આઠ રાજ્યોની 59 બેઠકો માટે 19 તારીકે મતદાન થવા જઇ રહ્યું છે અને પરિણામો 23’મેનાં દિવસે આવશે, પરંતુ તમામ રાજકીય પક્ષો પોતાને સ્પષ્ટ બહુમતિ મળી રહ્યાનાં દાવાઓ કર્યા પછી પણ ગઠબંધન માટે તમામ રસ્તા ચકાસી રહી હોવાનું સામે આવી રહ્યું છે. ભાજપ હોય, કોંગ્રેસ હોય કે પછી ગઠબંધન કે મહાગઠબંધન તમામ પોતાની ગણતરી મુજબ સત્તા સર કરવાનાં સોગઠા ગોઠવવામાં લાગી ગઇ છે. ભાજપ સત્તા ટકાવવા માટે અને કોંગ્રેસ સહિતનાં તમામ વિપક્ષી દળો નરેન્દ્ર મોદીને સત્તાથી દુર કરવા માટે મથી રહ્યા છે.
કોંગ્રેસ PM પદ સુધાનું બલિદાન આપવા બિલકુલ તૈયાર
કોંગ્રેસે તો આ મામલે સૌથી મોટો સંકેત પણ આપી દીધો છે. કોંગ્રેસનાં દિગ્ગજ નેતા દ્રારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે કોંગ્રેસ અને સાથી પક્ષોને જો બહુમતી ન મળવાની સ્થિતિનો સામનો કરવો પડે તો તે ગઠબંધન માટે પણ સંપૂર્ણ તૈયાર છે અને ફક્ત તૈયાર જ નહી પરંતુ બિનશરતિ ગઠબંધન માટે પણ તૈયાર છે. એટલું જ નહીં કોંગ્રેસનું કહેવું છે કે જો તેને ગઠબંધનમાં PM પદ પણ નહીં મળે તો પણ તે NDAને દિલ્હીથી દુર રાખવા માટે PM પદ સુધાનું બલિદાન આપવા બિલકુલ તૈયાર છે. કોંગ્રેસનાં દિગ્ગજ સિનિયર નેતા ગુલામ નબી આઝાદે જણાવ્યું છે કે કોંગ્રેસનો એકમાત્ર ઉદ્દેશ્ય NDAને કેન્દ્રમાં ફરી એક વખતથી સરકાર બનાવતી રોકવાનો છે.
NDAની સરકાર સત્તામાં પાછી ન આવે તે એક માત્ર ઉદ્દેશ
આઝાદનાં કહેવા પ્રમાણે કોંગ્રેસ પહેલાં જ તેનું સ્ટેન્ડ ક્લિયર કરી ચૂકી છે. જો ગઠબંધન માટે કોઇ સહમતિ બને છે તો અમે તેમનું નેતૃત્વ પણ સ્વીકારીશું. પરંતુ અમારું લક્ષ્ય હંમેશા એ રહ્યું છે કે NDAની સરકાર સત્તામાં પાછી ન આવે. કોંગ્રેસ સર્વ સહમતિનાં નિર્ણયને આવા સંજોગોમાં કોંગ્રેસ દ્રારા માન આપવામાં આવશે. કોંગ્રેસ લીડરની આ વાત પરથી સંકેત જાય છે કે પાર્ટી લોકસભા ચૂંટણીના પરિણામોને લઇ ખાસ ઉત્સાહિત દેખાઇ રહ્યા નથી અને ભાજપને રોકવાની કિંમત પર ગઠબંધનમાં મોટો ત્યાગ આપવા માટે પણ તૈયાર છે.
પરિણામ પર ભાજપ-કોંગ્રેસ બનેંનાં દિગ્ગજોએ જતાવી થે આશંકા
ભાજપમાંથી સ્પષ્ટ બહુમતિ ન મળવાની વાતને પોતાનાં નિવેદનમાં સમર્થન આપવામાં દિગ્ગજ નેતા અને સ્પષ્ટ વક્તાની છાપ ધરાવતા સુબ્રહ્મણીયમ સ્વામી અને ભાજપનાં બીજા દિગ્ગજ નેતા રામ માધવનો સમાવેશ થાય છે તો કોંગ્રેસમાં પણ કપિલ સિબ્બલ જેવા દિગ્ગજ નેતા આવી જ શક્યતા જતાવી ચૂક્યા છે ત્યારે કોંગ્રેસ દ્રારા PM પદને લઇને કરવામાં આવેલી સ્પષ્ટતા ધણા રાજકીય સોગઠા બદલશે તે વાત ચોકકસ છે.