@ચિરાગ પંચાલ, અમદાવાદ
ગુજરાતમાં ત્રણ દાયકાથી ભાજપનો જાદૂ ચાલે છે. તેમાં કોઇ બે મત નથી. 1995 પછી ગુજરાતમાં શરૂ થયેલી ભાજપની વિજય યાત્રા અવિરત ચાલતી આવી છે. અને દર વખતે એક નવો વિક્રમ બનાવે છે. વિજયની શરૂઆત કર્યા પછી ક્યારેય ભાજપે પાછું વાળીને જોયું નથી. આ વખતની ચૂંટણીઓમાં પણ એકાદ અપવાદને બાદ કરતાં કોંગ્રેસને ક્યાંય સત્તા મળી નથી. અને ભાજપે વિરાટ સફળતા મેળવીને ગુજરાતમાં ભાજપનો જાદૂ બરકરાર રાખ્યો છે.
ગયા અઠવાડિયે 6 મહાનગરપાલિકામાં કોંગ્રેસના સફાયા પછી હવે પાલિકા-પંચાયતોની ચૂંટણીમાં પણ કોંગ્રેસ સાફ થઇ ગઇ છે. 2015ની ચૂંટણીમાં પાટીદાર અનામત આંદોલનને કારણે ભાજપને ભીંસ પડી હતી. અને તેનો ફાયદો કોંગ્રેસને મળ્યો હતો પણ 2021માં ભાજપે ન માત્ર તે નુકસાનને સરભર કર્યું છે. પણ ગામડાંમાંથી કોંગ્રેસના મૂળ તોડી નાખ્યા છે. શહેરોની ચૂંટણી અને તેનું પરિણામ વહેલાં થઇ ગયા તેનાથી ભાજપને એડવાન્ટેજ મળ્યો અને કોંગ્રેસને કોલેટરલ ડેમજ થયું.
અને ફરી એક વાર ગુજરાતમાં શહેરો જ નહી. ગુજરાતના ગામડાઓમાં પણ કેસરીયો લહેરાયો છે. સૌથી મોટો ઝટકો કોંગ્રેસને લાગ્યો છે. પણ એક વાત સાબિત થઇ ગઇ છે કે ગુજરાત ભાજપનો ગઢ છે. આ ગઢમાં હાલ તો કોઇ ગાબડું પડી શકે તેમ નથી દેખાતું. આમતો વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહના કારણે ગુજરાતની આ સ્થાનિક ચૂંટણીમાં સૌ કોઇની નજર હતી. પણ પરિણામોએ ફરી એકવાર પથ્થરની લકીરને જેમ સાબિત કરી દીધુ છે કે ગુજરાતમાં ભાજપના જાદૂને તોડવો રાજકીય પક્ષો માટે લોઢાના ચણા ચાવવા જેવુ છે.
છેલ્લા ત્રણ દશકાની મહાનગરપાલિકા હોય પાલીકા હોય કે પંચાયત કે પછી વિધાનસભાની ચૂંટણીઓ ત્રણ દાયકાથી ભાજપનો જાદૂ બરકરાર છે. ભાજપ મોટાભાગના મતો કબજે કરવામાં સફળ રહે છે તેના પણ કારણો છે. લોકપ્રિયતાની સાથે સાથે ભાજપનું બૂથ લેવલ સુધીનું મેનેજમેન્ટ પણ સફળતાનો પર્યાય છે. જે માત્ર ગુજરાતમાં જ નહી અનેક રાજયોમાં ભાજપે તે કરી બતાવ્યુ છે. ગુજરાત ભાજપનો ગઢ હોવા છતાં પણ સ્થાનિક સ્તરથી લઇને મોટી નેતાગીરી સુધી શિસ્ત બદ્ધરીતે જે પ્રમાણે ચૂંટણી સહિતના કામોમાં પરોવાય છે તેવું કોંગ્રેસમાં નથી.
આમતો શહેરી વિસ્તારોમાં ભાજપનું પ્રભૂત્વ પહેલાંથી રહ્યુ જ છે. તેમ છતાં આ વખતે ઉમેદવારોની પસંદગી પ્રક્રિયાની જે નિતિ અપનાવી તેને પણ લોકોએ સ્વીકારી છે. મતદારોની સાથે કાર્યકર્તાઓમાં પણ ભાજપની આ રણનિતી સફળ રહી છે. નજીકના સંબંધીઓને ટિકીટ નહી. ૬૦ વર્ષથી ઉપરના ચૂંટણીમાંથી બાકાત નજીકના સંબંધીઓને ટિકીટ નહી આપવાની નિતીએ કાર્યકર્તાઓમાં જબરજસ્ત ઉત્સાહ વધાર્યો છે. તો મોટી ઉંમરના નેતાઓની બાદબાકીથી ભાજપના યુવાવર્ગમાં નવી આશાઓ જન્મી છે. આ નિયમોએ એ વાત પણ સાબિત કરી દીધી કે ભાજપમાં એકહથ્થું શાસન નહી ચાલે. તો સગાંવાદને પણ ઝાકારો અપાતા બાકીના કાર્યકર્તાઓને પણ આગળ વધવાનો રસ્તો મોકળો થયો. એટલે કે ભાજપની આ રણનિતી ગુજરાતમાં સંગઠનને મજબૂત કરવામાં વધારે મહત્વની રહી.
સંગઠન મજબૂતીની દિશામાં આગળ વધ્યા પછી ભાજપનું બૂથ લેવલનું મેનેજમેન્ટ મતદારોને ખેંચવા માટે કદાચ તે બીજા પક્ષો માટેનું લેશન હોઇ શકે છે. તેમાંય વળી આ વખતે ભાજપ પ્રમુખ સી.આર.પાટીલનો નવો અભિગમ પણ કામ કરી ગયો. પેજપ્રમુખના અભિગમે પણ ભાજપને મોટા પ્રમાણમાં ફાયદો કરાવ્યો છે. સમગ્ર ગુજરાતમાં પેજપ્રુમખ મારફતે મતદારોને રીઝવવા જે કિમિયો હતો તે સફળ રહયો છે. તો પેજપ્રમુખની સમિતીઓ અને તેના પ્રમુખો બનાવવાની કવાયત. અને સંગઠનના મોવડીઓ મારફતે તેમનું સંચાલન ભાજપ માટે આ પ્રયોગ ચૂંટણી જીતવામાં મહત્વનું પરિબળ ગણી શકાય.
મજબૂત સંગઠન, અને કાર્યકર્તાઓનું બૂથ સુધીનું મેનેજમેન્ટ તેની સાથે મહત્વની બની ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા જેમાં ભાજપ ભાગ્યે જ કોઇ થાપ ખાય છે. જેવો વિસ્તાર તેવો નેતા પરિણામોમાં આ પસંદગી પણ સફળતાનું એક કારણ છે. અને તે પછી ઉમેદવારોના ઝંઝાવાતી પ્રચાર અને લોકસંપર્કમાં પણ કોઇ પણ સ્થળે અથવા કોઇ ઉમેદવારથી કાચુ ન કપાય ભાજપ તેનું પણ ધ્યાન રાખે છે. ઉપલાસ્તરની નેતાગીરીનું સતત ઓબ્ર્જેવેશન અને દોરી સંચાર ઉમેદવારનો ઉત્સાહ વધારે છે.
એક રીતે કહીએ તો ભાજપ પાસે જે તે ચૂંટણીનું માઇક્રોપ્લાનિંગ હોય છે. ઉમેદવારની પસંદગી પ્રચાર પ્રસાર અને મતદારોને રિઝવવા સુધીની ફોલોઅપ તટસ્થ રીતે ચૂંટણી ટાણે ભાજપમાં જરૂર લેવાય છે. જેને કદાચ બીજા પક્ષો આટલું મહત્વ આપતા નથી. નેશનલ સ્તરની નેતાગીરીના ફાયદા સાથે ભાજપની આ મહેનત પણ કોઇ વિસ્તાર કે કોઇ બેઠકને ભાજપનો ગઢ બનાવી શકે છે.