અમદાવાદઃ કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ બિહારની તર્જ પર ગુજરાતમાં પણ જાતિ આધારિત વસ્તી ગણતરી (Caste Based Census) ની માગ કરી છે. બિહારમાં તાજેતરમાં જાતિ ગણતરીનો રિપોર્ટ જાહેર કર્યો છે. અમિત ચાવડાએ કહ્યું કે આ મુદ્દો બહુમતી સમાજને સ્પર્શતો છે. પીડિત શોષિત દલિત વર્ગને કેવી રીતે સામાન્ય પ્રવાહમાં લાવવો તેની વાત છે. સામાજિક રાજકીય બજેટમાં દરેક સમાજનો હિસ્સો છે.
અમિત ચાવડા (Amit Chavda)એ કહ્યું કે 2011માં સામાજિક આર્થિક અને જાતિ વસ્તી ગણતરી હાથ ધરવામાં આવી હતી. જેમાં દરેક સમાજની આર્થિક સામાજિક ડેટા પણ મેળવવામાં આવ્યા હતા. કેન્દ્ર સરકાર પાસે ડેટા હોવા છતાં જાહેર કરતા નથી. રિપોર્ટ જાહેર નહીં કરાતા સમાજમાં કોની કેટલી ભાગીદારી છે, કોને કેટલો લાભ મળે તે જાણી શકાતું નથી. આ અસમાનતા દૂર કરવા જાતિ આધારિત ડેટા જાહેર કરવો બહુ જરૂરી છે. બહુમતી ધરાવતી વસ્તીને જરૂરી ન્યાય અધિકાર મળતા નથી.
અમિત ચાવડાએ કેન્દ્રની ભાજપ સરકાર પર ચાબખા મારતા કહ્યું કે ઓબીસી માટે અલગ વસ્તી ગણતરી કરવામાં નહીં આવતા ઝવેરી કમિશનની નિમણુક કરાઈ હતી. આ સરકારે સુપ્રીમ કોર્ટની અવગણના કરી, ઝવેરી કમિશનના રિપોર્ટની પણ અવગણના કરી.
વસતીના આધારે બજેટની ફાળવણી કરવી જોઈએ, સામાજિક રાજકીય રીતે ફાળવણી કરવી જોઈએ. 80 ટકા કરતાં વધુ વસ્તી છે તેને સંસાધનો, નોકરીમાં અનામતની જરૂર છે. જો સરકારને SC, ST, OBC સમાજને ન્યયાય આપવાની વાત કરવી હોય તો જાતિ આધારિત વસ્તી ગણતરી કરી તેનો ડેટા જાહેર કરે.