ગાંધીનગર
સેટેલાઇટની 6 ડિસેમ્બરે સવારે સાડા પાંચ વાગ્યે લીધેલી તસ્વીર પ્રમાણે ઓખી વાવાઝોડુ નબળું પડી ગયું છે અને હવે ગુજરાત માથેથી મોટો ખતરો ટળ્યો છે.આ તસ્વીર પ્રમાણે ઓખી સુરત-નવસારીથી 280 કિલોમીટર દુર છે અને તેની તીવ્રતામાં ઘણો ઘટાડો થયો છે.
રાજ્યના મહેસુલ સેક્રેટરી પંકજ કુમારે કરેલી ટ્વીટ પ્રમાણે ઓખી વાવાઝોડુ હવે લો પ્રેશર એરિયામાં ફેરવાયું છે.હવે ચિંતાનું કોઇ કારણ નથી.ધીમી ધારે વરસાદ પડી શકે છે.આવતીકાલથી વાતાવરણ બહેતર થઇ જશે.
હવામાન વિભાગે આપેલા સ્ટેટમેન્ટમાં જણાવ્યું છે કે બુધવારની મધ્યરાત્રીથી ઓખી નબળું પડી જશે અને સંભાવના છે કે તે ગુજરાતના તટ સુધી પહોંચશે ત્યાં સુધીમાં સામાન્ય થઈ જશે.
જો કે ઓખી નબળું પડ્યું હોવા છતાં રાજ્યનું સરકારી તંત્ર હજુ 24 કલાક સુધી હાઇ એલર્ટ પર છે.રાજ્યમાં વાવઝોડાને કારણે ધાબા પરના હોડિંગ્સ, રોડ પરના સાઇનબોર્ડ, સ્ટ્રીટલાઇટો, ઝાડ, કામચલાઉ બાંધકામ, બાંધકામની સાઇટો પર બાંધેલા ટેકાઓ વગેરે તૂટી પડવાની સંભાવના હોવાથી તેનાથી દુર રહેવાની અપીલ કરાઇ છે. ફાયરના તમામ કર્મીઓની રજાઓ રદ કરીને તેઓને ખડેપગે રહેવાની સુચના અપાઇ છે. તંત્રએ એનડીઆરએફથી લઇને બીજી રેસક્યુ ટીમોને તૈનાત રાખી છે.
અમદાવાદમાં વરસાદ અને વાવાઝોડાની સ્થિતિને જોતા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તકેદારીના ભાગરૃપે અમદાવાદ ફાયર બ્રિગેડની બે ટીમોને ધંધૂકા અને ધોલેરામાં તૈનાત કરવામાં આવી છે. સુરતના હજીરા પાસે દરિયામાંથી ગેસ કાઢવાના 5 બેઝિનનું કામકાજ તાત્કાલિક ધોરણે બંધ કરાવાયું છે. સુરત શહેરમાં જનજાગૃતિ માટે 13 લાખથી વધુ એસએમએસ કરાયા છે. સુરતના દરિયાકાંઠે આવેલા 29 ગામના 3,360 લોકોનું સ્થળાંતર કરાયું છે.
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે સુરતના દક્ષિણ પશ્ચિમ કિનારાથી 240 કિલોમીટર દૂર ઓખી નબળું પડી ગયું છે. હવામાન વિભાગના પૂર્વાનુમાનન મુજબ, ગઈકાલે સાંજના સમયે પૂર્વ મધ્ય અરબ સાગરથી ઉત્તર-પૂર્વી દિશામાં વધતા ચક્રવાતમાં 18 કિલોમીટર પ્રતિકલાકનો ઘટાડો આવ્યો છે’
હવામાન વિભાગે જણાવ્યું કે, એવું શક્ય છે કે ગુજરાતના દક્ષિણ કિનારા તરફ અને ઉત્તર પૂર્વમાં વધતા તે 5-6ની મધ્ય રાત્રીએ ચક્રવાત નબળું પડી જશે.’ હવામાન વિભાગે કરેલી આગાહી સાચી પડી અને ગુજરાતના દરિયા કિનારા પર ત્રાટકે તે પહેલા જ ઓખી નબળું પડી ગયું છે. જોકે, દરિયા કિનારે સર્જાનારા તોફાનના ખતરાની ચેતવણીને હવામાન વિભાગે પાછી નથી લીધી કારણ કે હજુ પણ સમુદ્રમાં ઝડપી પવનની સાથે ભારે વરસાદની આશંકા વ્યક્ત કરાઈ રહી છે.
હવામાન વિભાગના નિર્દેશક જયંત સરકારે કહ્યું, ‘ચક્રવાત પહેલા કરતા નબળું પડી ગયું છે અને આગળ જતા તે વધારે નબળું પડતું જશે. શક્ય છે કે ગુજરાતના દરિયા કિનારા પર તે ટકરાશે નહીં અને દરિયા કિનારા સુધી પહોંચે તે પહેલા તે નબળું પડી જશે.’ તેમણે જણાવ્યું હતું કે, શિયાળામાં પર્યાવરણની સ્થિતિઓના કારણે ચક્રવાત નબળું પડી ગયું છે પણ જો ચોમાસું કે તેના પહેલા આ સ્થિતિ સર્જાઈ હોત તો અલગ સ્થિતિ બની હોત.
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ચક્રવાત નબળું પડવા છતાં ગુજરાતના કેટલાક વિસ્તારોમાં આગામી ત્રણ દિવસ સુધી વરસાદ થવાની સંભાવના છે અને આગામી કલાકો સુધી કેટલાક વિસ્તારોમાં વરસાદ રહેશે અને દરિયો અશાંત રહેશે. હવામાન વિભાગે માછીમારોને પણ આગામી 2 દિવસ સુધી દરિયામાં ન જવાની ચેતવણી આપી છે.