દુબઈ,
પોતાની અદાઓથી લાખો લોકોના દિલ પર રાજ કરનારી બોલીવુડની અભિનેત્રી શ્રીદેવીનું શનિવાર મોડી રાત્રે દુબઈમાં નિધન થયું હતું. ત્યારબાદ આ અભિનેત્રીના પાર્થિવ દેહનું પોસ્ટમોર્ટમ પૂર્ણ થઇ ચુક્યું છે પરંતુ દુબઈની કાનૂની ઔપચારિકતાઓ તેમજ ફોરેન્સિક રિપોર્ટના કારણે તેઓના પરિવારજનોને પાર્થિવ દેહ આપવામાં આવ્યો નથી અને ભારત લાવવામાં વધુ સમય લાગી રહ્યો છે. દુબઈના અખબાર ખલીજ ટાઇમ્સના જણાવ્યા અનુસાર, શ્રીદેવીનો પાર્થિવ દેહ બપોરે ૧ અથવા ૨ વાગ્યે (ભારતના સમય અનુસાર ૨.૩૦ વાગ્યે) ભારત આવવા માટે રવાના થશે.
આ કારણોસર ભારત લાવવામાં લાગી રહ્યો છે સમય
શ્રીદેવીના નિધન બાદ અભિનેત્રીના પાર્થિવ દેહનું પોસ્ટમોર્ટમ પૂર્ણ થઇ ચુક્યું છે પરંતુ હજી પણ રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો નથી. આ કારણે શ્રીદેવીનું ડેથ સર્ટિફિકેટ બન્યું નથી. આ ઉપરાંત શ્રીદેવીના નિધનને લઇ જરૂરી કાયદાકીય પ્રક્રિયાઓમાં પણ બે થી ત્રણ કલાક જેટલો સમય લાગી રહ્યો છે. નોધનીય છે કે, સંયુક્ત આરબ અમીરાતના સ્થાનિક કાયદા અનુસાર, કોઈમ પણ વિદેશી નાગરિકની UAEની કોઈ પણ હોસ્પિટલની બહાર નિધન થાય છે ત્યારે પોસ્ટમોર્ટમ કરવું જ પડતું હોય છે.
બીજી બાજુ શ્રીદેવીના નિધનને લઇ શોકમાં રહેલા બોલીવુડના દિગ્ગજો તેમજ ચાહકોનો આ અભિનેત્રીના ઘરે જમાવડો જોવા મળી રહ્યો છે. કેટલાક બોલીવુડની હસ્તિઓ અનિલ કપૂરના ઘરે પહોંચી રહ્યા છે જેમાં બોની કપૂરનો પુત્ર અર્જુન કપૂર પણ સામેલ છે. આ ઉપરાંત રજનીકાંત ચિરંજીવી, નાગાર્જુન, વેંકટેશ, પ્રકાશ રાજ જેવા સાઉથના કલાકારો પણ સ્વર્ગસ્થ શ્રીદેવીને શ્રદ્ધાંજલિ પાઠવવા મુંબઈ આવે તેવી શક્યતા છે.
સોમવારે સાંજ સુધી પાર્થિવ દેહ પહોચશે ભારત
શ્રીદેવીના પાર્થિવ દેહનું પોસ્ટમોર્ટમ પૂર્ણ થઇ ચુક્યું છે અને બપોરે ૧ અથવા ૨ વાગ્યે (ભારતના સમય અનુસાર ૨.૩૦ વાગ્યે) ભારત આવવા માટે રવાના થશે. ઉલ્લેખનીય છે કે, બોલીવુડની ચાંદની કહેવાતા શ્રીદેવીના પાર્થિવ શરીરને લેવા માટે અનિલ અંબાણીનું પ્રાઈવેટ જેટ પ્લેન દુબઈ પહોચી ચુક્યું છે. શ્રીદેવીના દેહને મુંબઈ સ્તિથ ભાગ્ય બંગ્લોઝમાં લાવવામાં આવશે અને ત્યારબાદ પવનહંસ સ્મશાન ઘાટ ખાતે અંતિમ સંસ્કાર કરવામાં આવશે.
આ અંગે જણાવતા બોની કપૂરના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, સ્વર્ગસ્થ શ્રીદેવીનો દેહ સોમવાર સાંજ સુધીમાં ભારત લાવવામાં આવી શકે છે. ત્યારબાદ તેઓનો અંતિમ સંસ્કાર કરવામાં આવશે.
સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, શ્રીદેવીની નિધન અંગે ફોરેન્સિક રિપોર્ટ આવી ચૂકી છે પરંતુ તેને સાર્વજનિક કરવામાં આવી નથી. તેથી શ્રીદેવીના ચાહકોના મનમાં સવાલ ઉઠી રહ્યા છે કે નિધનના ૩૦ કલાક જેટલો સમય થયા સુધી પણ તેમના મૃતદેહને ભારત લાવવામાં આટલી વાર કેમ થઈ રહી છે.
આ છે પૂરી પ્રક્રિયા
ખલીજ ટાઇમ્સના જણાવ્યા અનુસાર, ફોરેન્સિક રિપોર્ટ આવ્યા બાદ પાર્થિવ દેહને ભારત લાવવા માટે તૈયારી કરવામાં આવશે, જેમાં ૯૦ મિનીટ જેટલો સમય લાગશે.
- પોલીસ દેથ સર્ટિફિકેટ તૈયાર કરશે.
- દુબઈમાં ભારતીય દૂતાવાસ પાસપોર્ટ રદ્દ કરશે.
- ઈમિગ્રેશન વિભાગ દ્વારા પોતાની પ્રક્રિયા પૂરી કરવામાં આવશે
- સરકારી વકીલ દેહ આપવા માટે મંજુરી અઆપશે.
- પ્રાઇવેટ જેટ દ્વારા શ્રીદેવીના પાર્થિવ શરીરને ભારત લાવવામાં આવશે.
મહત્વનું છે કે, શનિવારની રાત્રે દુબઇમાં એક લગ્ન પ્રસંગમાં હાજરી આપવા ગયેલા શ્રીદેવીને અચાનક હૃદય રોગનો હુમલો આવ્યો હતો અને તેઓનું નિધન થઈ ગયું હતું.