મુંબઇ,
ઉરી-ધ સર્જિકલ સ્ટ્રાઇક ફિલ્મ વર્ષ 2016માં ભારતીય સેનાની સર્જિકલ સ્ટ્રાઇક પર આધારિત ફિલ્મ છે અને ફિલ્મને ઘણો સારો રિસ્પોન્સ મળ્યો છે તે જોતા તાજેતરમાં વાયુસેના દ્વારા કરવામાં આવેલી એર સ્ટ્રાઇક પર પણ ફિલ્મ બને તેવી શક્યતાઓ છે.
બોલિવૂડના સૂત્રોએ જણાવ્યું હતું કે પ્રોડ્યૂસર –ડિરેક્ટર સંજય લીલા ભણસાલી, ભૂષણ કુમાર, મહાવીર જૈન અને અભિષેક કપૂર 26 ફેબ્રુઆરીએ બાલાકોટમાં ભારતીય વાયુ સેનાએ કરેલી એર સ્ટ્રાઇક પર ફિલ્મ બનાવવાની તૈયારી કરી રહ્યા છે. આ ઘટના પરથી ફિલ્મ બનાવવા રિસર્ચનું કામ શરૂ કરી દેવામાં આવી છે. જોકે ફિલ્મની સ્ટારકાસ્ટ અંગે કોઈ નામ નકકી કરવામાં નથી આવ્યા.
આ ફિલ્મ દ્વારા ભારતીય સેનાના જવાનોની બહાદુરીને વિશ્વભરમાં રજૂ કરવામાં આવશે. અને ફિલ્મની જે કમાણી થશે તેને આર્મ્ડ ફોર્સ વેલફેર ફંડમાં જમા કરાવવામાં આવશે. આ ફિલ્મ માટે બોલિવૂડના મોટા મોટા કલાકારોએ કામ કરવા માટે રસ દાખવ્યો હોવાની પણ ચર્ચા છે.