ગુજરાત વિધાનસભાની આઠ બેઠકો માટેની પેટાચૂંટણી માટેનાં મતદાનના દિવસને હવે જાજૂ છેટુ નથી, કહે તો બસ આવી જ ગઇ છે વેળા નક્કી કરવાની, અને પ્રજા નક્કી કરશે પણ ખરી જ. જો કે, આ પેટાચૂંટણીમાં ભાજપે પાંચ પક્ષ પલ્ટુ ઉમેદવારો(જે કોંગ્રેસમાંથી પક્ષ પલટી ભાજપમાં આવ્યા તેવા ઉમેદવોરો)ને ફરી મેદાનમાં ઉતાર્યા છે. અને કદાચ આજ કારણ છે કે આ પેટા-ચૂંટણી પ્રજા માથે થોપાઇ પણ ખરી અને પેટા-ચૂંટણીમાં મુદ્દાઓના બદલે આક્ષેપબાજીનાં રાજકારણનો ખેલ વધુ જોવામાં આવી રહ્યો છે.
ગુજરાતનું પ્રતિનિધિત્વ કરતી રાજ્યસભાની ચૂંટણીની બરોબર પૂર્વે અને કોરોનાનાં હળહળતા કહેરી કાળમાં આઠ કોંગ્રેસી ધારાસભ્યોનાં રાજીનામા અને તે પૈકી પાંચના પક્ષાંતરના કારણે યોજાઈ રહેલી આઠ વિધાનસભા બેઠકોની પેટાચૂંટણીના પરિણામની ગુજરાત સરકારની સ્થિરતા પર કોઈ અસર થવાની નથી, પરંતુ કોંગ્રેસને આ બેઠકો જાળવવા અને ભાજપને આ બેઠકો કોંગ્રેસ પાસેથી આંચકી લઈ વકરો એટલે નફો કરવાનો છે.
રાજયસભાની ચૂંટણી વખતે પહેલા પાંચ અને પછી ત્રણ એમ આઠ ધારાસભ્યોએ પોતાનો ખેસ બદલતા લોકો પર આ પેટાચૂંટણી લદાઈ છે. કોરોના સંક્રમણ વખતે બીજુ ઘણુ બધુ લોક હતું અને હાલ પણ થોડુ ધણુ છે ત્યારે ચૂંટણી સંલગ્ન પ્રવૃતિ અનલોક છે…!!!
પહેલા સાૈરાષ્ટ્રની પાંચ બેઠકોની વાત કરીએ
પહેલા સાૈરાષ્ટ્રની પાંચ બેઠકોની વાત કરીએતો ભાજપે અબડાસામાં પ્રદ્યુમનસિંહ જાડેજા, મોરબીમાં બ્રીજેશ મેરજા અને ધારીમાં જે. પી. કાકડીયાને રીપીટ કર્યા છે. લીંબડીમાં કિરીટસિંહ રાણા અને ગઢડામાં આત્મારામ પરમાર જેવા જૂના જોગીને ફરી મેદાનમાં ઉતાર્યા છે, જયારે કોંગ્રેસે અબડાસામાં શાંતિલાલ સેંઘાણી, લીંબડીમાં ચેતનભાઈ ખાચર, ધારીમાં સુરેશભાઈ કાંટડીયાલ, ગઢડામાં મોહનભાઈ સોલંકી જેવા લગભગ નવા જ ચહેરાને મેદાનમાં ઉતાર્યા છે.
જો કે અબડાસામાં હનીફ પઢિયાર અને ધારીમાં પીયુષ ઠુમર, જે બન્ને અપક્ષ ઉમેદવારો છે, તે ભાજપ અને કોંગ્રેસ બન્ને માટે એક પ્રકારનો પડકાર ઉભો કરી શકે છે અને આવું તમામ રાજકીય નિરીક્ષકો માને છે. આમ તો જો કે બન્ને બેઠકો પર અપક્ષ ઉમેદવારો ભાજપ કરતાં કોંગ્રેસને વધુ નુકસાન કરી શકે તેમ છે. કારણ કે અબડાસામાં મુસ્લીમોના મતમાં કોંગ્રેસ માટે ગાબડુ પડી શકે તેમ છે, તો પીયુષ ઠુમરને કોંગ્રેસના એક વર્તમાન ધારાસભ્યના ટેકેદારીનો અંદરખાનેથી ટેકો મળી શકે તેવુ રાજકીય પંડિતો જોઇ રહ્યા છે. જી હા, વાત પ્રમાણે લાઠીના ધારાસભ્ય વીરજીભાઈ ઠુમરે જેનીબેન ઠુમર માટે છેક સુધી લોબીંગ કરેલું પણ ધારીની ટીકિટ સુરેશ કોટડીયાને મળતા તેમની નારાજગી કોંગ્રેસને નડી શકે છે.
દક્ષિણ ગુજરાતની ત્રણ બેઠકોની વાત કરીએ
દક્ષિણ ગુજરાતની ત્રણ બેઠકોની વાત કરીએ તો તે પૈકી કરજણ કોંગ્રેસી ધારાસભય અક્ષય પટેલના રાજીનામાના કારણે, ડાંગની બેઠક મંગળભાઈ ગામીતના રાજીનામાના કારણે, અને કપરાડાની બેઠક જીતુભાઈ ચાૈધરીના રાજીનામાના કારણે ખાલી પડતા આ બેઠકો માટે ચૂંટણીઓ યોજાઈ રહી છે. કરજણ અને કપરાડામાં ભાજપે કોંગ્રેસ છોડી ભાજપમાં ભળેલા બન્ને ધારાસભ્યોને ફરી મેદાનમાં ઉતાર્યા છે, જયારે ડાંગમાં ભાજપે વિજયભાઈ પટેલ નામના ઉમેદવારનો મેદાનમાં ઉતાર્યા છે જે ભાજપ–કોંગૈસ બન્ને પક્ષમાં આંટો મારી ચૂકયા છે. સામે કોંગ્રેસે કરજણમાં કિરીટસિંહ જાડેજા, ડાંગમાં સૂર્યકાંત ગાવિત અને કપરાડામાં બાબુભાઈ જીવણભાઈ પટેલને ચૂંટણી જંંગમાં ઉતાર્યા છે. કોંગ્રેસ વતી ત્રણેય નવા ચહેારા મેદાનમાં છે. અહીં પણ ધારાસભ્ય છોટુભાઈ વસાવાની પાર્ટી બીપીટીએ પોતાના ઉમેદવાર તરીકે બાબુભાઈ ગાવિત નામના ઉમેદવારને બુધ્ધીપૂર્વક મેદાનમાં ઉતારી દીધા છે.
ટૂંકમાાં રાજયસભાની ચૂંટણી વખતે કોંગ્રેસની એક બેઠક ભાજપની જોળીમાં પધારવી દેવામાં મહત્વની ભૂમિકા ભજવનાર આઠ ધારાસભયો પૈકી ભાજપે પ્રવિણ મારૂ (ગઢડા), સોામાભાઈ કોળી પટેલ (લીંબડી) અને મંગળભાઈ ગાવિત (ડાંગ)ને ટિકિટ આપી નથી. જયારે બાકીની પાંચ બેઠક પર પક્ષપલટો કરનારને પસંદ કર્યા છે. બેઠક પ્રમાણે જોવા જઇએ તો કહી શકાય કે રીપીટ કર્યા છે.
ગુજરાતનાં પક્ષપલટુ ઉમેદવારનો હાર-જીતનો ઇતિહાસ જોઇએ તો, ર૦૧૭માં ૯ પૈકી ૭ પક્ષપલટુત્ર હાર્યા હતા. જો કે ત્યારબાદ પક્ષપલટુ જીત્યા પણ છે અને બે હાર્યા છે. આ વખતે તમામ આઠ બેઠકો કબજે કરવા ભાજપે પ્રધાનમંડળના તમામ સભ્યોની ફોજ મેદાનમાં ઉતારી છે.
પ્રદેશ પ્રમુખ સી઼ આર઼પાટીલની ટીમ તો છે જ, સ્મૃતિ ઈરાની અને પરશોત્તમ રૂપાલાલ, મનસુખભાઈ માંડવીયા સહિતના કેન્દ્રીય પ્રધાનો પ્રચાર કરી ચૂકયા છે. કોંગ્રેસ વતી રાજીવ સાતવ, અહમદ પટેલ સહિતના રાષ્ટ્રીય નેતાઓ છેક છેલ્લી ઘડીએ મેદાનમાં ઉતર્યા છે. બાકી અમીત ચાવડા, પરેશભાઈ ધાનાણી અને કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ ઉપરાંત વરિષ્ઠ નેતાઓ સિધ્ધાર્થ પટેલ અને અર્જુન મોઢવડિયાના હાથમાં પ્રચારનું સુકાન છે.
ચૂંટણી ટાણે પણ ભાજપ કોંગ્રેસમાં આયારામ ગયારામના ખલ અટકયા નથી. કોંગ્રેસમાંથી કોઈને હવે સ્થાન મળે તેવું પ્રદેશ ભાજપના પ્રમુખનુ વચન કાગળ પર રહયું છે. ગઢડા, અબડાસા, લીંબડી, કરજણલ, મોરબી સહિત તમામ બેઠકો પર ઘણા કોંગ્રેસી આગેવાનોને ભગવો ખેસ પહેરવી દેવાયો છે.
પક્ષાંતર, મોંઘવારી, કોરોના સહિતના ઘણા પ્રશ્નો તો છે જ. સાથે સાથે કૃષિબિલ પણ મહત્વનો મુદો છે. ભાજપ કેન્દ્ર અને રાજયસરકારની કામગીરીના ગાણા ગાવાની સાથે કોંગ્રેસ પર પ્રહારો કરવાની તક ચૂકતા નથી. ટૂંકમાં આ પેટાચૂંટણી મીઠાશ કરતાં કડવાશ વધુ છોડશે, તેવું ભાજપ-કોંગ્રેસના આગેવાનો દ્વારા થતી આક્ષેપબાજી પરથી લાગી રહ્યું છે. અને આ વખતે મુદ્દા હોવા છતા પણ ચૂંટણી કદાચ મુદ્દા પર ઓછી અને આક્ષેપબાજી પર જાજી લડાઇ રહી હોય તેવું પણ પ્રતિત થાય છે.