Surat News: ઉધનાના વિજયનગરની આંગણવાડીમાં દારૂ-બિયરની ખાલી બોટલો જોવા મળી હતી. એકબાજુ નાનાં ભૂલકાઓ અહીં આવીને મા સરસ્વતીની વંદના કરે છે, અભ્યાસ કરે છે, ત્યાં બીજી બાજુ અહીં દારૂ-બિયરની ખાલી બોટલો જોવા મળી રહી છે. દારૂની પોટલી, દારૂની બોટલ અને બિયરના ટીન જોઈને ચોક્કસથી કહી શકાય કે, અહીં રાત્રિના સમયે કઈ રીતે અસામાજિક તત્ત્વો આવે છે અને દારૂની મહેફિલ કરે છે.
આંગણવાડી નંબર 29 કૈલાસનગરમાં દારૂ-બિયરની બોટલનાં દૃશ્યો અંગે આંગણવાડીના સુપરવાઇઝર રત્નાબેને જણાવ્યું હતું કે, આ પ્રવૃત્તિ અંગે ઉધના પોલીસ મથકમાં ફરિયાદ પણ કરવામાં આવી હતી. અહીં સુરક્ષા માટે કોઈ ગાર્ડ નથી. અમે અહીં આંગણવાડી બંધ કરીને નીકળી જતા હોઈએ છીએ, ત્યારબાદ રાત્રે કોણ આવે છે. આ અંગે અમને ખબર નથી.
સ્થાનિક રાવ સાહેબ ગીરાશે જણાવ્યું હતું કે, આ આંગણવાડીમાં 4 સોસાયટીનાં બાળકો આવે છે. અહીં સુરક્ષા માટે કોઈ ગાર્ડ નથી. સ્થાનિકો દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવી છે. તેમ છતાં રજૂઆત સાંભળવામાં આવતી નથી.
તંત્ર શું પગલાં ભરશે?
જોકે, સમગ્ર મામલે સુરત મહાનગરપાલિકા દ્વારા સંચાલિત આંગણવાડી સુરક્ષાને લઈ પણ અનેક પ્રશ્નો ઊભા થાય છે. રાત્રિસમયે કઈ રીતે અહીં લોકો આવીને દારૂની મહેફિલ માણી રહ્યા છે. તંત્ર શું કાર્યવાહી કરશે આ મોટો પ્રશ્ન છે. ઉલ્લેખનીય છે કે, 50 મીટરની આસપાસ જ ઉધના પોલીસ ચોકી આવી છે. તેમ છતાં અહીં કઈ રીતે અસામાજિક તત્ત્વો બેફામ દારૂની મહેફિલ માણી રહ્યા છે, શું પોલીસનો પણ ખોફ નથી? જોકે, સમગ્ર આંગણવાડીની ચર્ચાએ અંતે જોર પકડ્યું તો પોલીસ વિભાગ ઘટના સ્થળ પર જઈને કાર્યવાહી આદરી હતી.
આ પણ વાંચો: અમદાવાદ કોંગ્રેસ ભવન પર પથ્થરમારાનો મામલો, કાર્યકરની લાગણી સેલ બનાવવા માંગ
આ પણ વાંચો: શિક્ષણ વિભાગની તપાસમાં પીપળિયાની નકલી શાળાનો થયો પર્દાફાશ
આ પણ વાંચો: ઊંઝા APMCના 5 ડિરેક્ટરોનો મામલો, હાઈકોર્ટે ફગાવી અરજી
આ પણ વાંચો: રાજકોટ ગેમિંગ ઝોન અગ્નિકાંડમાં લાંચ લીધાની સાગઠિયાની કબૂલાત
