તાજેતરમાં જ કાશ્મીરમાં આતંકવાદીઓએ કાશ્મીરી પંડિત રાહુલ ભટ્ટની ગોળી મારીને હત્યા કરી હતી. જમ્મુ ડિવિઝનલ કમિશનર રમેશ કુમાર અને જમ્મુના એડિશનલ ડિરેક્ટર જનરલ ઑફ પોલીસ મુકેશ સિંહે બુધવારે તેમના પરિવારને નિમણૂક પત્ર અને એક્સ-ગ્રેશિયાની રકમ આપી હતી. પરિવારને વળતર અને સરકારી નોકરી આપવાનો સરકારે પોતાનો વચન પુરો કર્યો છે.
બુધવારે મોડી રાત્રે જારી કરાયેલા એક સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “સરકારે 1994ના SRO-43 હેઠળ સંગ્રામપોરા બીરવાહ બડગામના સ્વર્ગસ્થ રાહુલ ભટ્ટની પત્ની મીનાક્ષી રૈનાની કરુણાપૂર્ણ નિમણૂકને મંજૂરી આપી છે. તેમને સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા, નોવાબાદમાં નિમણૂક આપવામાં આવી છે.
પરિવારને એક્સ-ગ્રેશિયા તરીકે 5 લાખ રૂપિયાની આર્થિક સહાય પણ આપવામાં આવી છે. આ દરમિયાન જમ્મુના ડેપ્યુટી કમિશનર અવની લવાસા પણ રમેશ કુમાર સાથે હતા.કાશ્મીરી પંડિત રાહુલ ભટ્ટની ગુરુવારે બડગામના ચદૂરામાં ઓફિસની અંદર આતંકવાદીઓ દ્વારા હત્યા કરવામાં આવી હતી.
રાહુલ ભટ્ટ છેલ્લા સાત મહિનામાં આતંકવાદીઓ દ્વારા માર્યા ગયેલા બીજા કાશ્મીરી પંડિત હતા. કાશ્મીરી પંડિત સમુદાયના અગ્રણી સભ્ય રસાયણશાસ્ત્રી માખન લાલ બિંદુની 6 ઓક્ટોબર, 2021ના રોજ આતંકવાદીઓ દ્વારા ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.