માલિયા પાસે અજાણ્યા માણસોએ એસી કોચમાં ઘૂસીને તેમની પર અંધાધુંધ ગોળી ચલાવી હતી. ગોળી આંખમાં અને છાતીમાં વાગી જતા ઘટનાસ્થળે જ તેમનું મૃત્યુ નીપજ્યું હતું.
કોણે લગાવ્યો હતો રેપનો આરોપ ?
સુરતની ૨૧ વર્ષીય યુવતીએ આરોપ લગાવ્યો હતો કે જયંતી ભાનુશાળીએ તેને સારી કોલેજમાં એડમીશન અપાવવાના બહાને ઘણી વખત તેની સાથે રેપ કર્યો હતો. એટલું જ નહી પણ પીડિતાએ ભાનુશાળી પર વિડીયો બનાવીને બ્લેકમેઈલ કરવાનો આરોપ પણ લગાવ્યો હતો.
પોલીસે પીડિતાના ઘરવાળાનું પણ નિવેદન લીધું હતું. સુરતની પોલીસ અમદાવાદ-ગાંધીનગર હાઇવે પર આવેલ એક ફાર્મ હાઉસ અને અમદાવાદ નજીક એક હોટલમાં પણ ગઈ હતી જ્યાં પીડિતાના કહેવા પ્રમાણે તેના પર રેપ કરવામાં આવ્યો હતો.યુવતીએ લેખિત ફરીયાદ કર્યા બાદ બીજેપીના એમએલએને પાર્ટીમાં પદ પરથી રાજીનામું આપવા માટે કહ્યું હતું.
થોડા સમય બાદ તેમણે ગુજરાત બીજેપીના અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપી દીધું હતું. જો કે ભાનુશાળીનું કહેવું હતું કે પોલીસને આપવામાં આવેલી ફરિયાદ તે તેમની છબીને ખરાબ કરવાનો પ્રયત્ન હતો. મારા અને મારા પરિવાર પર લગાવવામાં આવેલા આરોપો આધારહીન છે.