પશ્ચિમ બંગાળ અને આસામમાં સાથે લડતા ડાબેરીઓ અને કોંગ્રેસ કેરળમાં એક બીજાની સામે લડે છે. જ્યારે ત્યાં યુપીએ ઘટક શરદ પવારનો પક્ષ ડાબેરી મોરચાની સાથે છે આનુ નામ બેવડું રાજકારણ
@હિંમતભાઈ ઠક્કર, ભાવનગર
ભારતમાં રાજકારણ હવે સેવાનું માધ્યમ રહ્યું નથી. પછી સત્તા તો માત્ર સેવાનું માધ્યમ છે તેવું તો શક્ય જ નથી. ઘણા એવો દાવો કરતાં હોય છે કે સત્તા અમારા માટે સેવાનું માધ્યમ છે. તો આવી વાત કહેનારાઓ સાવ ખોટા છે. સત્તા વિહીનો ગમે તે ભોગે ગુમાવેલી સત્તા પાછી મેળવવા અને સત્તા પર બેઠેલા કોઈપણ ભોગે પોતાને મળેલી સત્તા જાળવવા માટે છેલ્લી ઘડીના પ્રયાસો કરતાં પણ ચમકાતા નથી આ એક વાસ્તવિકતા છે. સત્તા માટે જ તૃષ્ટીકરણના ખેલ આવે છે. ધૃવીકરણની વાત આવે છે. મતદારોને પ્રલોભનો અપાય છે તો સત્તા જતી અટકાવવા અથવા મેળવવા ચૂંટાયેલા લોકપ્રતિનિધિઓને શામ દામ દંડ ભેદથી પક્ષ કે વફાદારી બદલવા મજબૂર કરીને તમામ પ્રકારની રમતો રમવામાં આવે છે. એક પક્ષ એવું કહે છે કે અમારા પ્રતિનિધિઓને ખરીદવામાં આવ્યા છે તો બીજો પક્ષ એવું કહે છે કે પોતાના લોક પ્રતિનિધિને સંભાળવાની કે સાચવવાની જવાબદારી એકયા બીજા પક્ષની છે. ટુંકમાં આના કારણે લોક ચૂકાદાને ઉલટાવવાની રમત પણ પૂરજોશમાં ચાલ્યા જ કરે છે.
અત્યારે જે પાંચ રાજ્યોની ચૂંટણી છે તેમાં પોંડીચેરીમાં કોંગ્રેસના અસંતુષ્ઠોના સહારે ભાજપ લડે છે તો તમિલનાડુમાં અન્નાડીએમકેની આંગળીએ ભાજપ અને ડીએમકેનો અંગુઠો પકડી કોંગ્રેસ ચુંટણી લડે છે. જ્યારે કેરળમાં ડાબેરી મોરચો અને કોંગ્રેસ વચ્ચેના પરંપરાગત જંગમાં ભાજપ પણ કુદયો છે. આસામમાં ભાજપ અને કોંગ્રેસના ગઠબંધન વચ્ચે તો પશ્ચિમ બંગાળમાં ટીએમસી સામે ભાજપ લડે છે પણ બે પૂર્વ શાસક પક્ષો ડાબેરી મોરચો અને કોંગ્રેસ પણ એકબીજા સાથે ગઠબંધન કરીને મેદાનમાં ઉતર્યા છે આ પાંચેય રાજ્યો અલગ જ પ્રકારના રાજકીય અભિગમ ધરાવનારા અને લગભગ શિક્ષિત રાજ્યો છે.
ભલે દિલ્હીમાં વિપક્ષો અમુક સમયે એકતા દર્શાવે છે પરંતુ ઘણા કિસ્સાઓ એવા જોવા મળ્યા છે કે જેમાં રાજકીય પક્ષો કાચીડાની જેમ રંગ બદલાતા જોવા મળ્યા છે ઘણા પ્રાદેશિક પક્ષો પણ જીસકે તડમે લડ્ડુ ઈસકે તડમેં હમ જેવો અભિગમ દેખાડતા રહ્યા છે. ભારતમાં વિપક્ષોમાં રાષ્ટ્રીય કક્ષાનું જોડાણ માત્ર નામપૂરતું છે અને રાજ્યકક્ષાની બેઠક સમજુતી થાય છે અને જોડાણ પણ થાય છે જેમાં આપણને અવનવા ગઠબંધનો જોવા મળે છે ઘણા સ્થળે એક બીજાની સાથે લડતા રાજકીય પક્ષો બીજા કોઈ રાજ્યમાં એકબીજાની સામે લડતા જોવા મળે છે આને રાજકારણીઓ અને હાલના સમયમાં મજબૂત વિપક્ષની જરૂરત છે ત્યારે વિપક્ષો જ વિવિધ રાજયોમાં સગવડિયા જોડાણો કરે છે દરેક રાજ્યોમાં તેના માપદંડ અલગ હોય છે.
ભલે લોકસભામાં કોંગ્રેસને સત્તાધારી પક્ષની નીતિના કારણે માન્ય વિપક્ષ ગણવામાં ન આવે પણ તે ભાજપ પછીનો મોટો પક્ષ તો છે જ. પરંતુ આ પક્ષ પણ નિર્ણાયક નેતાગીરીના અભાવે કુપમંડુક જેવી અવસ્થામાં જીવે છે તે પણ હકિકત છે. કોંગ્રેસ પક્ષ પશ્ચિમ બંગાળમાં ડાબેરી મોરચો કે જેમાં સીપીએમ અને સીપીઆઈ સહિતના ૮ ડાબેરી પક્ષો છે તેમની સાથે ગઠબંધન કરે છે જો કે આ ગઠબંધન ૨૦૧૯માં ત્રીજા સ્થાને જ ધકેલાયું હતું તે હકિકત છે. હવે આજ ડાબેરી પક્ષો બિહારમાં કોંગ્રેસ રાજદના મહાગઠબંધન સાથે હતા અને તેમાં ડાબેરીઓ અને કોંગ્રેસ વચ્ચે માત્ર ત્રણ જ બેઠકોનો ફેર હતો. તે પણ હકિકત એક વાસ્તવિકતા જેવી જ છે તેની નોંધ લેવી જ પડે. હવે ડાબેરીઓ આસામમાં ભાજપ સામે લડવા અને ભાજપને પાડી દેવાના ધ્યેય સાથે કોંગ્રેસની છાવણીમાં બેઠી છે. અથવા તેની સાથે છે. જ્યારે કેરળમાં આનાથી ઉલટુ ચિત્ર છે. પશ્ચિમ બંગાળ બિહાર અને આસામમાં સાથે રહીને લડનાર ડાબેરીઓ અને કોંગ્રેસ સામ સામે લડે છે અને બન્ને પક્ષોના અલગ ગઠબંધનો વર્ષોથી છે અને આ બન્ને જોડાણો વચ્ચે ત્યાં સત્તાની ફેરબદલી થયે રાખે છે. ભાજપની હાલત ત્યાં રિઝર્વ ખેલાડી જેવી છે તેને અમૂક સમયે જ વિધાનસભામાં માત્રને માત્ર હાજરી પૂરાવવાની તક મળે છે. ભાજપે આવી હાજરી પૂરાવવા માટે જ મેટ્રોમેન શ્રીધરન જેવા નવા ચહેરાઓનો સાથ લેવો પડ્યો છે. જોકે ત્યાં કોંગ્રેસ અને ડાબેરીઓ જ એક બીજા સામે જંગે ચડ્યા છે.
પશ્ચિમ બંગાળમાં ડાબેરીઓની સાથે રહી ટીએમસી અને ભાજપ પર પ્રહારો કરનારા કોંગ્રેસના નેતાઓ કેરળમાં ડાબેરી સરકાર અને તેના નેતાઓ પર પ્રહારો કરે છે. ત્રણ જગ્યાએ સાથે લડવું અને એક જગ્યાએ સામે લડવું તે બાબતને તો કોંગ્રેસ અને ડાબેરીઓના ડબલ ટ્રેક હોવાનું કોઈ નિષ્ણાંતો કહે તો તે જરા પણ ખોટું નથી આ વાતની નોંધ પણ લેવી જ પડે. તે વગર ચાલી શકે નહિ.
ભારતના રાજકારણમાં મુત્સદી તરીકે જેની ગણના થાય છે અને વિપક્ષી નેતા અને મુખ્યમંત્રી પદ અને કેન્દ્રીય પ્રધાન તરીકેના હોદ્દો જેઓ ભોગવી ચૂક્યા છે. તે શરદ પવારે સ્થાપેલો પક્ષ એન.સીપી આમ તો ૨૦૦૪થી કોંગ્રેસની આગેવાની હેઠળના યુપીએમાં છે. મહારાષ્ટ્રમાં તો ૨૦૧૪ પહેલા આ પક્ષે ૧૦ વર્ષ કરતાં વધુ સમય સુધી સાથે સત્તા ભોગવી છે. કેન્દ્રમાં પણ શરદ પવાર સહિતના એન.સી.પી.ના નેતાઓ મનમોહનસિંહની આગેવાની હેઠળના યુપીએમાં પ્રધાનપદે હતા જ તે હકિકત છે. આ સંજોગો વચ્ચે અત્યારે પણ મહારાષ્ટ્રમાં ઉધ્ધવ ઠાકરેની આગેવાની હેઠળ શિવસેના એનસીપી અને કોંગ્રેસની આગેવાની હેઠળની જ સરકાર ચાલે છે. પશ્ચિમ બંગાળમાં ભલે એનસીપી લડતી નથી પરંતુ તેનો ટેકો તો ટીએમસી અને મમતા બેનરજીને છે. જ્યારે કેરળમાં એનસીપીએ કોંગ્રેસની આગેવાની હેઠળના ગઠબંધન યુડીએફ એટલે કે યુનાઈટેડ ડ્રેમોક્રેટીક ફ્રન્ટનો હિસ્સો નથી પરંતુ તે કામાક સંવાદી સામ્યવાદી પક્ષની આગેવાની હેઠળના ડાબેરી મોરચો એટલે કે એલ.ડી.એફનો એક ભાગ છે અને તાજેતરમાં જે કોંગ્રેસી વરિષ્ઠ નેતાએ પક્ષ છોડ્યો તે એન.સી.ચાકો એનસીપીમાં જોડાયા છે અને શરદ પવારે પોતે તેને આવકાર્યા છે અને ચાકોના બે ટેકેદારો એનસીપીના ઉમેદવાર તરીકે ડાબેરી મોરચાના ઘટક પક્ષ તરીકે ચૂંટણી લડે છે. આ બાબત જ દેશના રાજકારણમાં રાજકીય પક્ષોના ડબલ ટ્રેક એટલે કે ભાજપ વિરોધી પક્ષોના બેવડા ટ્રેકનો પૂરાવો પૂરો પાડે છે.