બેંકની સાથે છેતરીપિંડીનાં કિસ્સા હવે જાણે સામાન્ય બની ગયા છે. અવાર-નવાર સાંભળવા મળતી છેતરપિંડીની ઘટનામાં વધારો કરતી વધુ એક ઘટના સામે આવી છે. જ્યા બેંક ઓફ બરોડાનાં એટીએમમાં કેશ ભરવાનું કામ કરતા કર્મચારીઓએ જ બેંક સાથે છેતરપિંડી કરી હોવાની ફરિયાદ નોંધાઇ હોવાનું સામે આવ્યુ છે. આ ફરિયાદ આગથળા પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે.
આગથળા પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવેલી ફરિયાદ મુજબ, સિક્યોર વેલ્યુ ઈન્ડિયા લી.માં નોકરી કરતા ચાર શખ્સોએ બેંક ઓફ બરોડાને 21,04,500 રૂપિયાનો ચુનો લગાડ્યો છે. આ ચાર શખ્સોને પાટણ શાખાની હેડ ઓફિસથી કેશ લઇ ડીસાનાં વરનોરા, લક્ષ્મીપુરા, શેરપુરા તેમજ લાખણીનાં દેવસરી ગામોનાં એટીએમમાં કેશ જમા કરાવવાનુ હતુ પરંતુ તેમની નિયતમાં ખોટ આવતા તેમણે રૂપિયાને બારોબર ઉઠાવી દીધા અને એટીએમમાં કેશ જમા નહી કર્યા હોવા છતા હેડ ઓફિસમાં ખોટુ બોલી જમા બતાવ્યા હતા. આ વાતનો ખુલાસો એક મહિના બાદ થયો કે જ્યારે ઓડિટ કરવામાં આવ્યુ. છેતરપિંડીની ઘટના સામે આવતા કંપનીનાં સિનિયર એક્ઝિક્યુટીવએ કંપનીનાં ચાર કર્મચારીઓ વિરુદ્ધ વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવી દીધી છે. જે બાદ આગથળા પોલીસે ચાર ઈસમો વિરુદ્ધ વિશ્વાસઘાતની ફરિયાદ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
