એક તરફ કોરોના વિશ્વવ્યાપી કેર વરસાવી રહ્યો છે, ત્યારે બીજી તરફ ઓસ્ટ્રેલિયા તરફથી એક સારા સમાચાર સામે આવ્યા છે. જણાવી દઇએ કે, ઓસ્ટ્રેલિયા કોરોના વાયરસથી મુક્ત થવાની આરે છે. રવિવારે, ઓસ્ટ્રેલિયામાં ઇસ્ટર તહેવાર ખૂબ ઓછા પ્રતિબંધો સાથે ઉજવવામાં આવ્યો.
તેનું કારણ એ છે કે ઓસ્ટ્રેલિયામાં કોઈ નવો કોરોના કેસ સામે આવ્યો નથી. સમગ્ર વિશ્વમાં સફળતાપૂર્વક કોરોના સામે લડનારા દેશોમાંથી એક, ઓસ્ટ્રેલિયાનો ક્વીન્સલેન્ડ એ કોરોના વાયરસનું કેન્દ્ર બન્યું હતું. પરંતુ છેલ્લા ત્રણ દિવસમાં અહીં એક જ કોરોનાનો કેસ સામે આવ્યો છે. જાહેર જનમેદની એકઠી થવાને કારણે ઓસ્ટ્રેલિયામાં ખૂબ જ કડક પ્રતિબંધો લાદવામાં આવ્યા હતા, જેના કારણે ઓસ્ટ્રેલિયા આજે કોરોના મુક્ત હોવાના આરે છે. ગયા વર્ષે ઇસ્ટરનાં દિવસે, ઓસ્ટ્રેલિયાનાં લોકો કોરોનાને કારણે તેમના ઘરોમાં બંધ થઈ ગયા હતા, તે મોલ પર ન જઇ શક્યા કે પરિવાર સાથે ફરવા માટે બીચ પર પણ ન જઇ શક્યા. પરંતુ હવે પરિસ્થિતિ સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે.
ઓસ્ટ્રેલિયાનાં નાગરિકો ચાર દિવસની રજા માણવા માટે તેમના ઘરની બહાર નીકળી રહ્યા છે. આપને જણાવી દઈએ કે, ઓસ્ટ્રેલિયામાં 2016 ની વસ્તી ગણતરી મુજબ 86 ટકા લોકો ખ્રિસ્તી મતનાં છે. અને ખ્રિસ્તી ધર્મમાં ઇસ્ટર તહેવારનું વિશેષ મહત્વ છે, બીજી તરફ, બાકીનાં ખ્રિસ્તી દેશોમાં, લોકડાઉન લગાડવામાં આવી રહ્યું છે અથવા ઇસ્ટર પર લોકોનાં મેળાવડા પર પ્રતિબંધો લાદવામાં આવી રહ્યા છે. ઓસ્ટ્રેલિયામાં અત્યાર સુધીમાં માત્ર કોરોનાનાં 29,300 કેસ નોંધાયા છે અને કોરોનાને કારણે 909 મૃત્યુ થયા છે, જે બાકીનાં મોટા દેશો કરતાં ઘણા ઓછા છે.
બીજી તરફ, બાંગ્લાદેશ જેવા દેશમાં પણ ફરીથી કોરોનાનો પ્રકોપ વધી રહ્યો છે, ત્યાંની સરકારે સોમવારથી સમગ્ર દેશમાં લોકડાઉન કરવાની જાહેરાત કરી છે. પેસેન્જર ટ્રેન કે ઘરેલુ ફ્લાઇટ્સ ત્યાં દોડશે નહીં જો કે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ ચાલુ રહેશે. બાંગ્લાદેશ સરકારે એમ પણ કહ્યું છે કે જો લોકડાઉનનાં આ 7 દિવસમાં પણ જો કોરોનાને નિયંત્રિત કરી શકાશે નહી, તો આ પ્રતિબંધો હજી પણ આગળ વધી શકે છે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ…