અમદાવાદ અને સુરત પછી હવે વડોદરામાં પણ કરર્ફ્યુનો સમય બદલાયો છે. વડોદરામાં રાત્રી કર્ફ્યુનો સમય 10ના બદલે 9 વાગ્યાનો કરવામાં આવ્યો છે. હવે વડોદરામાં રાતે 9 થી 6 દરમ્યાન વડોદરામાં કરફ્યુ રહેશે. તો અમદાવાદની જેમ વડોદરામાં પણ શનિ-રવિમાં મોલ, મલ્ટીપ્લેક્સ બંધ રહેશે. OSD સાથેની બેઠક બાદ આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.
મહત્વનું છે કે ગુજરાત રાજ્યમાં કોરોના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ વકરેલો કોરોના દિન પ્રતિદિન આગળ જ વધી રહ્યો છે. રાજ્યના આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર છેલ્લા 24 કલાકમાં 1276 નવા કેસ સામે આવ્યા છે. જે સાથે રાજ્યમાં કુલ કેસનો આંકડો 2,82,449 પર પહોચ્યો છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં ૩ લોકોનાં મૃત્યુ થયા છે. રાજ્યમાં આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 889 છે. ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યામ 2,72,332 છે. રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 5684 છે. જો કે હાલમાં રાજ્યમાં રસીકરણ ચાલુ છે.
જો ચાર મહાનગરોની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં કોરોનાના 298 કેસ, સુરતમાં 324 કેસ, વડોદરામાં 111 જ્યારે રાજકોટમાં કોરોનાના કુલ 98 કેસો નોંધાયા છે.