મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ભૂતપૂર્વ મુખ્ય પ્રધાનો અખિલેશ યાદવ અને માયાવતીને ફોન કરીને શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપવા આમંત્રણ આપ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર યોગી આદિત્યનાથે મુલાયમ સિંહ યાદવને પણ ફોન કર્યો હતો. આ પહેલા સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે કહ્યું હતું કે “મને નથી લાગતું કે હું શપથ ગ્રહણમાં જઈશ અને ન તો મને બોલાવવામાં આવશે.” આ દરમિયાન યોગી આદિત્યનાથે તેમને ફોન કરીને શપથ ગ્રહણ સમારોહમાં આવવાનું આમંત્રણ આપ્યું છે.
યોગી આદિત્યનાથ શુક્રવારે સાંજે 4 વાગે મુખ્યમંત્રી પદના શપથ લેશે. સીએમ યોગીનો ભવ્ય શપથ ગ્રહણ સમારોહ અટલ બિહારી વાજપેયી ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં યોજાશે. આ માટેની તૈયારી પૂર્ણ કરી લેવામાં આવી છે.
આજે ગુરુવારે લખનૌના લોક ભવનમાં બીજેપી વિધાયક દળની બેઠક મળી હતી. આ બેઠકમાં યોગી આદિત્યનાથને બે વખત ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટવામાં આવ્યા હતા. નિરીક્ષક તરીકે આવેલા કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને ઝારખંડના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન રઘુવર દાસની હાજરીમાં યોગીને વિધાયક દળના નેતા તરીકે ચૂંટવામાં આવ્યા હતા. બીજેપી વિધાયક દળના સૌથી વરિષ્ઠ સભ્ય સુરેશ કુમાર ખન્નાએ યોગીના નામનો પ્રસ્તાવ મૂક્યો, જેના પર તમામ ધારાસભ્યો સહમત થયા.આ પછી યોગી રાજ્યપાલ આનંદીબેન પટેલને મળ્યા અને સરકાર બનાવવાનો દાવો કર્યો.
ઉત્તર પ્રદેશ વિધાનસભાની તાજેતરમાં પૂર્ણ થયેલી ચૂંટણીમાં, સત્તારૂઢ ભાજપને 255 બેઠકો મળી હતી, જ્યારે તેના સહયોગી અપના દળ સોનેલાલને 12 અને નિષાદ પાર્ટીને છ બેઠકો મળી હતી. અખિલેશ યાદવની સમાજવાદી પાર્ટીએ 111 બેઠકો જીતી હતી. સપાના સહયોગી સુહેલદેવ સમાજ પાર્ટીને 6 અને રાષ્ટ્રીય લોકદળને આઠ બેઠકો મળી છે.
