ગુજરાતમાં રાજકારણીઓ ભલે સિદ્ધાંત પક્ષે કરેલી કામગીરી કે રાષ્ટ્રીય નેતાના નામ કે મુખ્યમંત્રી પદના ચહેરા સાથે કામ કરતાં હોય તેમને ભૂતકાળમાં આવાજ કારણોસર સફળતા મળ્યાનો દાવો પણ કરાય છે. પરંતુ ઘણી વખત આમાં બાબત જૂદી જ હોય છે. પ્રધાન મંડળનાં સભ્યોની પસંદગીમાં પણ જ્ઞાતિવાદી રાજકારણ ભાગ ભજવી જતું હતું એવું ભૂતકાળમાં પણ બને છે અને આજે પણ બને છે જેમને જ્ઞાતિવાદી સમીકરણ ન હોવા છતાં હોદ્દો મળ્યો હોય તેવા નેતાઓ પણ આખરે ટિકિટોની વહેંચણી સહિતની બાબતો અંગે મહત્વ તો જ્ઞાતિવાદને જ આપતા હોય છે. કોઈપણ મહત્વનો મુદ્દો ન હોય ત્યારે જ્ઞાતિવાદી સમીકરણ જ જે-તે પક્ષને સફળતા અપાવે છે. ૧૯૮૦,૧૯૮૫માં ગુજરાતમાં માધવસિંહ સોલંકીને જે ઐતિહાસીક સફ્ળતા મળેલી અને કોંગ્રેસને ૧૪૯ બેઠકો મળેલી તેનું કારણ ઈંદિરા અને રાજીવ ગાંધીનાં ‘વેવ’ ઉપરાંત જ્ઞાતિવાદી સમીકરણ ન હતું. આ જ્ઞાતિવાદી સમીકરણ એટલે ક્ષત્રિય+હરિજન (દલિત) + આદિવાસી + મુસ્લિમ જ્ઞાતિના મતો માટે અજમાવાયેલી ખાંપ થીયરી જે કોંગ્રેસની બે ચૂંટણીની સફળતાનું કારણ બની હતી. સત્તા ગુમાવ્યા બાદ આ થીયરી અદ્રશ્ય બની ગઈ. કોંગ્રેસનાં આગેવાનોનાં વલણને લીધે આ જ્ઞાતિઓ કોંગ્રેસથી દૂર ભાગતી ગઈ અને કોંગ્રેસની પડતી શરૂ થઈ અને ૧૯૯૦ થી સત્તા ગુમાવનાર કોંગ્રેસ હજુ સુધી સત્તા પર આવી શકી નથી.
ભાજપે ૧૯૯૫માં પટેલોને સાથે રાખીને સત્તા મેળવી હતી અને તે વખતે સવર્ણ મતો લગભગ ભાજપ સાથે હતા. ૧૯૯૮માં મુંબઈનાં આગેવાનો અને સમૂહ લગ્નોત્સવ સહિતની પોતાની સામાજિક સેવાઓથી લોકપ્રિય બનેલા પરસોત્તમભાઈ સોલંકી અને હીરાભાઈ સોલંકી ગુજરાતમાં આવ્યા. થોડો વખત રાજપામાં અને પછી ૧૯૯૮માં ભાજપમાં જોડાયા અને ૧૯૯૮માં ભાજપમાં જોડાયા અને ૧૯૯૮માં ભાજપનો વિજય વાવટો ફરકાવવામાં ઓબીસી સમાજને એક મંચ પર લાવવામાં તેમની મહત્વની ભૂમિકા હતી. પરસોત્તમભાઈનાં આગમન સાથે ભાજપ સાથે કોળી મતદારો આવ્યા અને અપવાદ બાદ કરતાં અત્યાર સુધી અકબંધ છે. ભાજપે સાંસદ અને લોકસભાની ચૂંટણીમાં કોળી સમાજને પ્રતિનિધિત્વ આપવામાં પણ જરાય પાછું જોયુ નથી. રાજકીય વિશ્ર્લેષકો કહે છે તે પ્રમાણે રાજ્યમાં ૩૦ કરતાં વધુ વિધાન સભા અને ચાર જેટલી સંસદીય બેઠકો એવી છે કે, જ્યાં કોળી જ્ઞાતિની વસ્તિ છે. એક નવા અંદાજ પ્રમાણે તો જન સંખ્યાની દ્રષ્ટિએ કોળી જ્ઞાતિ ૨૩ ટકા પ્રભુત્વ ધરાવે છે. સૌરાષ્ટ્ર કચ્છની ૨૨થી ૨૫ બેઠક અને દક્ષિણ ગુજરાતની ૧૦થી ૧૨ મળી આશરે ૩૫થી ૩૭ બેઠકો ગણી શકાય ગુજરાતમાં કોળી મતદારોની સંખ્યા જોઈએ તો ભાવનગરમાં ૧૮ ટકા, સુરેન્દ્રનગરમાં ૧૫ ટકા, જૂનાગઢમાં ૧૧ ટકા, અમરેલીમાં ૧૨ ટકા, પોરબંદરમાં ૧૧ ટકા, નવસારીમાં ૧૦ ટકા, વલસાડમાં ૮ ટકા કોળી મતદારો છે. આગેવાનો પ્રમાણે જોઈએ તો ભાવનગર, અમરેલી, જુનાગઢ (ગીર સોમનાથ), પોરબંદર (માંગરોળ ચોરવાડ) અને દરિયા કાંઠાનાં કોળી સમાજ પર પરસોત્તમભાઈ સોલંકી અને હીરાભાઈનું વર્ચસ્વ છે સુરેન્દ્રનગર અને રાજકોટ જિલ્લાનાં ત્રણ તાલુકા પર કુંવરજી બાવળીયા અને સોમા ગાંડાનું વર્ચસ્વ છે.
ગુજરાતમાં ૨૦૧૬ના પાટીદાર અનામત આંદોલને ભાજપને નુકશાન કર્યુ હતું. જો કે ક્રમશ: ભાજપે આ નુકશાન સરભર કરી લીધું છે. કેન્દ્રનાં પ્રધાન મંડળમાં મનસુખભાઈ માંડવીયા અને પરસોત્તમ રૂપાલાને કેબિનેટ કક્ષાનાં પ્રધાન બનાવીને પાટીદાર સમાજને લગભગ સાચવી લીધો છે. જ્યારે ડો.મહેન્દ્ર મુંજપરા અને દેવુસિંહ ચૌહાણને રાજ્ય કક્ષાનાં મંત્રી બનાવી ઓબીસી સમીકરણ સમતુલીત કર્યુ છે. જ્યારે રાજ્યમાં પ્રદીપસિંહ જાડેજા સહિતનાં આગેવાનોને મહત્વનાં ખાતા આપી અને વરિષ્ઠ નેતા તરીકે ભુપેન્દ્રસિંહ ચુડાસમાને શિક્ષણ જેવું મહત્વનું ખાતું આપી ક્ષત્રિય સમાજને સાચવી લેવાયો હોવાનું ભાજપના નેતાઓ કહે છે.
હવે ડો.મહેન્દ્ર મુંજપરાને ૨૦૧૯માં સંસદની ટિકિટ અને હવે મહત્વનાં ખાતા સાથે રાજ્યકક્ષાનાં પ્રધાન બનાવાયા તેની પાછળ મોદી-શાહની જોડીનાં બીજા ગણિત પણ છે. પરસોત્તમભાઈ અને હિરાભાઈ સામે પહેલા શંકરભાઈ વેગડ સહિતનાં નેતાઓને મહત્વ આપ્યું હતું. ત્યારબાદ ૨૦૧૯ની લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસમાંથી આયાત કરી કુંવરજીભાઈ નેતા કે જેઓ તે સમયે અખિલ ભારતીય કોળી સમાજનાં પ્રમુખ હતા તેમને ભાજપમાં લવાયા અને રાજ્યમાં મહત્વનાં ખાતા સાથે પ્રધાન બનાવાયા. પરસોત્તમભાઈ અને હીરાભાઈ ભાજપથી નારાજ છે. અને પરસોત્તમભાઈ બીમાર રહે છે. હીરાભાઈ ૨૦૧૭માં રાજુલાની બેઠક પર પણ પરાજિત થયા. કુંવરજીભાઈ બાવળીયાનું મર્યાદિત વિસ્તારો પર વર્ચસ્વ છે. આથી ભાજપે એવો દાવ અજમાવ્યો કે ૨૦૧૪માં ભાવનગરની સંસદીય બેઠક પરથી ચૂંટાયેલા અને ૨૦૧૯માં પણ વધેલી સરસાઈ સાથે ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણી જીતેલા ડો.ભારતીબેન શિયાળને રાષ્ટ્રીય સંગઠનમાં ચાવીરૂપ જવાબદારી સોંપી રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બનાવ્યા.
બીજી બાજુ ૨૦૧૯માં ડો.મહેન્દ્ર મુંજપરા, સુરેન્દ્રનગરમાં સોમા ગાંડાનું વર્ચસ્વ તોડી સાંસદ બન્યા અને સેવાભાવી તબીબ અને સંઘના કાર્યકર એવા તબીબ નેતાને વડાપ્રધાને કેન્દ્રમાં રાજ્ય કક્ષાનાં પ્રધાન બનાવી કોળી સમાજનો એક નવો ચહેરો ઉભો કર્યો છે. સોલંકી ભાઈઓ બાદ કુંવરજી બાવળીયા અને ત્યારબાદ હવે ડોક્ટર મુંજપરા અને ડો.ભારતીબેન શિયાળને મહત્વનાં હોદ્દાઓ આપીને તેમને ઓબીસી સમાજ ભાજપની સાથે જ રહે તેવું વાતાવરણ ઉભું કરવાની જવાબદારી સોંપી છે. આવતા દિવસમાં ક્ષત્રિય કે બ્રહ્મ સમાજનાં કોઈ નેતાને મહત્વનો હોદ્દો મળે તેવી શક્યતા છે.
ગુજરાતમાં ભાંગેલી-તૂટેલી હતાશ અને કેટલાંક રાજકીય વિશ્ર્લેષકો જેને પતી ગયેલી પાર્ટી પણ કહે છે તેવી કોંગ્રેસ એક વર્ષથી પોતાનાં પ્રદેશ પ્રમુખ, વિપક્ષી નેતા કે પ્રભારીનાં નવા નામ નક્કી કરી શકી નથી. આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં ધમાકેદાર એન્ટ્રી કરી છે ભાજપ અને કોંગ્રેસનાં કેટલાંક વર્ચસ્વ વાળા નેતાઓ પણ ‘આપ’માં જોડાયા છે. સુરતમાં ભાજપના ૨૭ કોર્પોરેટરો ચૂંટાતા તે શહેર ‘આપ’ માટે ગુજરાતનું પ્રવેશ દ્વાર બન્યું છે. વર્ષોથી ભાજપનાં ગઢ ગણાતા અને પાટીદારોની વધુ વસ્તિ હોવા છતાં ૨૦૧૭ની વિધાન સભા ચૂંટણીમાં ભાજપના ગઢ તરીકે જળવાઈ રહેલા સુરતમાં ‘આપ’ની વિજય કૂચ રોકવા માટે પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ તો છે જ પરંતુ ભારે બહુમતીથી ચૂંટાતા અને પારસી હોવા છતાં તમામ સમાજનાં મતો મેળવતા દર્શનાબેન જરદોશને રાજ્ય કક્ષાના મંત્રી બનાવી સુરત અને દક્ષિણ ગુજરાતનો ભાજપનો ગઢ તૂટે નહિ તેવી જવાબદારી ગોઠવી છે.
વિશ્ર્લેષકો કહે છે તે પ્રમાણે ગુજરાતમાં એન્ટી ઈન્કમબન્સી વેવ છે જ. તેનો વિપક્ષ ફાયદો ન ઉઠાવી જાય તે પ્રમાણે ભાજપે જ્ઞાતિવાદી સમીકરણ પ્રમાણે સોગઠા ગોઠવ્યા છે.