બોલિવૂડના ખેલાડી અને દિગ્ગજ અભિનેતા અક્ષયકુમાર હાલમાં જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથેના નોન પોલિટીકલ ઇન્ટરવ્યૂ બાદ ચર્ચામાં છે ત્યારે બીજી તરફ તેઓ હાલમાં જ પૂર્ણ થયેલા ચોથા તબક્કાની વોટિંગ બાદ તેની નાગરિકતા પર સવાલો ઉઠ્યા હતા.
સોશિયલ મીડિયા પર પણ અક્ષય કુમારની નાગરિકતાને લઇને ચર્ચાએ જોર પકડ્યું હતું ત્યારે અંતે અક્ષય કુમારે ટ્વિટના માધ્યમથી નાગરિક્તા અંગેની ચુપકીદી તોડી છે.
અક્ષય કુમારે ટ્વિટ કરીને જણાવ્યું હતું કે ”મારી નાગરિક્તાને લઇને શા માટે આટલો હોબાળો છે એ મારી સમજની બહાર છે. મારી પાસે કેનેડિયન પાસપોર્ટ છે એ વાતને મે ક્યારેય છુપાવી નથી તેમજ આ તથ્યનો હંમેશા સ્વીકાર કર્યો છે. મે છેલ્લા 7 વર્ષથી કેનેડાની મુલાકાત લીધી નથી. હું ભારતમાં જ કામ કરું છું અને ટેક્સ પણ ભારતમાં જ ચૂકવું છું. ભારતમાં આટલા વર્ષોના નિવાસ બાદ દેશ પ્રત્યેનો મારો પ્રેમ વ્યક્ત કરવામાં કોઇ મુશ્કેલી નડી નથી ત્યારે હવે મારી નાગરિકતાને લઇને અર્થ વગરનો વિવાદ મને નિરાશ કરે છે. હું એ દરેક મુદ્દા પર કામ કરતો રહીશ જે મારા દિલની નજીક છે અને ભારતને વધુ શક્તિશાળી અને શ્રેષ્ઠત્તમ બનાવવા માટે મારું મહત્તમ યોગદાન આપતો રહીશ.”