નવી દિલ્હી
કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરી અને નીતિ આયોગના સીઈઓ અમિતાભ કાંતે ઈલેક્ટ્રિક બેટરીથી ચાલતા સ્કુટર, કાર અને બસ લોન્ચ કર્યા છે.આ પ્રસંગે ગડકરીએ જણાવ્યુ હતું કે, ઈલેક્ટ્રિક બેટરીથી ચાલતા વાહનોથી પ્રદૂષણ ઘટશે, તેમજ લોકો પર પડતા ટ્રાંસપોર્ટેશન ખર્ચમાં પણ ઘટાડો આવશે.
ગડકરીએ જણાવ્યુ હતું કે ઈલેક્ટ્રિક બેટરીથી ચાલતા વાહનોને પ્રોત્સાહન આપવાની દિશામાં મોદી સરકાર આગળ વધી રહી છે,જેથી દેશમાં પેટ્રોલ અને ડીઝલની જરુરીયાતને ઘટાડી શકાય.
ગડકરીએ જણાવ્યુ હતું કે, ૨૦૩૦ સુધી ભારતના માર્ગો પર મોટાભાગના વાહનો ઈલેક્ટ્રિક બેટરીથી ચાલતા હશે. ગડકરીએ જણાવ્યુ હતું કે, માર્ગ અને પરિવહન મંત્રાલય, ભારે ઉદ્યોગ મંત્રાલય અને નીતિ આયોગ મળીને ઈલેક્ટ્રિક બેટરીથી ચાલતા વાહનો અંગે પોલીસી તૈયાર કરી રહ્યા છે.
સરકારને આશા છે કે ટૂંક સમયમાં બેટરીથી ચાલતા વાહનોની કિંમતમાં ઘટાડો થશે જેથી વધુમાં વધુ લોકો આવા વાહનો ખરીદી શકે. ગડકરીએ ઈલેક્ટ્રિક વાહન નિર્માતા કંપનીઓને જણાવ્યુ હતું કે તમામ વાહનોમાં ચાર્જીંગ પ્લગની ડિઝાઈન એક જેવી રાખવામાં આવે, જેથી વાહનોને મોટી સંખ્યામાં ઉપયોગમાં લેવાની પરિસ્થિતિમાં ચાર્જીંગની સમસ્યા ઉભી થઈ શકે નહીં.
સરકારનો પ્રયત્ન રહેશે કે આગામી ૧૦ વર્ષમાં સમગ્ર દેશમાં ચાર્જીંગ પોઈન્ટ ઉપલબ્ધ બનાવવામાં આવે. નીતિ આયોગે એ પણ નક્કી કર્યુ છે કે, તેમના વિભાગમાં ઈલેક્ટ્રિક બેટરીથી ચાલતી કારનો ઉપયોગ કરાશે. જે અંતર્ગત નીતિ આયોગ કાર્યાલયમાં પણ ચાર્જીંગ પોઈન્ટ પણ લગાવવામાં આવ્યો છે.