રાજકોટમાં કોરોનાના અત્યાર સુધીના કુલ કેસ બીજા દિવસે 30 હજારને પાર નોંધવામાં આવ્યા છે.રાજકોટમાં કોરોના કેસની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે.કેસની સાથોસાથ મૃત્યુઆંક પણ વધી રહ્યો છે. આજે બપોર સુધીમાં નવા 261 કેસ નોંધાયા છે. ત્યારે શહેરમાં કુલ કેસની સંખ્યા 30589 પર પહોંચી છે. જ્યારે અલગ અલગ હોસ્પિટલમાં 5057 દર્દી સારવાર હેઠળ છે. ગઇકાલે શનિવારે 568 દર્દી કોરોનામુક્ત થતા ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો.આ ઉપરાંત રાજકોટમાં દિગંબર જૈન સમાજના અગ્રણી ઉદ્યોગપતિ પંડિત ચેતનભાઇ મહેતાનું કોરોનાને કારણે નિધન થયું છે. જેના કારણે જૈન સમાજમાં શોકની લાગણી જોવા મળી રહી છે.
રાજકોટમાં દિગંબર જૈન અગ્રણીનો જીવનદીપ બુઝાયો
રાજકોટના દિગંબર જૈન સમાજમાં પોતાની શ્રેષ્ઠ સુવાસ ધરાવતા સમાજના અગ્રણી અને જાણીતા ઉદ્યોગપતિ પંડિત ચેતનભાઇ મહેતાનો કોરોનાની બીમારી દરમિયાન દુઃખદ અવસાન થયું છે. તેઓ છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાની સારવાર લઇ રહ્યા હતા. અને અંતે તેઓ કોરોના સામે જંગ હારી ગયા હતા. તેઓ ધાર્મિક તેમજ આધ્યાત્મિક બાબતોમાં ખૂબ જ ઊંડું જ્ઞાન ધરાવતા હતા. તેમના અકાળે અવસાનથી સમાજમાં શોકની લાગણી પ્રસરી રહી છે.
તા. 24ના નોંધાયેલા કુલ પોઝિટિવ :- 462
કુલ ટેસ્ટ :- 12987
કુલ પોઝિટિવ :- 462
પોઝિટીવ રેઈટ :- 3.55 %
કુલ ડીસ્ચાર્જ :- 568
આજે બપોરે 12:00 વાગ્યા સુધીમાં કુલ પોઝિટિવ કેસ :- 261
આજ સુધીના કુલ પોઝિટિવ કેસ :- 30589
આજ સુધીમાં કુલ ડિસ્ચાર્જ : 25138
આજ સુધીમાં રિકવરી રેઈટ : 82.88 %
આજ સુધીમાં કુલ ટેસ્ટ :- 941480
પોઝિટિવિટી રેઈટ :- 3.22 %
માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સના નિયમ ભંગ બદલ 30 વ્યવસાયિક એકમો સાત (7) દિવસ માટે સીલ
રાજકોટ મહાનગરપાલિકા અને રાજકોટ શહેર પોલીસ દ્વારા વ્યવસાયિક એકમો ખાતે આવતા ગ્રાહકો અને વેપારીઓ માસ્ક પહેરી જ રાખે તે સુનિશ્ચિત કરવા સતત ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. જેમાં આજે તા.24 ના રોજ ચેકિંગ દરમ્યાન જે વેપારી માસ્ક પહેર્યા વગરના ગ્રાહકોને માલ સમાન વેચતા હતા અને પોતે પણ માસ્ક નહોતું પહેર્યું તેમજ સોશિયલ ડિસ્ટન્સ ન જાળવ્યું હોય તેવા ચા-પાનની હોટેલો સહીત કુલ 30 વ્યવસાયિક એકમો સાત (7) દિવસ સુધી સીલ કરી દેવામાં આવ્યા છે. આ કામગીરી રાજકોટ મહાનગરપાલિકા અને શહેર પોલીસની ટીમ દ્વારા કરવામાં આવી હતી.
દાણાપીઠ, માર્કેટયાર્ડ ટ્રાન્સપોર્ટ તેમજ સોની બજાર સ્વૈચ્છિક બંધ
રાજકોટમાં દાણાપીઠના વેપારીઓએ હવે લોકડાઉન લંબાવ્યું છે, આગામી 2 મે રવિવાર સુધી આ બજાર રોજ બપોરે 3 પછી બંધ રાખવા નિર્ણય કર્યો છે. દાણાપીઠ વેપારી એસોસિએશનના આગેવાનના જણાવ્યા મુજબ કોરોનાના કેસ હજુ પણ વધી રહ્યાં છે અને અમારો વેપાર-ધંધો ખાદ્યચીજોનો છે. છતાં પણ અમે સંક્રમણ અટકાવવા માટે આ નિર્ણય લીધો છે. સરકાર તમામ માટે થોડા દિવસનું લોકડાઉન આપે તો પણ તેમની સહમતિ છે. તેમજ જૂનું માર્કેટ યાર્ડ આજે બંધ રાખવામાં આવ્યું છે.
માર્કેટ યાર્ડ કે જ્યાં રોજ ટન બંધ માલ આવતો હોય છે અને રોજ પાંચથી સાત હજાર લોકોની અવર-જવર રહેતી હોય છે. 500 જેટલી દુકાનો છે તે પણ કોરોના સંક્રમણ ફેલાય નહીં માટે અગાઉ કરેલા નિર્ણય મુજબ આજના દિવસે સંપૂર્ણપણે બંધ રહેશે.ગત રવિવારે પણ જૂનું માર્કેટ યાર્ડ બંધ રહ્યું હતું અને નવી જાહેરાત ન થાય ત્યાં સુધી દર રવિવારે યાર્ડ સંપૂર્ણ બંધ પાડવા નિર્ણય લેવાયો છે.
સોમવારથી ત્રણ દિવસ રાજકોટના તમામ આશરે 700 જેટલા ટ્રાન્સપોર્ટર બંધ પાળશે અને રાજકોટ સહિત સૌરાષ્ટ્ર તથા બીજા રાજ્યોમાં રોજનું આશરે 35,000થી 40000 ટન માલનું પરિવહન પણ અટકાવી દેવાશે.
રાજકોટમાં સોની બજારમાં તારીખ 2 મે સુધી લોકડાઉન લંબાવવા માટે ગોલ્ડ ડીલર્સ એસોસિયેશનનો નિર્ણય કરવામાં આવ્યો છે. સોની બજારના તમામ સભ્યોની ઓએ આ નિર્ણયને આવકાર્યો છે. એવું સોની બજારના ગોલ્ડ ડીલર્સ એસોસિયેશનના ભાયાભાઈ સાહોલિયાએ જણાવ્યું હતું.