@કામેશ.ચોકસી,મંતવ્ય ન્યૂઝ-અમદાવાદ
મહાનગરપાલિકાનું મહાભારત
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનાં પડઘમ વાગી ચુકયા છે ત્યારે રાજ્યમાં છ મહાનગરપાલિકાની ચૂંટણી માટે એકબાજુ ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ કરાઇ હતી.કયાંક વિજય મહુરતમાં ભાજપનાં ઉમેદવારોએ નામાંકન ભર્યુ હતું તો કયાંક છેલ્લી ઘડી સુધી મેન્ડેટની રાહ જોયા બાદ આખરે કોંગ્રેસ તરફથી ઉમેદવારોને મેન્ડેટ અપાયા હતા..છઠ્ઠી ફેબ્રુઆરીએ મનપાની ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભરવાનો છેલ્લો દિવસ હોવાથી મોડી સાંજ સુધી ઉમેદવારોને ટોકન આપીને ઉમેદવારી ફોર્મ ભરાવાયા હતા.જેને લઇને એકબાજુ ઉમેદવારોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો તો બીજી બાજુ કયાંક ઉમેદવારોનાં વોર્ડ બદલાતા અસમંજસની સ્થિતિ ઉભી થઇ હતી. છ મહાનગરપાલિકાની ચૂંટણી આગામી 21મી ફેબ્રુઆરીએ યોજાવાની છે જેને લઇને ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થઇ ગઇ છે. હવે 8મી ફેબ્રુઆરી સુધી ફોર્મ ચકાસણીની પ્રક્રિયા હાથ ધરાશે અને ત્યારબાદ 9મી ફેબ્રુઆરીએ ફોર્મ પરત ખેંચવાનો છેલ્લો દિવસ હોઇ સમગ્ર ચિત્ર સ્પષ્ટ થશે.
છ મનપાની ચૂંટણીમાં કુલ 4230 ફોર્મ ભરાયા
છ મનપાની ચૂંટણીમાં ભારે રસાકસી બાદ ઉમેદવારોએ નામાંકન ભર્યુ.જેમાં છ મનપાની ચૂંટણી માટે કુલ 4230 ફોર્મ ભરાયા હતા.કુલ ફોર્મ પર નજર કરીએ તો સૌથી વધુ અમદાવાદમાં ઉમેદવારી નોંધાઈ હોવાની જાણકારી સામે આવી હતી.AMCના 48 વોર્ડમાં 1149 ઉમેદવારોએ ફોર્મ ભરાયા હતા તો સૌથી ઓછા જામનગરમાં 16 વોર્ડમાં 427 ફોર્મ ભરાયા હતા.સંસ્કારી નગરી વડોદરાના 19 વોર્ડમાં 546 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા.વડોદરામાં એક ઉમેદવારે તો સિક્કા લઇને ફોર્મ ભરી ઉમેદવારી નોંધાવી હતી.સુરતના 30 વોર્ડમાં 1030 ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ ભર્યા હતા.રંગીલા રાજકોટના 18 વોર્ડમાં 629 ઉમેદવારોએ નામાંકન ભર્યુ હતુ તો બીજી બાજુ ભાવેણાનગરી ભાવનગરનાં 13 વોર્ડમાં 449 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા.જામનગર 16 વોર્ડમાં 427 ઉમેદવારોએ ફોર્મ ભરી ઉમેદવારી નોંધાવી હતી.
ફોર્મ પ્રક્રિયા પૂર્ણ,પ્રચંડ પ્રચાર શરૂ
ફોર્મ પ્રક્રિયા બાદ હવે પ્રચંડ પ્રચારની રાજનીતિ શરૂ થઇ ગઇ છે.ભાજપ અને કોંગ્રેસની સાથે આ વખતે નવા બે પક્ષો પણ મેદાનમાં આવ્યા છે જેમાં આમ આદમી પાર્ટી અને AIMIM પક્ષ પણ ચૂંટણીજંગમાં જોડાયા છે.આપનાં દિગ્ગજ નેતા મનીષ સિસોદીયાએ અમદાવાદમાં રોડ શો યોજી ભાજપ સામે જીતનું આહવાન કર્યુ તો બીજી બાજુ કોંગ્રેસ સહિત પક્ષોએ કમર કસી છે.AIMIMનાં નેતા અસદુદ્દીન ઓવૈસીએ ભરૂચમાં જનસભા યોજી હતી તો ભાજપ પર શાબ્દિક પ્રહાર કરતાં જણાવ્યું હતું કે અન્ય કોઇનાં નહીં પણ ગાંધીનાં ગુજરાતમાં આવ્યો છું.વાક્બાણોની વચ્ચે મહાનગરપાલિકાની ચૂંટણી રસપ્રદ બની રહેશે ત્યારે જોવાનું એ રહેશે કે આગામી દિવસોમાં કેવા પ્રલોભનોથી ઉમેદવારો પોતાનાં મતક્ષેત્રમાં મતદારોને રિઝવવા પ્રયાસ કરશે.