નવી દિલ્હી : કોરોના વાયરસના સંક્રમણથી પૂરી રીતે છૂટકારો મેળવવા માટે અનેક વેક્સીન કંપનીઓનું કામ હવે અંતિમ તબક્કામાં પહોંચી ગયું છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે, જો બધુ જ સારૂ રહેશે તો, ઓગષ્ટ મહિનાના અંત સુધીમાં વેક્સીન ઉપલબ્ધ થઈ શકે તેમ છે. એવામાં હવે તેના પર પણ ચર્ચા થઈ રહી છે કે, આખરે વેક્સીનનો પહેલો ડોઝ કોને આપવામાં આવશે. સરકારમાં ભલે આ બાબતે ચર્ચા કરી રહી હોય, પરંતુ કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવે ઈશારા-ઈશારામાં સંકેત જરૂર આપી દીધા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણના ઈશારા અનુસાર, કોરોના વેક્સીનની પ્રાથમિકતા હેલ્થ વર્કર્સને મળી શકે છે. સ્વાસ્થ્ય સચિવના જણાવ્યા અનુસાર, સરકાર સિવાય પણ આ વાત પર સહમતિ બની રહી હોય તેમ જણાઈ રહ્યું છે કે, હેલ્થકૅર વર્કર્સને કોરોના વેક્સીનનો ડોઝ મળવો જોઈએ. તેમણે કહ્યું કે, તેનાથી એ સંદેશો પણ જશે કે, ભારત તેમના કામના વખાણ કરે છે. જેનાથી હેલ્થવર્કર્સની અછતને પણ પૂરી કરી શકાશે.
સ્વાસ્થ્ય સચિવે સ્પષ્ટ કહ્યું છે કે, હજુ આવું કોઈ લીસ્ટ તૈયાર કરવામાં નથી આવ્યું પરંતુ જો લીસ્ટ તૈયાર થાય છે તો, સૌથી પહેલા હેલ્થ વર્કર્સને અને બીજા નંબર પર વૃદ્ધ અને અન્ય બીમારી ગ્રસ્ત લોકોને વેક્સીન આપવામાં આવી શકે છે. વેક્સીનને લઈ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન પણ પોતાની નજર લગાવીને બેઠું છે.
WHOના રિઝનલ ડાયરેક્ટર ડૉ. પૂનમ ક્ષેત્રપાલ સિંહ અનુસાર, જ્યારે વેક્સીન તૈયાર થશે, ત્યારે દુનિયાના દરેક વ્યક્તિ સુધી પહોંચાડવામાં આવશે. WHOએ કહ્યું કે, વેક્સીનનો શરૂઆતનો ડૉઝ તમામ દેશમાં પહોંચાડવામાં આવશે, જેથી હેલ્થવર્કર્સને ઈમ્યૂનાઈઝ કરી શકાય. કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણના જણાવ્યા સરકાર તરફથી હાલમાં આનું કોઈ લીસ્ટ નથી બનાવવામાં આવ્યું પરંતુ જેને પ્રથમ જરૂરત હશે તેને પહેલા વેક્સીન આપવામાં આવશે. જે વિસ્તારમાં કોરોનાનો ખતરો વધારે છે, તેમના સુધી કોરોના વેક્સીન (Corona Vaccine) પહોંચાડવામાં આવશે. ભારતમાં કોવિડ-19 ટાસ્ક ફોર્સના ચીફ ડૉ. વીકે પોલ અનુસાર, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ખુદ કોરોના વેક્સીનને લઈ નજર બનાવી રહ્યા છે. તે ઈચ્છે છે કે, કોરોના વેક્સીન ઝડપથી પરીક્ષણમાં સફળ થાય, જેથી લોકો સુધી વહેલી તકે પહોંચાડી શકાય.