દેશની સૌથી જૂની પાર્ટી કોંગ્રેસના છેલ્લા 24 વર્ષમાં પ્રથમ વખત નેહરુ કે ગાંધી કુટુંબની બહારની વ્યક્તિ પ્રમુખ તરીકે મળશે. આજે, 19 ઓક્ટોબરે કોંગ્રેસ અધ્યક્ષ પદની ચૂંટણીની મતગણતરી શરૂ કરવામાં આવી છે. બપોરે 3 થી 4 વાગ્યાની વચ્ચે પરિણામ જાહેર થવાની શક્યતા છે. દેશભરના રાજ્યોના મુખ્યાલયોમાંથી મતપેટીઓ મતગણતરી સ્થળ એટલે કે કોંગ્રેસ કાર્યાલય પર પહોંચી ગઈ છે. બુધવારે સવારે 10 વાગ્યાથી મતગણતરી શરૂ થઇ ગઇ છે, મુખ્ય સ્પર્ધા મલ્લિકાર્જુન ખડગે અને શશિ થરૂર વચ્ચે છે. બંને પક્ષના 5-5 એજન્ટો મત ગણતરીની દેખરેખ રાખશે જ્યારે બંને પક્ષના 2 એજન્ટોને અનામત રાખવામાં આવશે. મતદાન બાદ સેન્ટ્રલ ઇલેક્શન ઓથોરિટી પરિણામ જાહેર કરશે. ઓથોરિટીના જણાવ્યા અનુસાર કુલ 9915 મતદારોમાંથી 9500થી વધુ મતદારોએ મતદાન કર્યું હતું. મત ગણતરી માટે 7-8 ટેબલ ગોઠવવામાં આવશે, દરેક ટેબલ પર બે લોકો હશે.
કોંગ્રેસ ઈલેક્શન ઓથોરિટીના ચેરમેન મધુસુદન મિસ્ત્રી 11 વાગ્યે કોંગ્રેસ હેડક્વાર્ટરમાં બેઠક કરીને બાબતોને આખરી ઓપ આપશે. નવા પ્રમુખે પદભાર સંભાળવા અંગે કોંગ્રેસના સૂત્રોનું કહેવું છે કે બુધવારે ભલે પરિણામ જાહેર થશે, પરંતુ કોંગ્રેસ મુખ્યાલય ખાતે યોજાનારા કાર્યક્રમમાં વરિષ્ઠ નેતાઓની હાજરીમાં દિવાળી પછી જ ચૂંટાયેલા પ્રમુખ ચાર્જ સંભાળશે. ખડગેની જીતની સંભાવના છે, પરંતુ તે નક્કી નથી થયું કે તેઓ આવતીકાલે વિજયનું પ્રમાણપત્ર લેશે કે અલગથી આયોજન કરવામાં આવશે. અશોક ગેહલોત દિલ્હી રહેશે જ્યારે રાહુલ ગાંધી ભારત જોડો યાત્રાને આગળ ધપાવશે.