@હિંમતભાઈ ઠક્કર, ભાવનગર
કેન્દ્રના પ્રધાનમંડળમાં તાજેતરમાં થયેલા ફેરફારો ૧૪ પ્રધાનોની રવાનગી અને તે પૈકી એક થાવરચંદ ગેહલોતની રાજ્યપાલ તરીકે નિયુક્તિ એ નવા ચહેરાઓની નિમણૂક સુધી ઠીક છે. ગૃહ, સંરક્ષણ, નાણા સહિત પાંચ ખાતાઓ યથાવત રખાયા છે, બાકીના ફેરવાયા છે. સહકાર મંત્રાલય ગૃહમંત્રીને વધારાના હવાલા તરીકે સોંપાયું છે. રવિશંકર પ્રસાદ અને પ્રકાશ જાવડેકરની કેબિનેટમાંથી વિદાય ચર્ચાનો વિષય છે. ૨૦૧૪ થી કેટલાક પ્રધાનો મોદીના પ્રધાનમંડળમાં છે તેઓમાં બધું સરખું નથી. કહી ખુશી કહીં ગમ જેવો માહોલ છે. ભલે કોઈ જાહેરમાં કશું બોલતું ન હોય પણ જેમના ખાતાને અસર થઈ છે અથવા તો વડાપ્રધાન મોદીએ જેમની પણ સારા પરફોર્મન્સ અંગે જાહેરમાં પીઠ થાબડી છે તેવા પ્રધાનોના મનમાં પણ એવી લાગણી છે કે ભલે આપણને કેબિનેટમાં ચાલુ તો રાખ્યો. મહારાષ્ટ્રના મુંડે પરિવારને રાજ્ય કક્ષાના પ્રધાન તરીકે સ્થાન મળવાનું હતું પણ પ્રિતમ મુંડેના બદલે પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસના માનીતા એવા સરવડેેને સ્થાન મળ્યું. જાે કે નાગપુરના સાંસદ અને પીઢ નેતા તેમજ આર.એસ.એસ.ના શિસ્તબદ્ધ સૈનિક જેવા કેન્દ્રિય મંત્રી નીતિન ગડકરીને ફરીવાર રાજકીય વિશ્લેષકોના મતે વધુ એકવાર અન્યાયરૂપી વિષનો પ્યાલો ગટગટાવી જવાનો વારો આવ્યો છે.
નાગપુરમાં વર્ષોથી સાંસદ તરીકે ચૂંટાતા ગડકરીને ૨૦૧૪માં પણ મોદી કેબિનેટમાં સ્થાન મળ્યું હતું ત્યારે પણ તેમની પાસે શહેરી વિકાસ અને પોર્ટ સીપીંગ અને રોડ ટ્રાન્સપોર્ટ જેવા મહત્વના ખાતા હતા. ૨૦૧૬માં તેમની પાસેથી બે ખાતા લઈ લેવાયા. ૨૦૧૯માં તેમના એ બે ખાતા સ્વતંત્ર હવાલા તરીકે બીજાને સોંપાયા. ત્યારબાદ નીતિન ગડકરી પાસે રોડ ટ્રાન્સપોર્ટ અને મીડિયમ એન્ડ સ્મોલ ઈન્ડસ્ટ્રીઝને લગતું ખાતું હતું. આ બે વધુ ભારણવાળા ખાતાઓ હોવા છતાં ગડકરીનું પ્રદર્શન બન્નેમાં સારૂ હતું. તેમાંય રોડની બાબતમાં તો નવા રોડની પરંપરા અને જૂના રોડને ફોરલાઈન હોય તો સિક્સલેન કરવાની કામગીરી અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખૂદ એકથી વધુ વખત તેમના વખાણ કર્યા હતા.
એમ.એસ.એમ.ઈ.માં પણ ગડકરીની કામગીરી સારી હતી. ઈન્ફ્રાસ્ટ્રકચર ઉભું કરવા બાબતમાં તેમની માસ્ટરીનો ઉલ્લેખ કરીને વડાપ્રધાન તો ઠીક પણ તેમના પ્રકર ટીકાકાર ગણાતા પ્રો. સુબ્રમણ્યમ સ્વામીએ પણ કહેલ કે ગડકરી પાસે જાે આરોગ્ય મંત્રાલય હોત તો રેમેડેસિવર ઈન્જેકશન કે ઓક્સિજનની અછતની જે પરિસ્થિતિ કોરોનાની બીજી લહેર સમયે ઉભી થઈ તે ઉભી થઈ ન હોત. ગડકરીના નજીકના સૂત્રો કહે છે તે પ્રમાણે તેમની કામગીરીની કદર કરીને વડાપ્રધાન તેમને આરોગ્ય અગર નાણા મંત્રાલય સોંપશે તેવી આશા હતી. સારા વિભાગો સોંપવા તો બાજુએ રહ્યાં પણ નીતિન ગડકરી પાસે ઔદ્યોગિક વિકાસના દ્વાર ખોલી શકે તેવું મિડિયમ એન્ડ સ્મોલ ઈન્ડસ્ટ્રીઝવાળું એટલે કે એમ.એસ.ઈ.ખાતું હતું તે પણ લઈ લેવાયું છે અને આ ખાતું પહેલા શીવસેના અને પછી કોંગ્રેસ છોડી ભાજપમાં આવેલા નારાયણ રાણેને અપાયું છે. હવે આ બાહોશ અને કામઢા મંત્રી પાસે માત્ર એક જ ખાતું રહે છે અને તે છે રોડ અને ટ્રાન્સપોર્ટ. નીતિન ગડકરીએ આ અંગે જાહેરમાં ભલે સંઘના શિસ્તબદ્ધ સૈનિક તરીકે ભલે ન કાઢ્યો હોય પરંતુ તેમના સાથીદારો અને તેમાંય ખાસ કરીને સંઘના સાથીદારો તો નારાજ છે જ તે પણ હકિકત છે. ભલે જાહેરમાં મૌન રહેલા ગડકરી કદાચ સંઘ પાસે દાદ માગે પણ ખરા. તેમના કેટલાક સમર્થકોએ તો આર.એસ.એસ.ના મોવડીઓ સુધી આ વાત પહોંચાડી દીધી છે. તેના પડઘા અને પડછંદા કેવા પડે છે તે જાેવાનું રહે છે. ગડકરીનું મહત્ત્વનું ખાતું બબ્બે પક્ષ બદલનારા નારાયણ રાણેને સોંપાયું તે બાબતની તો ઘણા લોકોએ નોંધ લીધી જ છે.આ એક વાસ્તવિકતા છે. જેની કોઈ ના પાડી શકે તેમ નથી. ગડકરી ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ હતા ત્યારે જ મોદી પક્ષના પ્રચારનો હવાલો સંભાળ્યો હતો તે પણ ઉલ્લેખનિય બાબત છે.
મહારાષ્ટ્રના એક વિશ્લેષકે ત્યાં સુધી નોંધ્યું કે આમા પણ મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી ફડનવીસે જ ભૂમિકા ભજવી છે. મહારાષ્ટ્રના રાજકારણને સીધી રીતે સ્પર્શે તેવી બીજી ઘટના એ છે કે ૨૦૧૪માં મોદીની કેબિનેટમાં સ્થાન પામનારા મહારાષ્ટ્રમાં ભાજપને મજબૂત બનાવવા મહત્ત્વની ભૂમિકા ભજવનારા ગોપીનાથ મુંડેને મહત્ત્વના ખાતા સાથે કેબિનેટ પ્રધાન બનાવાયા હતાં. તેમનું ટૂંકાગાળામાં અકાળ અવસાન થયું. તે મહારાષ્ટ્ર ભાજપની કમનસીબી હતી. હવે ગોપીનાથ મુંડે અને તેમના સાળા પ્રમોદ મહાજનની જાેડીએ જ મહારાષ્ટ્રમાં ભાજપને મજબૂત બનાવવા કોઈ કસર રાખી નહોતી તે હકિકત છે. હવે ગોપીનાથ મુંડેની બન્ને પુત્રીઓ પૈકી પંકજા મુંડે ૨૦૧૪માં બીજીવાર મહારાષ્ટ્ર વિધાનસભામાં ચૂંટાઈ અને તત્કાલીન મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસે કેબિનેટમાં સ્થાન પણ આપ્યું હતું પણ પંકજા મુંડે સામે ભ્રષ્ટાચારનો આક્ષેપ થયા બાદ તેમને સત્તા છોડવી પડી હતી. વિધાનસભાની ૨૦૧૯માં યોજાયેલી ચૂંટણીમાં પંકજા મુંડે તેમના જ પિત્રાઈ ભાઈ અને એન.સી.પી.ના આગેવાન ધનંજય મુંડે સામે હારી ગયા હતા. ઘણા તો એમ પણ કહે છે કે તેમને હરાવવાનું ષડયંત્ર મુંબઈમાં જ ઘડાયું હતું. જે હોય તે પણ પંકજા ત્યારબાદ હાંસિયામાં ધકેલાઈ ગયા છે. જ્યારે ગોપીનાથ મુંડેની પ્રણાલિકાગત બેઠક બીડમાંથી ચૂંટાયેલા મુંડેના બીજી પુત્રી પ્રિતમ મુંડેને બે-બે વખતની જીત એ આ વખતે વિસ્તરણમાં તેમને ચાન્સ મળશે તે નક્કી હતું પણ આવું બન્યું નથી અને તેમના બદલે ગોપીનાથ મુંડેના સલાહકાર રહેલા સરવડેને સ્થાન મળ્યું છે. હવે મુંડેના પરિવારને જાે દેવેન્દ્ર ફડનવીસના પ્રયાસોથી હાંસિયામાં ધકેલી દેવાયા હોય તો પછી પ્રમોદ મહાજનના સાંસદ પુત્રી પુનમ મહાજનને તો કેબિનેટમાં સ્થાન ક્યાંથી મળવાનું હતું ? પ્રમોદ મહાજન અને ગોપીનાથ મુંડેની ચિરવિદાય પછી જ ભાજપ અને શિવસેનાના વર્ષો જૂના મૈત્રીભર્યા સંબંધોમાં ખટરાગ ઉભો થયો હતો ને ઉધ્ધવ ઠાકરેને એના સી.પી. અને કોંગ્રેસના ટેકાથી સરકાર રચવી પડે તેવી સ્થિતિનું સર્જન થયું હતું. હવે ભાજપ સેનાના સંબંધો સુધરી રહ્યાની વાતો છે પણ એક અહેવાલ પ્રમાણે ભાજપના નેતાઓ જ આમાં અવરોધ ઉભો કરી રહ્યાં છે.