જ્યાં નાનામાં નાના માનવીની વાત સાંભળી રાજધર્મ બજાવતો હતો આજે તો શાસક સામે અવાજ ઉઠાવનારને જ બદનામ કરાય છે
@હિંમતભાઈ ઠક્કર, ભાવનગર
છેલ્લા થોડા સમયથી આપણા દેશમાં મર્યાદા પુરૂષોત્તમ ભગવાન રામના નામનો ગમે ત્યાં ઉપયોગ થાય છે. ખાસ કરીને કોઈ પણ પ્રકારની ચૂંટણી આવે ત્યારે કરોડો લોકોની આસ્થાના પ્રતીક એવાં શ્રીરામને યાદ કરાય છે. પશ્ચિમ બંગાળની ચૂંટણી વખતે ઘણી સભાઓમાં જય શ્રી રામના નારાઓ બોલાવતા રાજકારણીઓ પોતાના રાજકીય લાભ માટે રામરાજ્યની વાતો કરતા હતા.
ભગવાન રામના જીવનના અનેક પ્રસંગો એવા છે કે તેમણે હસતા મોઢે દુઃખ સહન કર્યા છે. રાવણ વધ બાદ લંકાની ગાદી વિભીષણને સોંપી વચન પાળી બતાવ્યું હતું. આ પહેલા સુગ્રીવને પણ રાજા બનાવવાનું વચન પાળ્યું હતું. પિતાના વચન પાલન માટે ૧૪ વર્ષ વનવાસ ભોગવવાની વાત તો જગજાહેર છે, સમયસર એટલેકે ૧૪ વર્ષ બાદ અયોધ્યામાં હાજર થવાનું ભરતને આપેલું વચન પણ પાળ્યું હતું.વચનપાલન અને પ્રતિજ્ઞપાલન એ રામરાજ્યનું મુખ્ય લક્ષણ છે.
અયોધ્યાની ગાદી સંભાળતી વખતે પણ રામે જે વાતો કહેલી તે પોતાના શાસન દરમિયાન પાળી બતાવી હતી. આ વાતો આજના રાજકારણીઓના જુમલા જેવી તો હરગીઝ નહોતી. ભગવાન રામની કથની અને કરણી એક સમાન હતી.
અયોધ્યામાં ભગવતી ગણાતા સીતાજી માટે કેટલાક તત્વોએ અણછાજતી વાતો કરી, રાવણની લંકામાં ૧૩ માસ અશોકવાટિકામાં રહેલા સીતાજીને રામે રાજ સિંહાસન પર બેસાડવા બાબતની ટકોર થતાં ભગવાન રામ પોતે ગુપ્તવેશે આ બાબતની ખાતરી કરી હતી. જોકે કથા કહે છે તે પ્રમાણે ભગવતી સીતાએ પણ પોતાની પરિચારિકા મારફત વિગતો જાણ્યા બાદ રાજા રામને પત્નીનો મોહ રાખ્યા વગર રાજા તરીકેનું કર્તવ્ય નિભાવવા સલાહ આપી હતી અને રઘુકુલને કલંક ન લાગે તે માટે વનમાં જવા આજ્ઞા માંગી હતી. કથા કહે છે તે પ્રમાણે ગર્ભવતી હોવા છતાં સીતાજી વનમાં ગયા તે દિવસથી રામ રાજમહેલમાં રહેતા હોવા છતાં જમીન પર સુવાનું પસંદ કર્યું હતું.
ભગવતી સીતાએ પણ પતિને આપેલા વચન મુજબ પોતાના સંતાનો લવ અને કુશને ઉછેર્યા હતા. ભગવાન રામે અયોધ્યામાં અશ્વમેઘ યજ્ઞ કર્યો અને અશ્વમેઘ યજ્ઞના અશ્વને લવ અને કુશે રોક્યો, અયોધ્યાની સેના ઉપરાંત શત્રુઘ્ન,લક્ષ્મણ, ભરત તેમજ સુગ્રીવને મૂર્છિત કરી દીધા; હનુમાનજીને પણ બાંધી દીધા લવ અને કુશને ઓળખી ગયેલા પવન પુત્ર જાતે બંધાઈ પણ ગયા.
ભગવાન રામ આવે તે પહેલાં રાજા સુગ્રીવે લવ કુશ ના પિતાનું નામ જાણવા માગ્યું ત્યારે લવે કહ્યું તમે યુધ્ધ કરવા આવ્યા છો અમારા વિવાહ માટે નહીં માટે યુદ્ધ કરો. ત્યારબાદ ભગવાન રામ આવી પહોંચે છે અને રામ અને લવકુશ વચ્ચે ઉગ્ર સંવાદ થાય છે પિતા પુત્ર સામસામા તીર ચડાવે છે,જો કે તે પહેલાં રામ એમ કહે છે કે મને તમારા પ્રત્યે ક્રોધ નહિ લાગણી થાય છે. પિતા પુત્ર વચ્ચે યુધ્ધ શરૂ થાય તે પહેલાં મહર્ષિ વાલ્મિકી આવી પહોંચે છે અને બન્નેને સમજાવે છે. લવ અને કુશ રાજા પિતાતુલ્ય ગણાય તેવા ગુરૂજીના આદેશ બાદ માફી માંગે છે.લવ કહે છે કુશ અયોધ્યાના મહારાજા રામને એક પ્રશ્ન પૂછવા માંગે છે.ભગવાન રામ કહે છે ‘પૂછો’, ત્યારે કુશ પૂછે છે, :ભગવતી સીતા પવિત્ર છે તેવું માનતા હોવા છતાં તેમનો ત્યાગ કેમ કર્યો ?’. ત્યારે રામ કહે છે, ‘રાજધર્મ બજાવવા રાજાની ફરજ હોય છે કે નાનામાં નાના પ્રજાજનની વાત સાંભળવી, જરૂર પડે એ માટે પોતાના પ્રિયજનનો ત્યાગ કરવાની તૈયારી રાખવી જોઈએ’. તે વખતે કુશ કહે છે ‘તો મહારાજા આપ નિર્દોષ છો, અયોધ્યાની પ્રજાની ટીકાથી આપે ભગવતી સીતાનો ત્યાગ કર્યો હતો.’ મહર્ષિ વાલ્મિકી કહે છે,’ એ માટે અયોધ્યાની પ્રજાનો જવાબ માગવો જોઈએ’. સીતાજીને વાતની ખબર પડે છે એટલે કહે છે કે, ‘રામજ તમારા પિતા છે.’ ત્યાં વાલ્મિકીજી આવી જાય છે અને અયોધ્યાની પ્રજાને રામાયણની કથા સંભળાવી પોતાની માતાની પવિત્રતા સિધ્ધ કરવાનું કર્તવ્ય નિભાવવા કહે છે ત્યાર પછીની કથા જાણીતી છે.
લવકુશે રજૂ કરેલી કથાથી અયોધ્યાના મોટાભાગના પ્રજાજનોને પસ્તાવો થાય છે. ભગવાન રામ સુધી આ ખબર પહોંચે છે રામ બન્નેને બોલાવી વ્હાલ કરી માથા પર હાથ ફેરવે છે. લવ કુશ ભાવવિભોર થાય છે અને કહે છે કે ‘અમને લાગે છે કે અમારા મસ્તક પર અમારા પિતાનો હાથ ફર્યો છે.’ રામ આ બન્નેને સાંજની ધર્મસભામાં આવી આ કથાનું ગાન કરવા આમંત્રણ આપે છે .
લવ અને કુશ સભામાં જઇ રામાયણ છે પુણ્ય કથા શ્રી રામની એમ કહી રામના જન્મથી સીતા સ્વયંવર વનવાસ અને રાવણ વધ સહિતના પ્રસંગો વર્ણવે છે રામના રાજ્યાભિષેકનો પ્રસંગ પણ વર્ણવે છે.
ત્યારબાદ અયોધ્યાની પ્રજાના એક વર્ગ દ્વારા ભગવતી સીતા અને રામની ટીકા બાદ વનવાસ અને સીતાજીએ આશ્રમમાં બે સંતાનોને જન્મ આપ્યો, આ બે સંતાનોને સ્વાવલંબનના પાઠ શીખવી મોટા કરે છે લવ કુશ પોતે ભાવવિભોર બની એક મહાન રાજાની પુત્રી ચક્રવર્તી રાજાની કુળવધુ અને એક મહાન રાજાની પત્ની પોતાની પવિત્રતા જાળવી પોતાના સંતાનોને કેવી રીતે ઉછેરે છે તે હૃદયદ્રાવક કથા રામ,ભરત, લક્ષમણ,શત્રુઘ્ન,ત્રણેય રાજમાતાઓ કૌશલ્યજી,સુમિત્રાજી તેમજ કૈકૈયીજી તેમજ સભામાં ઉપસ્થિત મહારાજા જનકજીને પણ રડાવે છે. જ્યારે સભમાં ઉપસ્થિત ઊર્મિલાજી,માંડવીજી તેમજ શ્રુતકીર્તિજીને પણ ભાવવિભોર બનાવે છે.
ત્યારબાદ લવ અને કુશ રડતી આંખે પોતાનો પરિચય આપતા કહે છે કે, “સીતા માત કે આંખકે તારે લવ કુશ હૈ નામ હમારે” એટલું કહ્યા બાદ મહારાજા રામ પોતાના પિતા હોવાનો ઘટસ્ફોટ પણ કરે છે ત્યારે પણ સૌની આંખો આનંદ સાથે ભીની થાય છે. સભામાં ઉપસ્થિત મોટા ભાગના લોકો લવ અને કુશને અયોધ્યાના રાજકુંવર તરીકે સ્વીકારી લેવા આગ્રહ કરે છે તો બે પાંચ લોકો વાત માનવા તૈયાર નથી. ભગવાન રામ આખરે એક રાજા તરીકે ઓછી સંખ્યાના લોકોની માગણી સ્વીકારી સીતાજી અયોધ્યાની પ્રજાની વચ્ચે આવી શપથ લે તેવો નિર્ણય આપે છે. ત્યાર બાદ માતા કૌશલ્યાજી રામને ઠપકો આપી કહે છે કે “તું કેટલો કઠોર છો, સીતા પવિત્ર છે અને આ બન્ને પુત્રો તારા છે તે જાણતો હોવા છતાં તેમને સ્વીકારતો નથી”, ત્યારે રામ કહે છે “માતા બે પાંચ લોકો પણ શંકાની રીતે વાતો કરતા હોય ત્યારે હું મારા રાજા તરીકેનો ધર્મ ચુકી શકું નહિ “.
ભગવાન રામે તો પ્રજાના નાનકડા વર્ગની વાત સાંભળી રાજધર્મને વ્યક્તિગત હિતો કરતા મહાન ગણ્યો હતો,જ્યારે રામનામ અને રામરાજ્યની ગુલબાંગો ફૂંકનારઆજના નેતાઓ લોકોની વાત સાંભળવા પણ તૈયાર સરકારને કડવું સત્ય કહેનારા અને આયનો દેખાડનારાઓ સામે ગદ્દાર કે અમુક પ્રસંગોમાં રાષ્ટ્રદ્રોહનું લેબલ લગાડતા અચકાતા નથી. એ આજના રાજકારણીઓનું વલણ છે અને વ્યક્તિ પૂજામાં માનનારા ખુશામત ખોર તત્વો વાહ વાહ કરે છે.આજના રાજકારણીઓ પછી ભલે જય શ્રી રામના કે જય સિયારામના નારા લગાવતાં હોય પણ મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામના માર્ગે ચાલી રાજધર્મ બજાવતા નથી. રાષ્ટ્ર કે રાજ્યના હિત ને બદલે પોતાનું હિત જોવે છે.આ બાબત જ આજના રાજકારણીઓની કથની અને કરણી વચ્ચેનો તફાવત છે.