અલાહાબાદ,
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને અલાહાબાદ હાઇકોર્ટ તરફથી મોટી રાહત મળી છે. અલાહાબાદ હાઇકોર્ટે ૨૦૦૭ના ગોરખપુરમાં થયેલા સાંપ્રદાયિક કોમી રમખાણોના મામલે સીએમ યોગી સહિત અન્ય બીજેપી નેતાઓ સામે થયેલી પીટીશનને નામંજૂર કરી દીધી છે. નોધનીય છે કે, વર્ષ ૨૦૦૭માં તત્કાલ સાંસદ અને હાલ ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સામે ભડકાઉ ભાષણ આપવાનો આરોપ હતો.
આ અરજીમાં અપીલ કરવામાં આવી હતી કે, સીએમ યોગી અને અન્ય બીજેપી નેતાઓ પર સુનાવણી કરવામાં આવે અને આ મામલની તપાસ સીબીઆઈને આપવામાં આવે પરંતુ હાઈકોર્ટના જસ્ટિસ કૃષ્ણ મુરારી અને જસ્ટિસ એ સી શર્માની બેંચે આ પીટીશન નામંજૂર કરી છે.
મહત્વનું છે કે, આજથી લગભગ ૧૧ વર્ષ પહેલા ૨૭ જાન્યુઆરી, ૨૦૦૭માં ગોરખપુરમાં સાંપ્રદાયિક કોમી રમખાણો થયા હતા, જેમાં બે લોકોના મોત થયા હતા જયારે લોકો ધાયલ પણ થયા હતા. આ કોમી રમખાણો માટે તત્કાલ સાંસદ અને હાલ ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, ધારાસભ્ય રાધા મોહન દાસ, અગ્રવાલ અને ગોરખપુરના તત્કાલિન મેયર અંજુ ચૌધરી પર ભડકાઉ ભાષણ આપવા તેમજ દંગા ભડકાવવાનો આરોપ લાગ્યો હતો.