સુરેન્દ્રનગર/ સાયલાના વખતપર ગામ પાસે મેડિકલ વેસ્ટનો નિકાલ, અજાણ્યા શખ્સો કેમિકલનો જોખમી જથ્થો ફેંકી ગયાની ચર્ચા

સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના વખતપર ગામ નજીક અજાણ્યા શખ્સો કેમિકલ વેસ્ટનો જથ્થો ફેંકી નાસી ગયા હતા, તેને હજુ સુધી દૂર કરવામાં આવ્યો ન હોવાથી ગ્રામજનોમાં રોગચાળાની દહેશત પ્રવર્તે છે

Gujarat
9 24 સાયલાના વખતપર ગામ પાસે મેડિકલ વેસ્ટનો નિકાલ, અજાણ્યા શખ્સો કેમિકલનો જોખમી જથ્થો ફેંકી ગયાની ચર્ચા

સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના વખતપર ગામ નજીક અજાણ્યા શખ્સો કેમિકલ વેસ્ટનો જથ્થો ફેંકી નાસી ગયા હતા. તેને હજુ સુધી દૂર કરવામાં આવ્યો ન હોવાથી ગ્રામજનોમાં રોગચાળાની દહેશત પ્રવર્તે છે. કેમિકલનો જોખમી જથ્થો દૂર કરવા માટે અગાઉ જૂઆતો કરવામાં આવી હોવા છતાં કોઈ કાર્યવાહી નહીં થતાં ખેડૂતો દ્વારા વધુ એક વખત મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યુ હતુ. અને તાકિદે કેમિકલ વેસ્ટનો નાશ કરવા રજૂઆત કરવામાં આવી છે. સાયલા વખતપર પાસે રાતના સમયે 8થી 10 ગાડીમાં ભરેલો કેમિકલ વેસ્ટનો જથ્થો અજાણ્યા માણસો ઠાલવીને પલાયન થઇ ગયા હતા.

ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોડર્ની શાખા દ્વારા સાયલા પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ હતી. તેમ છતાં આજ દિન સુધી કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી. તેમજે આરોપીઓને ઝડપી લઇ તેમની સામે કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી. આ કચરામાંથી બેન્જીન જેવી તિવ્ર દુર્ગંધ આવી રહી હોવાથી ગ્રામજનોનું આરોગ્ય જોખમાઇ રહ્યું છે. ગરમીની મોસમ ચાલુ થઇ જતાં હવે આવા જ્વલનશિલ કેમિકલમાં ગમે ત્યારે અનિચ્છનિય ઘટના બની શક તેવી દહેશત પ્રવર્તે છે.

ચોમાસામાં કેમિકલયુક્ત પાણી જમીનમાં પ્રસર્યુ હોવાની દહેશત

કેમિકલના જોખમી જથ્થાનો તંત્ર દ્વારા નાશ કરવામાં આવ્યો ન હોવાથી ચોમાસાની સિઝનમાં કેમિકલમુક્ત પાણી ખેતરો, બોર, કૂવામાં જવાની દહેશત પણ ખેડૂતો દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. પર્યાવરણ અને માલઢોરને પણ નુકશાન થવાની શક્યતા ઉભી થઈ છે. તેમ છતાં આજ દિવસ સુધી આ કેમિકલ વેસ્ટ ઉપાડવામાં આવ્યો નથી. તેથી મનુભાઈ માનસંગભાઈ સિંઘવ સહિતના ખેડૂત અગ્રણીઓ અને ગ્રામજનો દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવી જવાબદારો સામે પગલા ભરવા રજૂઆત કરવામાં આવી છે.