ભારતમાં કોરોના સંકટને ટાળવા માટે કેન્દ્ર સરકાર દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. રેલ્વે મંત્રાલયે કહ્યું કે ભારતીય રેલ્વે કેન્દ્ર સરકારના સ્વાસ્થ્ય સંભાળના પ્રયત્નોમાં સંપૂર્ણ સહયોગ આપી રહી છે. રેલવે દ્વારા કુલ 5601 ટ્રેનના કોચને કોવિડ કેર સેન્ટર્સમાં પરિવર્તિત કર્યા છે. હાલમાં, ‘કોવિડ કેર સેન્ટર્સ’ તરીકે ઉપયોગ માટે કુલ 3816 કોચ ઉપલબ્ધ છે, જે કોવિડ કેર સેન્ટર્સને સોંપવામાં આવી શકે છે.
24 એપ્રિલ સુધી, પશ્ચિમ રેલ્વે હેઠળ મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લામાં 21 કોવિડ કેર કોચ તૈનાત કરવામાં આવ્યા છે. આ કોવિડ કેર કોચમાં કુલ 47 દર્દીઓ દાખલ થયા છે. મધ્યપ્રદેશ સરકારે ભારતીય રેલ્વેને પશ્ચિમ મધ્ય રેલ્વેના હબીબગંજ રેલ્વે સ્ટેશનો પર 20 કોવિડ કેર કોચ અને ભોપાલમાં 20 કોવિડ કેર કોચ ગોઠવવા વિનંતી કરી છે. આ કોવિડ કેર કોચ 25 એપ્રિલથી રાજ્ય સરકારને સોંપવામાં આવશે.
ઉત્તર રેલ્વેમાં, શકુર બસ્તી ખાતે 50 કોવિડ કેર કોચ, આનંદ વિહાર ખાતે 25 કોવિડ કેર કોચ, વારાણસી ખાતે 10, ભદોહી ખાતે 10 અને ફૈઝાબાદ ખાતે 10 કોવિડ કેર કોચ ગોઠવવામાં આવ્યા છે. શકુર બસ્તીમાં રાખેલા કોવિડ કેર કોચમાં કુલ 3 દર્દીઓ દાખલ થયા છે.