મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે જામનગર ગુરુ ગોવિંદસિંહજી સરકારી હોસ્પિટલની મુલાકાત લીધી હતી. રૂબરૂ મુલાકાત કરીને કોરોના દર્દીઓને અપાતી સારવારની જાત તપાસ કરી હતી. હોસ્પિટલ ખાતે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ દર્દીઓના સગાઓ સાથે સંવાદ સાધ્યો હતો અને દાખલ દર્દીઓ વિશે ખબર પૂછી હતી. કોરોના સંક્રમિત દર્દીઓના સગા- સંબંધીઓ સાથે રૂબરૂ સંવાદ કરીને હોસ્પિટલમાં અપાતી આરોગ્ય સેવાઓની પ્રત્યક્ષ માહિતી મેળવી હતી.મુખ્યમંત્રીએ દર્દીઓના પરિજનોને હિંમત આપી કહ્યું હતું કે, સરકાર લોકોની પડખે ઉભી છે, દર્દીઓને તમામ વ્યવસ્થાઓ પૂરી પાડવામાં આવશે.
મુખ્યમંત્રીએ આ મુલાકાત દરમિયાન હોસ્પિટલ કેમ્પસમાં દર્દીઓના સગાઓ સાથે બેસી તેમને મળી ખબર-અંતર પૂછીને તેમના દુઃખમાં સહભાગી થતા લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા. તેમના સ્વજનો જલ્દીથી સાજા થઇ ઘરે જાય તેવી શુભેચ્છાઓ આપીને આ માટે જરૂરી તમામ મદદ કરવાની રાજ્ય સરકાર વતી મુખ્યમંત્રીએ દર્દીઓના સગાઓને ખાતરી પણ આપી હતી.
સાથે જ મુખ્યમંત્રીએ જી.જી.હોસ્પિટલમાં કોવિડ ખાતે ફરજ બજાવતા ડોક્ટરો અને નર્સિંગ તેમજ પેરામેડિકલ સ્ટાફના કર્મીઓ સાથે સંવાદ સાધ્યો હતો. મુખ્યમંત્રીએ સમગ્ર સ્ટાફની સેવાને વખાણી કોવિડ સામેની આગળની લડતમાં પણ હજુ આવી જ હિંમત રાખી કામગીરી કરવા ડોક્ટરો-નર્સિંગ સ્ટાફને પ્રોત્સાહિત કર્યા હતા.